ગુજરાતમાં કોણ છે દીકરીઓના દુશ્મન, ક્યાં સુધી આવી રીતે માનવતા શર્મશાર થતી રહેશે

ગુજરાતમાં દીકરીઓ પર જુલમના કિસ્સા વધી રહ્યાં છે, આજે બનેલા બંને કિસ્સાઓમાં બંને બાળકીઓનો શું વાંક?

ગુજરાતમાં કોણ છે દીકરીઓના દુશ્મન, ક્યાં સુધી આવી રીતે માનવતા શર્મશાર થતી રહેશે

અમદાવાદ :ગુજરાતમાં દીકરીઓ પર અત્યારચારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં 9 વર્ષની દીકરીને તેના જ પિતાએ ડામ આપી માર માર્યાની ઘટના સામે આવી છે. છૂટાછેડા બાદ મહેસાણામાં મામાને ઘરે રહેતી દીકરીને અમદાવાદ લાવી ઘરકામ કરાવવા દીકરીને ડામ આપી 3 મહિના સુધી લાકડીથી માર માર્યો. તો ભરૂચમાં નવજાત શિશુ મળ્યાની ઘટનાથી માનવતા શર્મસાર થઈ છે. શાકભાજી લેવા જતાં વૃદ્ધાને જૂના સરદાર બ્રિજ નીચેથી એક થેલો મળ્યો હતો, જેમાં ચેક કરતા નવજાત શિશુ નીકળ્યું હતું. જેથી તેના તાત્કાલિક સારવાર માટે હોસ્પટલ લઈ જવામાં આવ્યું. પરંતુ સવાલ એ થાય છે ગુજરાતમાં કોણ છે દીકરીઓના દુશ્મન..ક્યાં સુધી આવી રીતે માનવતા શર્મશાર થતી રહેશે. 

પહેલો કિસ્સો
મહેસાણામાં 9 વર્ષની દીકરીને સગા પિતાએ જ ડામ આપી માર માર્યાની હિચકારી ઘટના સામે આવી છે. રોટલી શેકવાના ચીપિયાથી ડામ આપી પિતાએ માર માર્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના જીતુ રબારી સામે બાળકીના મામાએ ફરિયાદ નોંધાવી છે. જીતુ રબારીના છૂટાછેડા થતા બાળકી તેના મામાને ઘરે રહેતી હતી. પરંતુ સામાજિક સમજૂતી બાદ જીતુ રબારી દીકરીને અમદાવાદ લાવ્યો હતો. પરંતુ છેલ્લા 3 મહિનાથી જીતુ રબારી ઘર કામ કરાવવા માટે 9 વર્ષની દીકરીને રોટલી શેકવાના ચીપિયાથી ડામ આપી લાકડીથી માર મારતો હતો. જેની જાણ થતા બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ મામાને ઘરે પરત લઈ જવામાં આવી છે. પરંતુ આ હેવાન પિતાની સામે બાળકીના મામાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જીતુ રબારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. જો કે ફરિયાદ નોંધાતા હેવાન પિતા જીતુ રબારી ફરાર થયો છે.

બીજો કિસ્સો
ગઈકાલે ભરૂચમાં જૂના સરદાર બ્રિજ નીચેથી તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી છે. ભરૂચ અંકલેશ્વરમાં જોડતા જૂના સરદાર બ્રિજ પાસેથી શાંતાબેન નામના એક વૃદ્ધ મહિલા પસાર થઈ રહી હતી, ત્યારે રસ્તા પર એક નવો નકોર થેલો પડ્યો હતો. નવો થેલો હોવાથી શાંતાબેન એ ઉપાડવા ગયા. થેલાને હાથ લગાવતા જ અંદરથી બાળકીના રડવાનો અવાજ આવ્યો. જેથી તેઓ ડઘાઈ ગયા હતા, અને થેલાની ચેઈન ખોલીને જોયુ તે અંદર નવજાત શિશુ હતું. તબીબોએ તપાસ કરતા જાણવા મળ્યું કે, નવજાત શિશુ બાળકી હતી. આ બાળકી અંદાજે દોઢ મહિનાની છે. તેના હોઠ જન્મજાત ફાટેલા હતા. તથા તાળવાનો ભાગ પણ ફાટેલો છે. ત્યારે ખોડખાંપણ હોવાને કારણે તેને ત્યજી દેવામાં આવી હોઈ શકે તેવુ અનુમાન છે. સમગ્ર મામલાની તપાસ જિલ્લાના તમામ સરકારી દવાખાના ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. એક માસમાં થયેલ ડિલીવરીનો ડેટા મંગાવી અને પોલીસને કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાઈવે પર નવજાત બાળકી મળી હોવાથી આજુબાજુના જિલ્લાઓમાં પણ ખાનગી અને સરકારી હોસ્પિટલોને વિગતો માટે જાણ કરવામાં આવી છે. 

બંને કિસ્સાઓમાં બંને બાળકીઓનો શું વાંક? જનમજાતથી તેને ખોડખાંપણ નીકળતાં તેને તેનાં માતા-પિતાએ તરછોડી છે. તેમના પર ધિક્કાર છે, જેણે ફૂલ જેવડી માસૂમ બાળકીને તરછોડી મૂકી છે. સરકાર એક તરફ 'બેટી બચાવો બેટી પઢાવો'ની વાત કરી રહી છે, પરંતુ અહીં તો માતા-પિતા જ કળિયુગી દયા વગરનાં માતા-પિતા બની રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news