ગુજરાતના 40 લાખ ખેડૂતો અને 82 લાખ હેક્ટરમાં વાવણી રામભરોસે, ખેડૂતોનું જે થવું હોય એ થાય!

Gujarat Farmers : ગુજરાતમાં 1000 લાખ હેક્ટરથી વધુ ખરીફ પાકની વાવણીમાં વરસાદ વિલન બન્યો, ગુજરાત સરકારે 82 લાખ હેક્ટરમાં થયેલી વાવણીની ચિંતા કરવાની જરૂર છે, વિશ્વામિત્રી માટે 1200 કરોડનું પેકેજ, તો 80 લાખ ખેડૂતો માટે માત્ર 300 કરોડ કેમ

ગુજરાતના 40 લાખ ખેડૂતો અને 82 લાખ હેક્ટરમાં વાવણી રામભરોસે, ખેડૂતોનું જે થવું હોય એ થાય!

Gujarat Flood : ચોમાસું સપ્ટેમ્બરના મધ્યમાં રિટર્ન થાય તેવી કોઈ સંભાવના નથી. ગુજરાતમાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે. દેશમાં મોસમમાં ફેરફારને કારણે ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. જેને પગલે સૌથી ખરાબ હાલત દેશના ખેડૂતોની થવાની છે. ખરીફ સિઝનમાં 1000 હેક્ટર જમીનમાં ખરીફ ખેતી થાય છે. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. રવી સિઝનમાં 600 લાખ હેક્ટર તો 350 લાખ હેક્ટરમાં ઉનાળુ ખેતી થાય છે. દેશમાં મોટાભાગની ખેતી ચોમાસા આધારિત છે. આ સિઝનમાં 1000 લાખ હેક્ટરથી વધુમાં વાવણી થઈ છે હવે વરસાદ વિલન બની રહ્યો છે. સપ્ટેમ્બર મધ્યમાં ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ વગેરે પાકોની સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં લણણી શરૂ થઈ જાય છે. વરસાદ હજુ રહ્યો તો ભયંકર ખરાબ હાલત થશે. દેશનું કૃષિ અર્થતંત્ર તૂટી જશે. ભારત એ ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. ગુજરાતમાં તો વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના 13 હજાર ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા છે. જ્યાં વીજળી ગુલ થઈ હોવાનો સરકારી રિપોર્ટ છે. રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં 82 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે. હવે આ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. 

ગુજરાતના કૃષિ અર્થતંત્રને આ ચક્રવાતે ભારે ફટકો આપ્યો
તમે ચક્રવાતની ભયાનકતા સમજો તો રાજ્યમાં 13 હજાર ગામડાઓમાં વીજળી ગુલ થઈ હતી. વરસાદના 5 દિવસ બાદ પણ 650 રોડ બંધ છે. બસની 2200 સેવા શરૂ થઈ શકી નથી. 500 ગામડાઓમાં આજે પણ વીજળી ગુલ છે. 30 લોકોનાં મોત થયા છે. 52 હજાર લોકોનું સ્થળાંતર અને 5000 લોકોનું અત્યારસુધી રેસ્ક્યું કરાયું છે. આ સાબિત કરે છે રાજ્યમાં વરસાદથી ભયાનક તબાહી મચી છે. તો શું ખેડૂતો અને ખેતી બચી હશે. રાજય સરકાર હાલમાં વડોદરા પર ફોકસ રાખી રહી છે પણ રાજ્યના 60 લાખ ખેડૂતો રામભરોસે છે. જેમનો પાક ડૂબી ગયો છે. લોકો ચોંધાર આંસુએ રડી રહ્યાં છે. સરકાર કહે છે કે એસડીઆરએફના નિયમો અનુસાર સહાય ચૂકવાશે. જે ખેડૂતોના નુક્સાન સામે 10થી 15 ટકાની ચૂકવણી થાય છે. ગુજરાતના કૃષિ અર્થતંત્રને આ ચક્રવાતે ભારે ફટકો પહોંચાડ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 31, 2024

 

...તો મગફળીનો પાક પડી ભાંગશે
સપ્ટેમ્બરમાં ખરીફ સિઝનની પ્રથમ લણણીનો સમય હોય છે. ગુજરાતમાં કપાસ અને મગફળીની સૌથી મોટી ખેતી હાલમાં થાય છે. હાલમાં ખેડૂતોનો પાક પાણીમાં છે. સૌરાષ્ટ્રમાં મેળાઓને પગલે ગ્રામીણ અર્થતંત્રમાં ભારે તેજી આવતી હોય છે. આ મેળાઓ કેન્સલ થઈ ગયા છે. ખેડૂતોના હાલમાં આંસુઓ લૂછનાર કોઈ નથી. સીએમ હેલિકોપ્ટરમાં ઉડી રહ્યાં છે તો એચએમ વડોદરામાં ધામા નાખીને બેઠા છે. કૃષિમંત્રીને ખેડૂતો કરતાં રાજકોટ વાસીઓની વધારે ચિંતા છે. સરકારના એક પણ મંત્રીએ એમ નથી પૂછ્યું કે ખેડૂતોની હાલત શું છે.  રાજ્યમાં વડોદરા કે રાજકોટની ચિંતા કરતી ગુજરાત સરકારે 82 લાખ હેક્ટરમાં થયેલી વાવણીની ચિંતા કરવાની જરૂર છે. 

વિશ્વામિત્રી માટે 1200 કરોડનું પેકેજ, તો 80 લાખ ખેડૂતો માટે માત્ર 300 કરોડ
તમને નવાઈ લાગશે પણ વેધરમાં બહું મોટા ફેરફાર થયા છે. શું આ વખતે ચોમાસાનો વરસાદ અટકશે નહીં? તે સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી આગળ ચાલશે. કારણ કે ઓગસ્ટના અંત સુધીમાં બે લો-પ્રેશર સિસ્ટમ બની છે. ભવિષ્યમાં પણ તે બને તેવી શક્યતા છે. જેના કારણે પાકને નુકસાન થશે. આ વખતે ચોમાસું સમયસર આવ્યું. વરસાદ પણ સારો પડ્યો હતો. પરંતુ હવે વરસાદ બંધ થઈ રહ્યો નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે આ વખતે ચોમાસું ખેંચવામાં એટલે કે તેની વિદાયમાં વિલંબ થશે. આ સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી પણ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં ખરીફ પાકને નુકસાન થઈ શકે છે. રાધવજી પટેલે 300 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું પણ શું ગુજરાતના ખેડૂતો માટે આ પૂરતું છે. વડોદરાની વિશ્વામિત્રી નદી માટે 1200 કરોડનું પેકેજ અને રાજ્યના 82 લાખ ખેડૂતો માટે 300 કરોડનું પેકેજ ફાળવાય છે. ગુજરાત સરકારના પ્રાધાન્યમાં જ ખેડૂતો નથી. જેને પગલે ખેતીની દુર્દશા વધી રહી છે.

કઠોળ પાકોમાં મોટાપાયે નુક્સાન
ખેડા-આણંદમાં જબરદસ્ત વરસાદને પગલે ડાંગરના પાકને ભારે અસર થઈ છે. રાજ્યાં 8.82 લાખ હેક્ટરમાં ડાંગરની વાવણી થઈ છે. સૌરાષ્ટ્રમાં પાકતા તુવેર, મગ, મઠ અને અડદ સહિત તલના પાકની હાલત ખરાબ છે. આ કઠોળ પાકોમાં મોટાપાયે નુક્સાન છે. કપાસની વાવણી પણ 23 લાખ હેક્ટરમાં થઈ છે. ખેડૂતોએ મગફળીની વાવણી પણ વધારી છે. આ વર્ષે 19.10 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ છે. સૌરાષ્ટ્રમાં કપાસની વાવણી ઘટાડી ખેડૂતોએ રોકડિયા પાક મગફળીની વાવણી વધારી છે પણ ભારે વરસાદે પાકને તહસનહસ કરી દીધો છે.  

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 31, 2024

 

જો વરસાદ ચાલુ રહેશે તો લણણી કરવી મુશ્કેલ બનશે
ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળની લણણી સપ્ટેમ્બરના મધ્યમાં થાય છે. જો વરસાદ ચાલુ રહેશે તો લણણી કરવી મુશ્કેલ બનશે. પરંતુ શિયાળામાં વાવેલા આગામી પાકને ફાયદો થશે કારણ કે જમીન ભેજવાળી રહેશે. જેના કારણે ઘઉં, રાયડો અને ચણા વગેરે પાકને ફાયદો થશે. ગુજરાતમાં 82 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. હાલમાં 13 હજાર ગામડાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદ સપ્ટેમ્બર મધ્ય સુધી ગુજરાતમાં ખેંચાયો તો ખેડૂતો તબાહ થઈ જશે. સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળે છે. જેના કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. ઘઉં, ખાંડ અને ચોખાના ઉત્પાદનમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ હવામાનને કારણે કૃષિ ચીજવસ્તુઓની નિકાસમાં સમસ્યા સર્જાશે. જૂનમાં ચોમાસું શરૂ થાય છે. 17મી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ રિટર્ન થતું હોય છે, પરંતુ આ વખતે તે ઓક્ટોબરના મધ્ય સુધીમાં સમાપ્ત થાય તેવું લાગે છે.

ભારતની વાર્ષિક પાણીની જરૂરિયાતના 70 ટકા ચોમાસુ લાવે છે. તેનાથી ખેતીમાં સુધારો થાય છે. જળાશય ભરાય છે. અડધાથી વધુ ખેતી ચોમાસા પર આધારિત છે. શક્ય છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદ લા નીના હવામાન પ્રણાલીને કારણે થાય પણ ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં સમગ્ર દેશમાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતો. કેટલાક રાજ્યોમાં સરેરાશ કરતાં 66 ટકા વધુ છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી હવે જો સપ્ટેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં વરસાદ પડશે તો ખરીફમાં વાવેલા પાકને અસર થશે. જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી વધવાની સંભાવના છે. ધાન્ય પાકો જેવા કે ડાંગરમાં ભારે નુક્સાનની સંભાવના છે. મકાઈ, સોયાબીન, અડદમાં નુક્સાનની સંભાવના છે. ગુજરાતનો સૌથી મોટો પાક કપાસ અને મગફળી છે. આ બંને પાકમાં ભારે નુક્સાની જોવા મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news