ગુજરાતના આ દરવાજાથી કોઈ ભૂખ્યું પરત ફરતુ નથી, 200 વર્ષથી ક્રમ ભૂલાયો નથી

કોઈ એક ભૂખ્યા વ્યક્તિને એક સમય ભોજન કરાવી શકો, પરંતુ જો આવું રોજ કરવાનું થાય તો કોઈ પણ વ્યક્તિ થાકી જાય. ત્યારે સૌરાષ્ટ્રનું વીરપુર એવી જગ્યા છે, જ્યાં છેલ્લા 200 વર્ષથી સદાવ્રત ચાલે છે અને રોજ હજારો લોકો અહીં ભોજન કરે છે, અને હવે છેલ્લાં 20 વર્ષથી કોઈ પણ ભેટ સોગાદ વગર ચાલે છે. સદાવ્રત, અને હવે આ સદાવ્રતના 200 વર્ષની ઉજવણી થઇ રહી છે.
ગુજરાતના આ દરવાજાથી કોઈ ભૂખ્યું પરત ફરતુ નથી, 200 વર્ષથી ક્રમ ભૂલાયો નથી

નરેશ ભાલીયા/જેતપુર :કોઈ એક ભૂખ્યા વ્યક્તિને એક સમય ભોજન કરાવી શકો, પરંતુ જો આવું રોજ કરવાનું થાય તો કોઈ પણ વ્યક્તિ થાકી જાય. ત્યારે સૌરાષ્ટ્રનું વીરપુર એવી જગ્યા છે, જ્યાં છેલ્લા 200 વર્ષથી સદાવ્રત ચાલે છે અને રોજ હજારો લોકો અહીં ભોજન કરે છે, અને હવે છેલ્લાં 20 વર્ષથી કોઈ પણ ભેટ સોગાદ વગર ચાલે છે. સદાવ્રત, અને હવે આ સદાવ્રતના 200 વર્ષની ઉજવણી થઇ રહી છે.

જલારામ બાપાનો જન્મ અને વીરપુરનો ઇતિહાસ 
રાજકોટ શહેરથી 55 કિલોમીટર દૂર આવેલ વીરપુર આજે જગ વિખ્યાત છે. સૌરાષ્ટ્રના આ નાના એવા વીરપુરનું નામ આવતા જ અહીંના સંત પૂજ્ય જલારામ બાપાની યાદ આવી જાય. જલારામ બાપા આજથી બરોબર 200 વર્ષ પહેલા 1799માં વીરપુરના પ્રધાન ઠક્કર અને રાજબાઇના સંતાન થઈને જન્મ લીધો હતો. જલારામ બાપાના 16 વર્ષની ઉંમરે વીરબાઈ માં સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે નાની ઉમરમાં જ તેઓને ભક્તિની લગન લાગી હતી, ને રામના પરમ ભક્ત બની ગયા હતા. નાની ઉંમરે જ તેઓએ અમરેલીના ફતેપુર ગામના સંત શ્રી ભોજલરામને પોતાના ગુરુ માની લીધા હતા, અને ભક્તિમાં ગળાડૂબ થયા હતા. એ ધર્મકાર્યમાં તેઓેન ધર્મપત્ની વીરબાઈ માંનો પૂરો સાથ મળ્યો હતો. 

જલારામ બાપા દ્વારા શરૂ કરેલ સદાવ્રત 
ભગવાનની ભક્તિમાં ડૂબેલા જલારામ બાપાને ગુરુ શ્રી ભોજલ રામ બાપાની પ્રેરણાથી ભૂખ્યાને અને સાધુ સંતોને ભોજન કરાવીને સેવા કરવાની પ્રેરણા મળી હતી. જેના બાદ તેઓએ વિક્રમ સવંત 1876માં સદાવ્રતનો પ્રારંભ કર્યો હતો. આ સદાવ્રતમાં તેઓને પત્નીનો પણ સાથ મળ્યો, જેથી તેઓ રોજ જે ભૂખ્યા હોય અને સાધુ સંત આવે તેઓને ભોજન કરાવવા લાગ્યા. આ માટે તેઓએ અપાર મહેનત કરી. ભૂખ્યા અને સાધુ સંતોને ભોજન કરાવવા માટે તેવો દિવસે ખેત મજૂરી કરતા અને જે રૂપિયાની કમાણી થતી તેમાંથી સદાવ્રત ચલાવતા. એક વાર જ્યારે રૂપિયાની ખોટ પડી, તો વીરબાઈ માંએ પોતાના બધા સોનાના દાગીના આપીને પણ સદાવ્રત ચલાવ્યું હતું. આમ કરતા હવે આ સદાવ્રતને 200 વર્ષ થઈ ગયા છે. 

જલારામબાપાની ભગવાન દ્વારા કસોટીનો કિસ્સો 
‘લેને કો હરિ નામ, દેને કો ટુકડા ભલા...’ વાક્યને જલારામ બાપાએ સાર્થક કર્યું હતું અને જલારામ બાપા માટે સદવ્રત એ ભગવાનની ભક્તિ બરાબર થઇ ચૂક્યું હતું. જલારામ બાપાની સદાવ્રતની ભક્તિ જોઈને ભગવાનને બાપાની કસોટી લેવાનું મન થયું. એક દિવસે ત્રિલોકનાથ વૃદ્ધ સાધુનો વેશ લઈને જલારામ બાપાના દરવાજે આવ્યા અને કહ્યું કે, પોતે વૃદ્ધ થઈ ગયા છે, તેથી જો જલારામ બાપાને જો કોઈ દાન આપવુ હોય તો તેમની સેવા માટે પત્નીની સેવા કરે. પોતાની સેવા કરી શકે તે માટે જલારામ બાપા પોતાની પત્ની દાનમાં આપી દે. તે સમયે જલારામ બાપાએ તે વૃદ્ધ સાધુના વેશમાં આવેલ ભગવાનને વીરબાઈ માંનો હાથ આપી દીધો હતો. થોડે દૂર જઈને ભગવાન એક ઝોળી અને લાકડીનો દંડ વીરબાઈ માંને આપીને અદ્રશ્ય થઇ ગયા. ત્યારબાદ આકાશમાંથી આગાહી થઈ કે, હે જલારામ તે મને ઋણી બનાવી દીધો અને તે જે સદાવ્રત ચાલુ કર્યું છે તે કાયમ આમ ચાલુ રહેશે અને ભૂખ્યાની ભૂખ ભાંગશે. 

20 વર્ષથી દાન લેવાનું બંધ  
‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો...’ના સિદ્ધાંત ઉપર ચાલતા જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રતને ધીરે ધીરે 200 વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. જલારામ બાપાના વારસોએ પણ બાપાએ શરૂ કરેલ સદાવ્રતને અવરિત ચાલુ રાખ્યું હતું. બાપાએ શરૂ કરેલ સદાવ્રતમાં રોજ હજારો લોકો પ્રસાદ લઈને તૃપ્ત થાય છે. બાપાના વારસદારોએ હવે એક પગલું આગળ વધીને આજથી બરાબર 20 વર્ષ પહેલા વર્ષ 2000માં બાપાના મંદિર અને બાપા દ્વારા શરૂ કરવામાં આવેલ સદાવ્રતમાં કોઈ પણ જાતની ભેટ સોગાત લેવાની બંધ કરી છે. ત્યારે ભારતનું આ એકમાત્ર મંદિર અને સદાવ્રત કે અન્ન ક્ષેત્ર બન્યું કે જ્યાં કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી. આમ છતાં આજે 20 વર્ષ પછી પણ આ સદાવ્રત અવરિત પણે ચાલુ છે.  

200 વર્ષના સદાવ્રતની ઉજવણી 
જલારામ બાપા દ્વારા ચાલુ કરેલ સદાવ્રતને 200 વર્ષ પૂરા થઇ રહ્યાં અને બીજી તરફ બાપાના મંદિરમાં કોઈ પણ જાતનું દાન લેવાનું બંધ કર્યું તેને 20 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. ત્યારે જલારામ બાપાના મંદિર દ્વારા આ વર્ષને અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે કથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવાઈ રહેલ આ અન્નક્ષેત્ર દ્વિશાબ્દી મહોત્સવમાં વીરપુરના કોઈ પણ ઘરમાં 9 દિવસ સુધી જમવાનું બનાવવામાં નહિ આવે. તેઓ અહી સદાવ્રતમાં ભોજન લેશે. અહીં આ દરમિયાન હજારો ભાવિકો પ્રસાદ લેશે. હાલ વીરપુરમાં એક ઉત્સવ જેવો માહોલ છે. વીરપુરને શણગારવામાં આવી રહ્યું છે અને તમામ લોકો અહીં આ ઉત્સવને ઉજવવા માટે થનગની રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news