પેટના આંતરડા ફાડી નાંખે તેવી વસ્તુઓમાંથી બનાવાતુ હતું નકલી પનીર, ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયો મોટો જથ્થો

Fake Paneer : નકલી દૂધ અને ઘી બાદ હવે ભાવનગરમાંથી ઝડપાયું નકલી પનીર,,,ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો જપ્ત કરીને SOGએ સ્થળ ઉપર જ કર્યો નાશ

પેટના આંતરડા ફાડી નાંખે તેવી વસ્તુઓમાંથી બનાવાતુ હતું નકલી પનીર, ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયો મોટો જથ્થો

Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં ખાણીપીણીની નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. જો તમે પણ પનીર ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો, કારણ હવે ભાવનગર શહેરમાં પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે. ગુજરાતભરમાં હાલ દિવાળીનો પર્વ હોઈ આરોગ્ય વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. નકલી દૂધ અને ઘી બાદ હવે ભાવનગરમાંથી નકલી પનીર ઝડપાયું છે. ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો જપ્ત કરીને SOGએ સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલા ગોરડ સ્મશાન નજીકથી ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો ઝડપાયો છે. ઍસઓજી પોલીસને ડુપ્લીકેટ પનીર બનતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો, આ મામલે પોલીસે તપાસ કરતા સ્થળ પરથી દૂધ પાવડર, સાઇટ્રિક એસિડ, વેજિટેબલ ઓઇલ સહિતનો સામાન મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોગ્ય અધિકારી અને ફૂડ ઇન્સ્પેકટરને બોલાવી તપાસ હાથ ધરી હતી.

ભાવનગર મનપાના આરોગ્ય અધિકારી આર. કે. સિંહા અને ફૂડ અધિકારી એ સ્થળ પર પહોંચી તપાસ કરતા અહી ભેળસેળ યુક્ત પનીર બનતું હોવાનું જણાયું હતું. અહી પનીર બનાવવા સાઇટ્રિક એસિડ, વેજીટેબલ ઘી અને દૂધના પાવડરનો ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હોવાનું જણાતા નમૂના લીધા હતા. 

રસિક લાકડીયા તથા ભાવેશ જોબનપુત્રા આ કારખાનાની જગ્યા ભાડે રાખીને ભેળસેળયુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર કરતા હતા. આરોગ્ય વિભાગે સ્થળ ઉપરથી રસિકભાઈ પાસેથી તમામ વિગત મેળવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહી પનીર બનાવવા માટેના સાધનો તેમજ ખાલી બેલર, વેજીટેબલ ઘીના ડબ્બા અને દૂધ પાવડર સહિતનો સામાન સીઝ કર્યો છે. હાલ તો મનપાના આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

નકલી પનીર આ રીતે બને છે 
- નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
- પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
- નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
- નકલી પનીર આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે
- બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે
- લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે

અસલી પનીર આવું હોય છે 
- અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
- ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે. 
- અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
- અસલી પનીર આરોગ્ય બાદ રોગનો ભય રહેતો નથી

નકલી પનીર ખાવાથી આ બીમારી થાય છે
અખાદ્ય પદાર્થ ખાવાથી શરીરમાં ગંભીર પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ છે. જેમાં ઝાડા, ઉલટી જેવી ગંભીર બીમારી થઇ શકે સાથે પેટના રોગનો પણ મોટો ભય રહેલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news