અમદાવાદથી રાજ્યના વિવિધ સ્થળોએ જવા માટે ખાનગી બસની નવી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચની હડતાળને કારણે રાજ્યની એસટી બસ સેવા ખોરવાઈ ગઈ છે, જેના વિકલ્પ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ કલેક્ટરોને ખાનગી વાહનચાલકોની મદદથી નિયત ભાડામાં મુસાફરો માટે વ્યવસ્થા કરવા માટે આદેશ અપાયા છે

અમદાવાદથી રાજ્યના વિવિધ સ્થળોએ જવા માટે ખાનગી બસની નવી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચની હડતાળને કારણે રાજ્યની એસટી બસ સેવા ખોરવાઈ ગઈ છે, જેના વિકલ્પ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ કલેક્ટરોને ખાનગી વાહનચાલકોની મદદથી નિયત ભાડામાં મુસાફરો માટે વ્યવસ્થા કરવા માટે આદેશ અપાયા છે. સરકારના આદેશના પગલે અમદાવાદમાં પણ આરટીઓ ખાતે જિલ્લા કલેક્ટર, ટ્રાન્સપોર્ટ કમિશનર અને ખાનગી બસ સંચાલકોની એક બેઠક યોજાઈ હતી. જેમાં પીકઅપ બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડવાનો નિર્ણય લેવાયો હતો. 

આ બેઠકમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, ટ્રાન્સપોર્ટ કમિશનર વી.વી. પટેલ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ખાનગી બસ સંચાલકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ખાનગી બસ સંચાલકો એસટી બસના ભાડા મુજબ એસટીના પિકઅપ સ્ટેન્ડ પરથી જ રાજ્યના મુસાફરોને સેવાઓ પૂરી પાડશે. 

પીક અપ બસ સ્ટેન્ડની યાદી નીચે મુજબ છેઃ 

આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અમદાવાદ શહેરમાંથી રાજ્યના વિવિધ સ્થળોએ જવા માટે 250 જેટલી ખાનગી બસો દોડાવાશે. હડતાળના કારણે હવે નો-એન્ટ્રીના સમયમાં પણ ખાનગી બસોને શહેરમાં પ્રવેશ માટે પોલીસ કર્મચારીઓને પણ આદેશ અપાયા છે. મુસાફરોને અને ખાનગી બસ સંચાલકોને કોઈ અગવડ ન પડે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ પીક-અપ પોઈન્ટ અને જિલ્લાઓમાં પોલીસની વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. 

આ ઉપરાંત, રાજ્યમાં અન્ય સ્થળોએ પણ સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

  • મોડાસામાં બે ખાનગી બસ મુકવામાં આવી, આવતીકાલથી 5 લાંબા રૂટ પર ખાનગી બસ દોડાવાશે 
  • છોટા ઉદેપુરમાં એસટી બસ સ્ટેન્ડની બહારથી ખાનગી વાહનો દોડાવા તંત્ર દ્વારા લીલી ઝંડી અપાઈ
  • વડોદરામાં 50થી વધુ ખાનગી બસો મુકવામાં આવી 
  • વડોદરાથી અમદાવાદ, હાલોલ, પાદરા, કેવડીયા સહિત મધ્ય ગુજરાત માં બસ સેવા શરૂ કરાઈ 
  • એસટીના ભાડામાં જ ખાનગી બસ સંચાલકો મુસાફરોને લઇ જશે  

ઉલ્લેખનીય છે કે, એસટી નિગમ કર્મચારી એસોસિએશન સાથેની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ સરકારે ખાનગી બસ સંચાલકોની મદદ લેવાનો નિર્ણય કરાયો હતો. બાદ એસટી નિગમના કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વિવિધ બસ મથકો પર એસટી નિગમના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

કયા શહેરમાં કેવો વિરોધ 

  • સુરત શહેરમાં એસટી નિગમના કર્મચારીઓ બસ મથકની બહારના રસ્તા પર ઊંઘી ગયા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે. 
  • રાજકોટ શહેરમાં કર્મચારીઓએ અર્ધનગ્ન થઈને સરકારનો વિરોધ નોંધાવ્યો
  • ગાંધીનગર શહેરમાં કર્મચારીઓએ માનવ સાંકળ બનીને એસટી બસ મથકમાં બસના પ્રવેશને માર્ગ બંધ કરી દીધો છે
  • જામનગરમાં એસટી બસ મથકની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એક્ઠા થઈને સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે
  • વડોદરામાં સરકારના નિર્ણય બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો મધ્યસ્થ બસ સ્ટેશને ખડકી દેવાયો છે 
  • રાજ્યના અન્ય પ્રમુખ શહેરોમાં પણ બસ મથકની બહાર સેંકડોની સંખ્યામાં એસટી નિગમના કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે 
  • ગોધરામાં કર્મચારીઓએ ઢોલ-નગારા વગાડી સરકારના છાજીયા લીધા હતા

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news