ફળોનો રાજા કેરીનું કમોસમી વરસાદ પણ કંઈ બગાડી ના શક્યો! ખેડૂતો ખુશ, જાણો શું છે ભાવ

નવસારી APMC ના કેરી બજારમાં રોજના 6 થી સાડા છ હજાર મણ કેરી વેચાણ અર્થે આવી રહી છે. જેમાં હરાજીમાં ગ્રેડીંગ પ્રમાણે 700 થી લઇ 16 રૂપિયા સુધી પ્રતિ મણ કેરીનો ભાવ બોલાઈ રહ્યો છે, જેને લઇને APMC ના કારભારીઓ પણ ખેડૂતને સારો ભાવ મળી રહ્યાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

ફળોનો રાજા કેરીનું કમોસમી વરસાદ પણ કંઈ બગાડી ના શક્યો! ખેડૂતો ખુશ, જાણો શું છે ભાવ

ધવલ પરીખ/નવસારી: ફળોના રાજા કેરીના આવવાથી હવે બજરોમાં રોનક છે. ખાસ કરીને આ વખતે ત્રણવાર ફ્લાવરિંગ થયુ, સીઝન વહેલી શરૂ થઈ, પણ અત્યારે પરિપકવ કેરી બજારમાં આવતા ખેડૂત અને વેપારી બંને વેચાણથી ખુશ છે તેમજ કેરી રસીયાઓ પણ મન ભરીને કેરીનો સ્વાદ માણી રહ્યા છે. એકલી નવસારી APMC માં રોજની 6 હજાર મણથી વધુ કેરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે APMC માં કેરીના સારા ભાવ મળી રહ્યા હોવાની વાત સામે કેટલાક ખેડૂતોએ પોતે માર્કેટિંગ કરી APMC કરતા 70 થી 100 ટકા વધુ ભાવ મેળવ્યા છે.

બદલાતા વાતાવરણની અસરને કારણે ફળોના રાજા કેરીનો સ્વાદ મીઠો લાગશે કે ખાટો, એટલે કે કરી ખાવા મળશે કે કેમ એની ચિંતા કેરી રસિયાઓને સતાવી રહી હતી. ફેબ્રુઆરીથી શરૂ થયેલી ગરમી અને બાદમાં કમોસમી માવઠાઓએ કેરીમાં ખરણ વધવા સાથે રોગ જીવાતનો ઉપદ્રવ વધાર્યો હતો. જેને કારણે આમ્રમંજરીથી ઉભરાયેલા આંબાઓ પર પૂરતા પ્રમાણમાં કેરી બેઠી નહીં અને બેઠી તો ગરમીને કારણે વહેલી પાકવાની સ્થિતિએ પહોંચતા ખેડૂતોએ ડરના માર્યે વહેલી ઉતારી લીધી, જેથી 15 થી 25 દિવસ વહેલી સીઝન શરૂ થઈ હતી. 

જોકે અત્યારે લાંબા સમયથી વાતાવરણ સ્થિર રહેતા કેરીના ફળ યોગ્ય સાઈઝ સાથે આંબા પર જ પરિપકવ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. નવસારી APMC ના કેરી બજારમાં રોજના 6 થી સાડા છ હજાર મણ કેરી વેચાણ અર્થે આવી રહી છે. જેમાં હરાજીમાં ગ્રેડીંગ પ્રમાણે 700 થી લઇ 16 રૂપિયા સુધી પ્રતિ મણ કેરીનો ભાવ બોલાઈ રહ્યો છે, જેને લઇને APMC ના કારભારીઓ પણ ખેડૂતને સારો ભાવ મળી રહ્યાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

બજારોમાં કેરીનું આગમન થતાં જ કેરી રસિયાઓ પણ હરખાયા છે. કેસર, હાફુસ, લંગડો સાથે જ સોનપરી તેમજ મહારાષ્ટ્રીયન કેરીની પણ માંગ જોવા મળે છે. જોકે વાતાવારણને કારણે આંબાવાડીમાં કેરીની સ્થિતિથી અધીરા બનેલા ખેડૂતો નાના અને કુમળા ફળ APMC બજારમાં લઈ જતા વેપારીઓ રીંગ બનાવી ખેડૂતોને યોગ્ય ભાવ આપતા નથી. 

વેપારીઓ કરીને વૈજ્ઞાનિક ઢબે પકવ્યા બાદ ગ્રાહકોને વેચે છે અને દોઢા થી બમણાં ભાવે વેચે છે, જેથી ખેડૂતોને ફાયદો નહીં પણ નુકશાન જતુ હોવાનું ઘણા ખેડૂતો માની રહ્યા છે. જેથી ખેડૂતોએ જાતે જ ગ્રેડિંગ અનુસાર કેરી તારવી, એનું યોગ્ય માર્કેટિંગ કરી, સ્થાનીય બજારમાં અથવા કેરી રસીયાઓ સુધી પહોંચી APMC કરતા 70 થી 100 ટકા વધુ ભાવ એટલે કે પ્રતિ મણ 2500 થી 3000 રૂપિયા મેળવી રહ્યા છે. જેનાથી 50 ટકા ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતોને નુકશાની નહીં પણ ફાયદો દેખાયો છે.

એક તરફ ઓછા ઉત્પાદને APMC સહિતના બજારોમાં કેરીની સારી આવક થઈ રહી છે. તો બીજી તરફ APMC હરાજીમાં પોષણ ક્ષમ ભાવ મુદ્દે ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે ખેડૂતો ધીરજ રાખી પરિપકવ અને વ્યવસ્થિત ફળ બજારમાં લાવે તો ભાવ ઉંચો મળે એવી આશા સેવાઈ રહી છે. નહીં તો વેપારીને છોડી ખેડૂત સીધો ગ્રાહક સુધી પહોંચે તો ખેડૂતની આશાનો ભાવ મળી શકે છે. જોકે કેરીની કિંમત સામે ગુણવત્તાયુક્ત ફળ ખાવા મળે એમાંજ કેરી રસિયાઓની આશ રહેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news