પત્નીના વિરહમાં પતિએ પાંચમા માળેથી પડતું મુક્યું, બાળકો બન્યા નિરાધાર

એક મહિના પહેલા અચાનક મૃત્યુ પામેલી પત્નીનો વિયોગ રાજેશ સોની સહન કરી શક્યો નહીં અને આખરે તેણે અંતિમ પગલું ભર્યું
 

પત્નીના વિરહમાં પતિએ પાંચમા માળેથી પડતું મુક્યું, બાળકો બન્યા નિરાધાર

જાવેદ સૈયદ/ અમદાવાદઃ અમદાવાદના વાડજ વિસ્તારમાં સાચા પ્રેમની પરિભાષા ને સાર્થક કરતો કિસ્સો જોવા મળ્યો છે. એક પતિએ પોતાની પત્નીના વિયોગમાં બિલ્ડીંગ પરથી છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું છે. આપઘાત પહેલા તે એક ચિઠ્ઠી લખતો ગયો છે, જેમાં તેણે પત્ની સાથેના સંસ્મરણો વર્ણવ્યા છે. 

વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.આર. પટેલે ઘટના અંગે જણાવ્યું કે, 'વાડજ વિસ્તારમાં આવેલા ટ્રાન્સક્યુબ મોલના પાંચમા માળેથી રાજેશ સોની નામના એક યુવકે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતાં પહેલાં તેણે સ્યુસાઈડ નોટ લખી છે. આ સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, તે પોતાની પત્ની વગર રહી શકતો ન હતો. સાથે જ તેણે પોતાના પુત્ર અને પુત્રીને સંબોધીને લખ્યું છે કે ખુશ રહેજો અને ખૂબ અભ્યાસ કરજો.'

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજેશ સોનીનો પરિવાર અત્યંત સુખી હતો. લગ્નજીવનમાં તે એક પુત્ર અને પુત્રીનો પિતા પણ બન્યો હતો. કોઈક કારણસર એક મહિના પહેલા રાજેશની પત્નીનું નિધન થયું હતું. ત્યાર પછી બાળકો હોવા છતાં પણ રાજેશને પત્નીની યાદ સતાવતી રહેતી હતી. તેને પોતાનું જીવન એકલવાયું લાગતું હતું. પત્નીનો વિયોગ ન સહન કરી શકનારા રાજેશે આખરે એક એવો નિર્ણય લીધો જેના કારણે તેના બંને બાળકોના માથેથી પહેલા માતા અને હવે પિતાની છત્રછાયા જતી રહી છે. 

રાજેશ સોનીના આપઘાતને પગલે પરિવાર પર આભ તૂટી પડયું છે. તેના બંને બાળકો વિલાપ કરી રહ્યા છે. જ્યારે પોલીસે ઘટનામાં વધુ હકીકત જાણવા તપાસ હાથ ધરી છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news