Cyclone Biparjoy: તંત્ર એલર્ટ, સંદેશા વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે ગાંધીનગરમાં બે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરાયા

Cyclone Biparjoy Update: ગુજરાતમાં વાવાઝોડું બિપરજોય ત્રાટકવા માટે તૈયાર છે. સંભવિત વાવાઝોડાના ખતરાને જોતા તંત્ર પણ તૈયાર છે. આ વચ્ચે ગાંધીનગરમાં સંદેશા વ્યવહાર માટે બે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. 

Cyclone Biparjoy: તંત્ર એલર્ટ, સંદેશા વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે ગાંધીનગરમાં બે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં ભયંકર સંકટ આવી રહ્યું છે. 15 જૂને સાંજે પાંચ કલાકે કચ્છ અને દ્વારકાના દરિયામાં વાવાઝોડું બિપરજોય ટકરાવાનું છે. સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાજ્યના મંત્રીઓએ કમાન સંભાળી છે. કાચા મકાનોમાં અને દરિયાની નજીક રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. આ વચ્ચે વાવાઝોડા દરમિયાન સંદેશા વ્યવહારમાં કોઈ અસર ન પડે તે માટે ગાંધીનગરમાં બે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. 

હેમ રેડિયો સ્ટેશન ઉભા કરાયા
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પહોંચવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત બેઠકો કરીને સમગ્ર માહિતી મેળવી રહ્યાં છે. વાવાઝોડા દરમિયાન સંદેશા વ્યવહાર યોગ્ય રીતે થઈ શકે તે માટે ગાંધીનગરમાં બે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં એક હેમ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે એક હેમ રેડિયો સ્ટેશન આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને પણ ઉભુ કરી દેવામાં આવશે. 

મુશ્કેલ સ્થિતિમાં પણ કામ કરે છે હેમ રેડિયો
હેમ રેડિયો જ્યારે કોઈ અન્ય સાધનો સંદેશા વ્યવહાર ન કરી શકે તેવી સ્થિતિમાં પણ કામ કરે છે. હેમ રેડિયો માટે કોઈ ઈન્ટરનેટ કે વીજળીની જરૂર પડતી નથી. એટલે વાવાઝોડા દરમિયાન ઈન્ટરનેટ કે વીજળીને કોઈ અસર પડે તો સંદેશા વ્યવહારનું કામ ખોરવાઈ નહીં તે માટે ગાંધીનગરમાં બે હેમ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક હજારથી વધુ નાગરિકો પાસે હેમ રેડિયોના લાયસન્સ છે, જેઓ સ્વૈચ્છિક રીતે સેવા આપે છે. 

અસાધારણ સ્થિતિમાં કરવામાં આવે છે હેમ રેડિયોનો ઉપયોગ
જ્યારે કોઈ આફત આવે જેમ કે વાવાઝોડું હોય, પૂરની સ્થિતિ હોય કે ભૂકંપ આવ્યો હોય આવી સ્થિતિમાં સંદેશા વ્યવહાર માટે હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં 2002ના ભૂકંપ, તૌકતે વાવાઝોડા કે નીલોફર વાવાઝોડા સમયે હેમ રેડિયોએ સરળતાથી કામ કર્યું હતું. એટલે કે જો કોઈ મુશ્કેલી આવે તેવી સ્થિતિમાં પણ હેમ રેડિયો દ્વારા સંદેશા વ્યવહારની આપ-લે થઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news