Godhra Kand: 21 વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો ગમ નથી ભૂલ્યું ગુજરાત, સુપ્રીમમાં મામલો

સુપ્રીમ કોર્ટે સોમવારે ગોધરા કાંડના અનેક દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ કાંડના ઘણા ગુનેગારોને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી હતી. હવે આ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

Godhra Kand: 21 વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો ગમ નથી ભૂલ્યું ગુજરાત, સુપ્રીમમાં મામલો

નવી દિલ્હીઃ ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ગોધરા કાંડના 11 દોષિતોને ફાંસીની સજા અપાવવાના પ્રયાસો કરશે. આ પછી ફરી એકવાર ગોધરાકાંડ ચર્ચામાં આવ્યો છે. સાત દિવસ બાદ ગોધરાની ઘટનાને પણ 21 વર્ષ પૂર્ણ થશે. ચાલો જાણીએ કે શું આ સમગ્ર મામલો છે? સુપ્રીમ કોર્ટમાં સરકારે શું કહ્યું? ગોધરાની ઘટનામાં અત્યાર સુધી શું થયું?

પહેલાં જાણો ગુજરાત સરકારે કોર્ટમાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં સોમવારે ગોધરાકાંડમાં અનેક દોષિતોની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. આમાંના ઘણા દોષીઓને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. હવે આ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ તેમની અરજી પર સુનાવણી કરી રહી છે. બેન્ચે દોષિતોના જામીન પર સુનાવણી માટે ત્રણ અઠવાડિયા પછીનો સમય આપ્યો છે. કોર્ટે બંને પક્ષોના વકીલોને આ સમયગાળા દરમિયાન આરોપીઓએ જેલમાં વિતાવેલો સમય અને તેમને થયેલી સજાની માહિતી આપતો ચાર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુનેગારોને લઈને બેન્ચને કહ્યું કે અમે ગુનેગારોને ફાંસી આપવા માટે ગંભીર પ્રયાસો કરીશું. આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનની બોગીને બહારથી લોક કરી આગ લગાડવામાં આવી હતી.

હવે જાણો ગોધરાની ઘટનાની સંપૂર્ણ કહાની
27 ફેબ્રુઆરી 2002ની વાત છે. 26 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી લગભગ બે હજાર કાર સેવકો અમદાવાદ આવવા માટે સાબરમતી એક્સપ્રેસમાં સવાર થયા હતા. જ્યારે ટ્રેન 27 ફેબ્રુઆરીએ ગોધરા પહોંચી ત્યારે S-6 બોગીમાં પથ્થરમારો શરૂ થયો હતો. બોગીને બહારથી લોક કરી દેવામાં આવી હતી અને પછી બદમાશોએ આગ લગાવી દીધી હતી. આગની ઘટનામાં 59 લોકોના મોત થયા હતા. આ મામલામાં 1500 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો થયો હતો. બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી 2002થી ગુજરાતના વિવિધ સ્થળોએ કોમી રમખાણો ફેલાઈ ગયા. આ રમખાણોમાં 1200થી વધુ લોકોના મોત થયા હતા. ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં ધરપકડ કરાયેલા લોકો સામે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ ઓર્ડિનન્સ (POTA) લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે ગોધરા કાંડ અને ત્યારપછીની ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ હેઠળ એક કમિશનની રચના કરી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત કાવતરું) લાગુ કર્યું. પરંતુ બાદમાં ગોધરાકાંડના આરોપીઓ સામેથી પોટા હટાવી લેવામાં આવ્યો હતો.

અત્યાર સુધી શું થયું?
18 ફેબ્રુઆરી, 2003: રમખાણોને પગલે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ભાજપ સરકાર ફરી ચૂંટાઈ આવી અને ગોધરા ટ્રેનના આરોપીઓ સામે ફરીથી આતંકવાદ વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેન સળગાવવાના કેસ સહિત રમખાણો સંબંધિત તમામ કેસોની ન્યાયિક સુનાવણી પર રોક લગાવી દીધી છે.

4 સપ્ટેમ્બર, 2004: જ્યારે આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા, ત્યારે કેન્દ્રીય કેબિનેટના નિર્ણયના આધારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ યુસી બેનર્જીના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિને ઘટનાના કેટલાક પાસાઓની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. નવી રચાયેલી યુપીએ સરકારે પોટા એક્ટને રદ્દ કર્યો અને આરોપીઓ સામેના પોટા આરોપોની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો.

જાન્યુઆરી 17, 2005: યુસી બેનર્જી સમિતિએ તેનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનના S-6માં લાગેલી આગ એક 'અકસ્માત' હતી. સમિતિએ બહારના તત્વો દ્વારા આગમાં કાવતરું હોવાની શક્યતા નકારી કાઢી હતી. POTA સમીક્ષા સમિતિએ અભિપ્રાય આપ્યો કે આરોપીઓ પર POTA હેઠળ આરોપ ન લગાવવો જોઈએ.

તત્કાલીન યુપીએ સરકારે રમખાણોની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. 1 માર્ચ 2011ના રોજ ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં SIT કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને 63ને નિર્દોષ જાહેર કર્યા હતા. SITના રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપવામાં આવી હતી.

ઑક્ટોબર 13, 2006: ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે UC બેનર્જી સમિતિની રચના 'ગેરકાયદેસર' અને 'ગેરબંધારણીય' હતી. નાણાવટી-શાહ કમિશન પહેલાથી જ રમખાણોના દરેક પાસાઓની તપાસ કરી રહ્યું છે. બેનર્જી કમિટીના તપાસ રિપોર્ટને પણ અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. સજાને પડકારતી અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં મહત્વના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ગોધરા રમખાણ કેસના 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી છે.

1 મે, 2009: સુપ્રીમ કોર્ટે ગોધરા કેસની સુનાવણી પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો. સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે રાઘવનની આગેવાની હેઠળની વિશેષ તપાસ ટીમે ગોધરા કાંડ અને રમખાણો સંબંધિત આઠ અન્ય કેસોની તપાસ શરૂ કરી હતી. ગોધરાકાંડની સુનાવણી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર શરૂ થઈ હતી. સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટને ગોધરા કાંડ સહિત ગુજરાત રમખાણો સંબંધિત અન્ય નવ સંવેદનશીલ કેસોમાં ચુકાદો સંભળાવતા રોકી હતી.

18 સપ્ટેમ્બર, 2008: નાણાવટી પંચે ગોધરા ઘટનાની તપાસ સોંપી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું અને S-6 કોચને ટોળાંએ પેટ્રોલ નાખીને સળગાવી દીધો હતો. ગુજરાત રમખાણો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે જસ્ટિસ નાણાવટી-મહેતા કમિશનના અહેવાલનો પ્રથમ ભાગ 25 સપ્ટેમ્બર 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

1 માર્ચ, 2011: ગોધરા કાંડમાં સ્પેશિયલ કોર્ટે 11ને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા ફટકારી. ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાંથી હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગોધરાકાંડના બે દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. હજુ સાત વધુ જામીન અરજીઓ પેન્ડીંગ છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ગોધરા કાંડના દોષિત ફારુકને આજીવન કેદની સજા ફટકાર્યાના 17 વર્ષ બાદ જામીન આપ્યા હતા.

નવેમ્બર 18, 2014: નિવૃત્ત જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતાએ 2014માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આ રિપોર્ટ સુપરત કર્યો હતો. ત્યારથી આ રિપોર્ટ માત્ર ગુજરાત સરકાર પાસે હતો.

11 ડિસેમ્બર 2019 ના રોજ અંતિમ અહેવાલ: ગુજરાત વિધાનસભામાં રમખાણોની તપાસ કરતા નાણાવટી કમિશનનો અંતિમ અહેવાલ 1500 થી વધુ પૃષ્ઠોમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં તેમને એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેનાથી સાબિત થાય કે રાજ્યના કોઈપણ મંત્રીએ આ હુમલાઓને ઉશ્કેર્યા  હતા. કેટલાક સ્થળોએ, પોલીસ ભીડને નિયંત્રિત કરવામાં બિનઅસરકારક હતી કારણ કે તેમની પાસે પૂરતા પોલીસકર્મીઓ ન હતા અથવા સારી રીતે સજ્જ ન હતા. કમિશને તેના રિપોર્ટમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની તત્કાલીન ગુજરાત સરકારને ક્લિનચીટ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news