જમીન વિકાસ નિગમ કરાશે બંધ, રાજ્ય સરકારે આપી મંજૂરી

આ વર્ષે એપ્રિલ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ જમીન વિકાસ નિગમની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. 

 જમીન વિકાસ નિગમ કરાશે બંધ, રાજ્ય સરકારે આપી મંજૂરી

ગાંધીનગરઃ રાજ્ય સરકારે કૌભાંડનો પર્યાય બની ગયેલા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો નિર્ણય લીધો છે.  નિગમના અધિકારીઓ દ્વારા થોડા મહિનાઓ પહેલા સામે આવેલા કૌભાંડને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો અને નિગમ બંધ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ દીધી છે. તો આ નિગમના 400 જેટલા કર્મચારીઓનો અન્ય વિભાગમાં સમાવેશ કરવામાં આવશે. નિગમ હેઠળની જે યોજનાઓ કાર્યરત છે તે ચાલુ રહેશે.

મહત્વનું છે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ જમીન વિકાસ નિગમની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં મેનેજિંગ ડિરેક્ટર કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા પાસેથી રૂ. 60 લાખની આસપાસ રોકડ મળી આવી હતી. આ સિવાય સાબરકાંઠા, પાટણ સહિતની અન્ય કચેરીઓ ખાતે તેમજ અધિકારીઓના નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અધિકારીઓ તરફથી લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હતી.

એસીબીએ સરકારને આપેલા કૌભાંડના રિપોર્ટ બાદ આ પગલા લેવામાં આવ્યાં છે. એસીબીના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આ નિગમમાં તમામ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેથી સરકારે તાળા મારવાનો નિર્ણય લીધો છે. આ વિભાગમાં હાલ 400 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જેમને અન્ય વિભાગમાં સમાવવામાં આવશે. આ સાથે જે યોજનાઓ ચાલી રહી છે તે તમામ યોજનાઓ ચાલું રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news