ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પહેરાવાઈ 'ટોપી'! જાણો કઈ રીતે દિલ્હીના દરબાર સુધી પહોંચી ગુજરાતની ટોપી

ભાજપના સાંસદોને પણ આ ટોપી પહેરવા માટે આપવામાં આવી છે. ભાજપના સંસદીય દળના કાર્યાલયને જવાબદારી આપવામાં આવી છે કે, તેઓ દરેક ભાજપ સાંસદ પાસે આ ટોપી આપે. ભાજપના તમામ સાંસદોને ટોપીની સાથે એક કિટ મોકલવામાં આવી રહી છે.

ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પહેરાવાઈ 'ટોપી'! જાણો કઈ રીતે દિલ્હીના દરબાર સુધી પહોંચી ગુજરાતની ટોપી

ઝી ન્યૂઝ/અમદાવાદ: ભાજપના સાંસદ અને કાર્યકર્તા હવે કેસરિયા રંગની ટોપીમાં નજર આવશે. પીએમ મોદીએ ગયા મહીને અમદાવાદના રોડ શોમાં આ ટોપી પહેરી હતી અને હવે આ ટોપી તમામ મોટી નેતાઓની સાથે સાંસદોને પણ મોકલવામાં આવી રહી છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે ડિઝાઈન કરેલી ભાજપની ટોપી હવે દિલ્લી સુધી પહોંચી ગઈ છે. ભાજપે તમામ સાંસદોને આ ટોપી આપી છે. ટોપી પર કમળની ડિઝાઈન છે સાથે ભાજપ એવું લખેલું છે. પીએમ મોદી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે રોડ શોમાં તેમણે આ ટોપી પહેરી હતી. અને હવે આ ટોપી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. 

ભાજપના સાંસદોને પણ આ ટોપી પહેરવા માટે આપવામાં આવી છે. ભાજપના સંસદીય દળના કાર્યાલયને જવાબદારી આપવામાં આવી છે કે, તેઓ દરેક ભાજપ સાંસદ પાસે આ ટોપી આપે. ભાજપના તમામ સાંસદોને ટોપીની સાથે એક કિટ મોકલવામાં આવી રહી છે. જેમાં ટોપીઓની સાથે પોષણ શક્તિ વધારતી ચોકલેટ પણ છે. ભાજપના કાર્યકર્તાઓ કેસરિયા ટોપીની સાથે ખેસ પણ પહેરશે.

ટોપીની ડિઝાઈનમાં સીઆર પાટીલનો મુખ્ય રોલ
અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમ હતાં. આ કાર્યક્રમ દરમિયાન વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ રેલીમાં સૌ કોઈનું આકર્ષણ કેન્દ્ર કેસરી ટોપી બની હતી. આ ટોપી ગુજરાતના જ ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં તૈયાર કરવામાં આવી છે. સુરતની જાણીતી ટેક્સ્ટાઈલ ગ્રૂપ લક્ષ્મીપતિ મિલમાં આ ટોપી તૈયાર કરવામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે આ ટોપીની ડિઝાઈન કરવા પાછળ બીજા કોઇ ફેશન ડિઝાઇનર નહિ, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો જ હાથ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આ ટોપીની ડિઝાઇન નક્કી કરી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 11, 2022

ટોપી સીધી પહેરો કે ઊંધી ભાજપ સ્પષ્ટ વંચાય
આ ટોપી અન્ય પોલિટિકલ પાર્ટીમાં જોવા મળે છે તેવી ટોપી નથી. તે ખાસ કોટનમાંથી બનાવવામાં આવી છે. તેના ઉપર ભરતકામ કરેલી પટ્ટીમાં ગુજરાતીમાં ભાજપ લખવામાં આવ્યું છે. તેમજ પ્લાસ્ટિકના મટીરીયલ સાથે કમળ પણ દોરવામાં આવ્યું છે. ટોપીની ખાસિયત એ છે કે તેને સીધી પહેરો કે ઉંધી તેમાં ભાજપ સ્પષ્ટપણે વાંચી શકાય છે. અત્યારે પાર્ટીના આદેશથી 5 થી 7 હજાર ટોપીઓ તૈયાર કરવામાં આવી છે. પણ આવનારા વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીના નેતાઓ દ્વારા આ ટોપીઓ પહેરવાની સૂચના હોય હજી પણ સુરતને ઓર્ડર મળે તેવી પુરેપુરી શકયતા છે.

ગાંધીજીથી માંડી સુભાષ બાબુ પણ હતા આ ટોપીના દિવાના...
આ ટોપી ગુજરાતમાં રવિશંકર મહારાજથી માંડીને નહેરૂ સુધીના અનેક રાજનેતાઓ પહેરી ચુક્યાં છે. જો કે આ ટોપી ગાંધીજીએ પહેર્યા બાદ ગાંધી ટોપી તરીકે ઓળખ મળી. ત્યાર બાદ કોંગ્રેસના ખાસ કરીને સેવાદળના અધિકારીક પહેરવેશમાં તેને સ્થાન મળ્યું. જો કે સેવાદળનો સુવર્ણકાળ વિતી ગયા બાદ 70 ના દશક બાદથી આ ટોપી ગાયબ થઇ ગઇ અથવા તો મોટી મોટી સભામાં નેતાઓ માત્ર જનતાને રિઝવવા માટે જ પહેરતા હતા. 80 નું દશક આવતા આવતા આ ટોપી નામશેષ થઇ ગઇ હતી. 

No description available.

નાગરિકોનું દમન કરતી નીતિઓનો વિરોધનું પ્રતિક...
જો કે આઝાદી પહેલાથી જ આ ટોપી સરકાર અને તંત્રની દમનકારી નીતિઓનો વિરોધમાં એક પ્રતિક ચિન્હ તરીકેની ઓળખ મેળવી ચુકી છે. આઝાદીની લડાઇ લડનારા મોટા ભાગના લડવૈયાઓ આ ટોપી પહેરતા હતા. પછી તે દેશના પ્રથન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ હોય કે, દેશને આઝાદી અપાવવા માટે સૌ પ્રથમ લશ્કર બનાવનાર સુભાષબાબુ હોય તમામ આ ટોપી પહેરી ચુક્યાં છે. આ ટોપી એક સરકાર અને તેની નીતિઓનો વિરોધમાં બળવાખોરીનું પ્રતિક તરીકે ઉભરી હતી. 

મૃતપ્રાય થયેલી ગાંધી ટોપીને અન્ના-આપે અપાવી નવી ઓળખ...
જો કે 5 એપ્રીલ 2011 ના દિવસે જ્યારે અન્ના હજારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે આ ટોપી ફરી એકવાર ચર્ચામાં આવી. આ ભુખહડતાળ અને તેની સાથે જોડાયેલા લોકોને દેશનાં ખુણે ખુણે કવરેજ મળ્યું. ત્યાર બાદ આ આંદોલન અને આંદોલનમાંથી જન્મેલી પાર્ટી આમ આદમી પાર્ટીએ આ ટોપીને અપનાવી અને તેને બ્રાન્ડ આઇકોન બનાવી. એક સમય એવો આવ્યો કે, આમ આદમી પાર્ટી લખેલી આ ગાંધી ટોપી પાર્ટીની ઓળખ બની ગઇ. આ ટોપી ફરી એકવાર ન માત્ર સજીવન થઇ પરંતુ સરકાર વિરુદ્ધ ફૂંકાયેલા બ્યુગલનું પ્રતિક પણ બની હતી. આપ પાર્ટી સાથે આ ટોપી દેશના ખુણે ખુણે કાર્યકર્તાઓ થકી ફરી એકવાર સજીવન થઇ.

આ ટોપીએ પાટીદાર સહિત કથિત સવર્ણ વર્ગને અપાવી અનામત...
જો કે નીતિઓનો વિરોધ કરવાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચુકેલી આ ટોપી જુન 2015 બાદ સૌથી વધારે લોકપ્રિય બની. જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઇ. જેમાં હાર્દિક પટેલથી માંડીને મોટા ભાગના પાટીદાર નેતાઓ દ્વારા આ ટોપીને પાસના સિમ્બોલ સાથે પહેરવામાં આવી. આ ટોપી ફરિવાર નીતિઓનો વિરોધ કરવા માટેની બ્રાન્ડ એમ્બેસેડર બની. એક અર્થમાં કહી શકાય કે, આ ટોપીએ પાટીદારો અને કહેવાતા કથિત સવર્ણ સમાજને EWS ની અનામત પણ અપાવી હતી. 

આ ટોપીમાં એવો જાદુ છે કે, ટોપી પહેરીને જે માંગો તે મળે...
આ ટોપીમાં એવો જાદુ કહો કે પછી જે કાંઇ પણ કહો તે પરંતુ જ્યારે આઝાદીની નેમ સાથે ગાંધીજી નિકળ્યાં તો આઝાદી લઇને જ જંપ્યા. ત્યાર બાદ નહેરૂ વર્ષો સુધી આ ટોપી સાથે જ સત્તામાં રહ્યા. આ ટોપી પહેરીને આમ આદમી પાર્ટી જ્યારે પહેલીવાર નિકળી ત્યારે કોઇને વિશ્વાસ નહોતો કે આ પાર્ટી કંઇક નવો જાદુ કરી શકશે. પરંતુ આ ટોપીએ આપને ન માત્ર સત્તા અપાવી પરંતુ એવી સત્તા અપાવી કે ભાજપ જેવા દિગ્ગજ પક્ષના પણ સુપડા સાફ થઇ ગયા. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ તો એક સીટ પણ મેળવી શકી નહી. તો પાટીદારો આ ટોપી પહેરીને નિકળ્યાં તો અનામત અપાવી. એટલે કે આ ટોપીમાં લોકોને આકર્ષવાનો એક અનોખો જાદુઇ ગુણ રહેલો છે. તેવામાં પીએમ મોદી સહિત ભાજપના કાર્યકર્તાઓએ આ ટોપીથી શરૂઆત કરી છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news