મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં મજૂરોના પૈસા પડાવવાનું મસમોટું કૌભાંડ!

વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ...મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં...વારંવાર TDOને ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ગ્રામજનોનો આરોપ...

મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં મજૂરોના પૈસા પડાવવાનું મસમોટું કૌભાંડ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું આ કૌભાંડીઓએ જોબકાર્ડ બનાવ્યું. કાગળ 75 દિવસની હાજરી બતાવી કામ બતાવ્યું અને પછી જે પૈસા મળ્યા એ ઉપાડી લીધા. આ રીતે 17 હજાર 925 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. આવી જ રીતે 50 -50 લોકો, જેમણે કામ કર્યું છે પરંતુ આજ દિવસ સુધી તેમને જોબકાર્ડ કે ATM કાર્ડ નથી આપવામાં આવ્યા. 

ગામનું તળાવ ઊંડું કરી માટી સ્મશાનો, મંદિર તેમજ વણકર વાસમાં નાખવાની હતી. ગામના જ તત્કાલીન તલાટી ઊર્મિલાબેન શાહ, સરપંચ કિશન રાઠોડે ગામના 50 લોકોની યાદી બનાવી જોબ કાર્ડ બનાવ્યા હતા, જેમાં મૃતક ગંગાબેનનુ પણ જોબકાર્ડ બન્યું હતું. જે બાદ કૌભાંડીઓ ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીને બતાવવાનું છે એમ કહી લઇ ગયા હતા. ત્યારે ગંગાબેનના ખાતામાંથી ATM કાર્ડથી રૂપિયા ઉપાડી જતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. 

મોટી વાત એ છે કે, આ તમામ લોકોએ કામ સુજલામ સુફલામ યોજનામાં કર્યું અને આ કૌભાંડીયાઓએ મળીને તમામ કામ મનરેગા યોજનામાં બતાવ્યા. આ વાતનો ખુલાસો ખુદ સરપંચે કર્યો છે. જો કે, ફરિયાદ છતા સરપંચ ફરાર છે. વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ થઈ છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટી હકીકત એ છે કે, આ ગરીબ શ્રમિકોએ કામ કર્યું અને તેમના હકના પૈસા માલેતુજાર અધિકારીઓ ખાઈ  ગયા.

કૌભાંડનો ખુલાસો થતા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલની સરકારે બદલી કરી દીધી છે. સરકારે TDO સહિત ત્રણ કર્મચારીઓની બદલી કરી દીધી છે. TDO માધુરીબેન પટેલ સામે કૌભાંડીઓને બચાવવાના આરોપો લાગ્યા છે. કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવાના બદલે TDO, સરપંચ અને તલાટીએ મળી ફરિયાદીને રૂપિયા પરત કરવાની નોટિસ કરી, શંકાના દાયરામાં રહેલા TDO માધુરીબેન પટેલને જ ફરિયાદી બનાવતાં અનેક સવાલો ઉઠ્યા છે..અને મોટી વાત એ છે કે,  TDOની બદલી કરાઈ પણ સસ્પેન્ડ ન કર્યા.

આ કૌભાંડ પર સમસાબાદના ડેપ્યુટી સરપંચે નિવેદન આપ્યું છે. તેમનો દાવો છે કે, તેઓ કૌભાંડ વિશે કાંઈ જાણતા નથી. તેઓ સરપંચ અને તલાટી સાથે વાત કરી લેશે. ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે, ગ્રામજનોએ કામ કર્યું છે તો તેમને પૈસા મળવા જોઈએ.  જેણે કૌભાંડ કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news