ખેડૂતો પર કુદરતનો કહેર! ગુજરાતમાં મોટાભાગના કેળના વૃક્ષો ધરાશાયી, કુદરત રૂઠે તો કોને કહેવા જવું?

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને વ્યાપક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓ પૈકી ઘોઘા તાલુકા પંથકમાં ધોધમાર સૌથી વધુ વરસાદ થયો હતો.

 ખેડૂતો પર કુદરતનો કહેર! ગુજરાતમાં મોટાભાગના કેળના વૃક્ષો ધરાશાયી, કુદરત રૂઠે તો કોને કહેવા જવું?

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના તણસા ગામે કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકમાં વ્યાપક નુકશાન પહોંચ્યું છે. તણસા ગામે રહેતા ખેડૂતે 5 વીઘામાં કેળનું વાવેતર કર્યું હતું, જેમાં ભારે પવન સાથે આવેલા વરસાદ ના કારણે મોટા ભાગનો કેળનો પાક ઢળી પડતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ત્યારે ખેડૂત દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના પગલે વળતરની માંગ કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને વ્યાપક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓ પૈકી ઘોઘા તાલુકા પંથકમાં ધોધમાર સૌથી વધુ વરસાદ થયો હતો, જેમાં વરસાદના કારણે જુવાર, બાજરી, તલ તેમજ શાકભાજી અને ડુંગળીના પાકને વ્યાપક અસર થઈ છે જ્યારે બાગાયતી પાકોમાં કેળ, પપૈયા, કેરી, લીંબુ સહિતના પાકને પણ વ્યાપક અસર જોવા મળી છે, જેમાં ઘોઘા ના તણસા ગામે રહેતા હરદીપસિંહ ગોહીલ નામના ખેડૂતે પોતાની વારસાગત જમીનમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં ડુંગળી, જુવાર, બાજરી, જ્યારે બાગાયતી પાકોમાં 5 વીઘા જેટલું કેળ નું વાવેતર કર્યું હતું.

કેળની ખેતીમાં વાવણીથી લઈને ફાલ આવે ત્યાં સુધી લગભગ એક વર્ષ જેટલો સમય વિતી જાય છે. જેમાં પ્રથમ મોંઘા ભાવે કેળના રોપા લાવી તેને વાવવા પડે છે. જેમાં મજૂરી પાછળ ખૂબ ખર્ચ ભોગવવો પડે છે. રોપણી કર્યા બાદ એક વર્ષ સુધી વિવિધ પ્રકારે તેની માવજત કરવી પડે છે, અને જ્યારે કેળ પર ફાલ લહેરાય ત્યારે પક્ષીઓ અને જીવજંતુઓ રોકવા સતત ધ્યાન રાખવું પડે છે. રોપા, મજૂરી, માવજત, અને દવા ખાતર પાછળ નો ખર્ચ ગણતા વિધે 60થી 70 હજાર ખર્ચ થઈ જાય છે. આટલી મહેનત કર્યા પછી જ્યારે કઈક મેળવવાનો વારો આવે ત્યારે જ અચાનક કુદરત રૂઠે તો કોને કહેવા જેવું?

ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં ભારે વરસાદ થતાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. જેમાં તણસા ગામના ખેડૂત હરદીપસિંહ ગોહીલ કે જેણે 5 વીઘાની વાડીમાં કેળનું વાવેતર કર્યું હતું અને હાલ કેળનો પાક ઉતારવાનો સમય આવ્યો હતો. ત્યાં અચાનક વરસી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ભારે પવન સાથે આવેલા ધોધમાર વરસાદના કારણે હરદીપસિંહ ગોહીલની વાડીમાં 50 ટકાથી વધુ કેળનો પાક ઢળી પડ્યો હતો.

ભારે પવનના કારણે કેળ ના વૃક્ષો એક બાજુ ઢળી પડ્યા છે અને જેના કારણે કેળનો પાક બરબાદ થઈ ગયો છે. તેમજ એક લાખ કરતાં વધુ કિંમતનું ડુંગળીનું બિયારણ (કળી) વરસાદના કારણે પલળી જવાથી કોહવાઈ જવા પામ્યું છે. કેળનો પાક અને ડુંગળીનું બિયારણ મળી ખેડૂતને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત દ્વારા સરકાર પાસે યોગ્ય સર્વે કરાવી સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news