આખરે એક સપ્તાહ બાદ આઈબીના ગુમ PSI અનિલ પરમાર સુરક્ષિત મળી આવ્યા

26 સપ્ટેમ્બરે નોકરી પર જવાનું કહીને પોતાની ઘરેથી નીકળીને ગુમ થયેલા આઈબીના પીએસઆઈ અનિલ પરમાર સુરક્ષિત હાલતમાં મળી આવ્યા છે. 

આખરે એક સપ્તાહ બાદ આઈબીના ગુમ PSI અનિલ પરમાર સુરક્ષિત મળી આવ્યા

ગાંધીનગરઃ 26 સપ્ટેમ્બરે નોકરી પર જવાનું કહીને પોતાની ઘરેથી નીકળીને ગુમ થયેલા આઈબીના પીએસઆઈ અનિલ પરમાર સુરક્ષિત હાલતમાં મળી આવ્યા છે. આ મામલે એલસીબી તપાસ કરતી હતી. એલસીબીએ પીએસઆઈને સુરક્ષિત સ્થિતિમાં શોધી લીધા છે. ગુમ થતા પહેલા પીએસઆઈ અનિલ પરમારે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપો લગાવ્યા હતા. ત્યારબાદ આઈબીએ પણ પત્રકાર પરિષદ યોજીને પીએસઆઈ અનિલ પરમાર પર સવાલ ઉઠાવ્યા હતા. પીએસઆઈ ગુમ થયા બાદ તેનો પરિવાર પણ ચિંતામાં આવી હયો હતો. 

આઈબીએ પીએસઆઈ પર લગાવ્યો હતો આરોપ
એકબાજુ પીએસઆઈ અનિલે પત્ર લખીને ઉપરી અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે, તો બીજી બાજુ આઈબી દ્વારા પીએસઆઈ પર આરોપ લગાવ્યો છે. પત્રકારો સાથે વાત કરતા આઈબીના વડાએ કહ્યું કે, પીએસઆઈ અનિલ ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. આ કારણે તેમની બદલી કરવામાં આવી હતી. તેઓ જ્યારે ખંભાળિયામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને પૈસાની લેતી દેતી મામલે વિવાદ થયો હતો. આ માટે તેમની વિરુદ્ધ શો-કોઝ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. 

ગુમ PSI અનિલ પરમારની અક્ષરસહ ચિઠ્ઠી

'ગોડફાધર હોય તેને કાંઈ નહીં, મારા જેવાને સામાન્ય વાતમાં સજા'

અમદાવાદ, બુધવાર

હુ આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડ ફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહી, અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય, ઉપરી અધિકારીઓ તેમને આપેલ સત્તાનો દુરપયોગ કરે છે. અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમકે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિક્રૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો અમારા એ.સી.આઈ. નિતાબેન દેસાઈ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી કેમ કે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચ મેટ અને મિત્ર છે. ઓફીસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરૃ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફીસ ટાઈમથી ત્રણ મિનિટ વહેલા નિકળી ગયા. આશા હું શું કરૃ આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ.

'મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ ખોટી અરજી કરનારાઓ સામે કાર્યવાહી કરી ન્યાય અપાવજો'

આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું મને માફ કરે જ ને મારી કાળજાના કટકા જેવી દિકરી માહીનું ધ્યાન રાખજે. હું મારી દિકરીનો પણ ગુનેગાર છું કેમકે હું એવા સમયે તેને છોડી જાવ છું કે જ્યારે તેને મારા હાથની જરૃર છે. દિકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઈશ તો તું આ આઘાત સહન નહીં કરી શકે એટલે મે જુનાગઢથી રાજેશભાઈને કામના બહાને બોલાવ્યા છે. હું કાઈ કાયર નથી પણ આ બધા અધિકારીઓએ મને એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દિકરીના સમ ખાય કવ છું કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. ઉપરના બધા આક્ષેપો ખોટા ને ઉપજાવી કાઢેલા છે જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચુ કવ છું. મારા બધા પરીવારજનો મારા બાબતે દુઃખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઈ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કર જે. મારા મોટાભાઈ, ભાભી હું તમારો ગુન્હેગાર છું મને માફ કરજો.

રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ મોડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિષ કરજે.

રાજુ મારી ખાતાકીય તપાસની ફાઈલમાં એક ચીઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવું કરજે. હું ફરી કવ છું કે હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાક ને ક્યાક ફસાવતા જ જશે તો હું શું કરૃ? હું પણ મારા મિત્ર ASI શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકું તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહિનું ધ્યાન રાખજે. અલવિદા...

''તેરી દુનિયાસે હો કર મજબૂર ચલા મેં બહોત દૂર બહોત દૂર ચલા'' - અનિલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news