સરકારે રાજ્યના 14 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા, કચ્છના 10, બનાસકાંઠાના 4 તાલુકાનો સમાવેશ

જે તાલુકામાં 125mmથી ઓછો વરસાદ થયો છે તે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. 


 

 સરકારે રાજ્યના 14 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા, કચ્છના 10, બનાસકાંઠાના 4 તાલુકાનો સમાવેશ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ ઓછો પડવાને કારણે ખેડૂતોમાં ચિંતા છે. તો રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા માટે આજે એક બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યના કુલ 14 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના 10 અને બનાસકાંઠાના કુલ 4 તાલુકાનો સમાવેશ થાય છે. 

રાજ્યના જે તાલુકામાં 125mm કરતા ઓછો વરસાદ પડ્યો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કૌશિક પટેલે કહ્યું કે, રાજ્યમાં ઓછો વરસાદ પડવાને કારણે અછતની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં કચ્છ, અમદાવાદના માંડલ અને પાટણના ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. તો બનાસકાંઠાના ચાર તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ તાલુકા 1 ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે. 

આ સાથે મહેસૂલ પ્રધાને કહ્યું કે, દર બુધવારે મળનારી કેબિનેટની બેઠક બાદ અછત બેઠક મળશે. તેમાં તમામ બાબતે ચર્ચા કરવામાં આવશે. આજે જે બેઠક યોજાઈ તેમાં ઘાસચારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે તે વિસ્તારમાં ઘાસચારાની અછત હશે ત્યાં ઘાસચારો પૂરો પાડવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, જે લોકો ડેમમાંથી પાણી ચોકી કરશે તેના વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. 

કૌશિક પટેલે જણાવ્યું કે જ્યાં જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં સહાય કરવામાં આવશે. દર બુધવારે અછતગ્રસ્ત વિસ્તારની સમિક્ષા કરવામાં આવશે. અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસની તકલીફ ન પડે તે માટે પગલા લેવામાં આવશે. આ સિવાય નહેર કે ડેમમાંથી પાણી ચોરી કરનારા તમામ લોકો પર પગલા લેવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news