નર્મદા નદીમાં ઘોડાપૂર : મોડી રાતથી અત્યાર સુધી 1110 લોકોનુ સ્થળાંતર કરાયું, 30 થી વધુ ગામડાઓને સીધી અસર

Narmada Dam : નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાંથી ૧૧૧૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા... જિલ્લા વહીવટી તંત્ર - પોલીસ NDRF અને SDRF  ની ટીમો મોડી રાત સુધી બચાવ કામગીરી કરી

નર્મદા નદીમાં ઘોડાપૂર : મોડી રાતથી અત્યાર સુધી 1110 લોકોનુ સ્થળાંતર કરાયું, 30 થી વધુ ગામડાઓને સીધી અસર

Narmada River Flood : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના ૨૫ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના ડભોઈ,શિનોર અને કરજણ તાલુકાના ૧૧ ગામોમાંથી ૧૧૧૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત આવરો થતા નર્મદા ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ થતા કાંઠાના કેટલાંક ગામોને અસર થતા. વહીવટી તંત્રના પ્રયાસોથી બચાવ રાહત રેસ્ક્યું કામ ત્વરિત કરાયું. મોડી રાત સુધી લોકોને NDRF, SDRF અને સ્વયંમ સેવકોના સહયોગથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું. કેવડીયા ગામમાં અડધી રાત્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારા સભ્ય, જિલ્લા પોલીસ વડા અને ગ્રામજનો દ્વારા લોકોને હોડી દ્વારા સલામત જગ્યાએ ખચેડાયા છે. તો મહિલા બાળકો, વૃધ્ધ લોકોને ઘરની બહાર લાવી આશ્રય સ્થાનમાં ખસેડાયા. 

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત મામલતદાર પ્રાંત અધિકારીને પુર ગ્રસ્તમાં ફસાયેલા લોકોને NDRF, SDRF ટીમો દ્વારા રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નદી કાંઠાના વિકલાંગ બબલાભાઈ તડવી, સુરેશભાઈ, લતાબેન, શાંતાબેન અને પરિવારના સભ્યો તથા ૧૫ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. તથા ગભાણા ગામે કેટલાંક લોકો પાણીમાં ફસાતા તેમને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. NDRFના ૨૨ જેટલા જવાનો ફસાયેલા લોકોને બોટ દ્વારા બચાવ કામગીરીમાં જોતરાયા હતા. કેવડીયા નિચલા ફળિયામાં ૩૦ લોકોનું રેસ્ક્યું કરાયું હતું. 

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નદી કાંઠાના કુલ ૧૩ ગામોના ૫૮ કુટુંબોના ૪૪૦ લોકો સગા સબંધિત તથા પ્રાથમિક શાળા, હાઈસ્કૂલમાં સલામત સ્થળે તા.૧૬/૦૯/૨૦૨૩ની સ્થાંતરિત કરવામાં આવ્યા છે. આ સંખ્યા રાત્રીના ૧૨ કલાકની પરિસ્થિતિ દર્શાવે છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા અમલીકરણ અધિકારીઓ પણ આ રેસ્ક્યુ માનવતાના કામમાં રાતદિન પરવા કર્યા વિના જોતરાઈને માનવીની જીવ બચાવવામાં દિલથી કામ કરી રહ્યાં છે. 

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ડભોઈના કરનાળીમાંથી ૯, નદેરિયામાંથી ૧૭,શિનોરના દિવેર (મઢી)૨૪,બરકાલના ૭, માલસરના ૮૪,કરજણ તાલુકાના પુરામાંથી ૬૦૦, આલમપુરાના ૧૮૦, લીલાઇપુરાના ૨૫, ઓઝના ૨૪, નાનીકોરલના ૧૩૦ અને શાયરના ૧૦ સહિત કુલ ૧૧૧૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર અતુલ ગોર અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદે ત્રણ તાલુકાના અસરગ્રસ્ત ગામોની મોડી રાત સુધી ફેરણી કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડાતા કોઈ જાનહાનિ થઈ નથી.

શનિવારે સમગ્ર કલેકટર કચેરી, ડિઝાસ્ટર શાખા સહિત ડભોઈ,શિનોર અને કરજણની પ્રાંત,મામલતદાર,તાલુકા પંચાયત કચેરીના  કર્મચારીઓ આખીરાત ખડેપગે રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ રાત્રે કલેકટર કચેરીની આપદા વ્યવસ્થાપન સંસ્થામાંથી સમગ્ર કામગીરીનું સંકલન કર્યું હતું. વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news