SPGના લાલજી પટેલે હાર્દિક સાથે કરી મુલાકાત, કહ્યું- અનામત મળે તે પાટીદારોની મુખ્ય માગણી

ગઈ કાલે હાર્દિક પટેલે પાણી લેવા અંગે એક દિવસ વિચારવાનો સમય માગ્યો હતો

 SPGના લાલજી પટેલે હાર્દિક સાથે કરી મુલાકાત, કહ્યું- અનામત મળે તે પાટીદારોની મુખ્ય માગણી

અમદાવાદ :  હાર્દિક પટેલના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. હાર્દિકે સવારે એસ.પી. સ્વામીના આગ્રહને કારણે પાણી પીધું હતું. તો બપોરે પાટીદાર સંસ્થાના આગેવાનો હાર્દિકને મળવા માટે ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. એક પછી એક પાટીદાર સંસ્થાના આગેવાનો પહોંચતા ઉપવાસ અંગે સમાધાન થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. 

લાલજી પટેલે હાર્દિક સાથે કરી મુલાકાત
સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આજે હાર્દિક પટેલની ઉપવાસ છાવણી પહોંચ્યા હતા અને હાર્દિક સાથે મુલાકાત કરી હતી. લાલજી પટેલે હાર્દિક સાથે મુલાકાત બાદ જણાવ્યું કે, ઉપવાસ આંદોલન મજબૂત કરવા માટે એસપીજી, પાસ અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત તકી હતી. હાર્દિકની તબિયત ખરાબ થતા આજે મળવા પહોંચ્યો હતો. મારી કાર રોકવામાં આવી અને હાર્દિક પાસે જતા અટકાવવામાં આવ્યો હતો. જો સરકાર પાટીદારને નકારશે તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. મેં હાર્દિકને કહ્યું હતું કે, એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. લાલજી પટેલે કહ્યું કે, આંદોલન કરવા માટે આપણું શરીર મજબૂત રાખવું જરૂરી છે. સરકાર સામે લડતા યુવાનોએ પણ મજબૂત રહેવું જરૂરી છે. 

ઉમિયા ધામના પ્રમુખે હાર્દિક સાથે કરી મુલાકાત
ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ, સીદસર સંસ્થાના પ્રમુખ જેરામ પટેલ સહિત સંસ્થાના અન્ય આગેવાનો હાર્દિક સાથે ઉપવાસ છાવણીમાં મુલાકાત કરી હતી. જેરામ પટેલે જણાવ્યું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન આપવાનો ઠરાવ થયેલો છે. આંદોલનની માગણીઓને લઈ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું. આર્થિક માપદંડોના ધોરણે વિચારવાની જરૂર છે. આંદોલન શરૂ થયું હું મધ્યસ્થી તરીકે છું. અત્યાર સુધી કોઇ નક્કર નિર્ણય નથી થયો હતો. સમાજના આગેવાનો મધ્યસ્થીનો પ્રયાસ કરે છે. ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. પાણીનો ત્યાગ કર્યો હતો એટલે તેને પાણી પીવડવા આવ્યા હતા. આનો સુખદ ઉકેલ આવે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક સાથે કરી મુલાકાત
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાર્દિકને મળવા માટે ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદ હાજર છે. 

હાર્દિક પટેલના ઉપવાસનો આઠમો દિવસ છે અને આજે એસ.પી. સ્વામીના આગ્રહને કારણે તેણે અંતે પાણી પી લીધું છે. સરકાર સામે ઉપવાસ પર ઉતરેલા હાર્દિગને મળવા ગઈ કાલે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, કનુ કલસરિયા સહિતના નેતાઓ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. ગઈ કાલે સાંજે સંત એસ.પી. સ્વામી જ્યારે હાર્દિકને મળવા આવ્યા અને તેમણે હાર્દિકને પાણી પીવા માટે આગ્રહ કર્યો ત્યારે હાર્દિકે ના પાડી દીધી હતી. એસ.પી. સ્વામીના આગ્રહ સામે હાર્દિક ભાવુક થઈ ગયો હતો અને તે રડી પડ્યો હતો. આખરે તેમના આગ્રહને માન આપીને આજે હાર્દિકે પણી પી લીધું છે. આ બાજુ ભાજપના જ એક નેતા એવા રામદાસ અઠવાલેએ સમગ્ર મામલામાં મધ્યસ્થી બનવા માટે તૈયારી દર્શાવી છે.

હાર્દિકને મળવા માટે આવેલા એસ.પી. સ્વામીએ જણાવ્યું કે, સૌ સાધુ-સંતો તરફથી મેં હાર્દિકને પાણી પીવા માટે વિનંતી કરી છે. તેને જણાવ્યું કે, ગુજરાતના પ્રબુદ્ધ સાધુ-સંતો તમારી ખુબ ચિંતા કરે છે. સાધુ-સંતો બેઠા હોય ત્યારે ગુજરાતના યુવાન સાથે કોઈ ઘટના બની જાય તો ખરાબ કહેવાય. હાર્દિકે હા નથી પાડી, પરંતુ આવતીકાલ સુધીનો સમય માગ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે પણ હાર્દિકને કહ્યું છે કે, જ્યાં સુધી તમે પાણી નહીં પીવો ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં. એસ.પી. સ્વામીએ જણાવ્યું કે, બધાની ભાવના છે કે હાર્દિક પાણી સ્વીકારી લે. શરીર હોય તો જ કોઈ લડાઈ લડી શકાય. સાધુ સંતોની વાત હાર્દિક સ્વીકારશે એવી આશા છે. સરકારે પણ સમજીને હાર્દિકની માગણી પર વિચાર કરવો જોઈએ. હાર્દિકના સંકલ્પમાં વાટાઘાટો કરીને પ્રશ્નનું નિરાકરણ કાઢવું જોઈએ. 

હાર્દિક પટેલના ઘર બહાર લગાવવામાં આવેલા પોલીસ પહેરા અને લોકોને પ્રવેશ ન અપાતો હોવા અંગેની એક અરજી હાર્દિક દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ અંગે શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે સમગ્ર ઘટના અંગે સરકારને એફિડેવિટ કરવા જણાવ્યું છે. હાર્દિકના વકીલે કહ્યું હતું કે, હાર્દિકના સમર્થકોને પ્રવેશવા ન દેવાતા હોવા અંગેના ફોટોગ્રાફ્સ તેમની પાસે છે. તેની સામે સરકાર તરફથી એટોર્ની જનરલે હાઈકોર્ટને જણાવ્યું કે, અમારી પાસે પણ હાર્દિકને મળવા માટે લોકોને પ્રવેશ અપાતો હોવાના ફોટોગ્રાફ્સ છે. હાઈકોર્ટે અરજી પર વધુ સનાવણી 4 સપ્ટેમ્બરે રાખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news