જસદણના જંગમાં બાવળિયા સામે ટક્કર લેશે કોંગ્રેસના અવસર નાકિયા

અવસર નાકિયા કંવરજી બાવળિયાના એક સમયના સાથી હતા. તેમને રાજકારણમાં કુંવરજી બાવળિયા લાવ્યા હતા. તેમની વિંછીયા અને જસદણ પંથકમાં સારી પકડ છે.

જસદણના જંગમાં બાવળિયા સામે ટક્કર લેશે કોંગ્રેસના અવસર નાકિયા

રાજકોટ: જસદણના જંગમાં કોંગ્રેસે આજે તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસ જસદણ પેટા ચૂંટણી માટે બાવળીયા સામે અવસર નાકિયાનું નામ જાહેર કર્યું છે. અવસર નાકિયા રાજકોટ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. અને હાલ તેઓ પંચાયતનાં સભ્ય તરીકે કાર્યરત છે. અવસર નાકિયાનું નામ જાહેર થયા બાદ તેઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનેતા પરેશ ધાનાણીની હાજરીમાં આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે.

અવસર નાકિયા કંવરજી બાવળિયાના એક સમયના સાથી હતા. તેમને રાજકારણમાં કુંવરજી બાવળિયા લાવ્યા હતા. તેમની વિંછીયા અને જસદણ પંથકમાં સારી પકડ છે. અવસર નાકિયાની કોળી સમાજ અને અન્ય સમાજ પર સારી પકડ જોતા કોંગ્રેસ ઉમેદવારના તરીકે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકારણમાં આવ્યા પહેલા અવસર નાકિયા રીક્ષા ચલાવતા હતા. તેમનો જન્મ 4 જુલાઇ 1972ના રોજ આસલપુર ગામમાં થયો હતો. તેમને સંતાનમાં 1 છોકરો અને 5 છોકરીઓ છે.

જસદણ પેટા ચૂંટણી માટે ભાજપ બાદ આજે કોંગ્રેસે પણ કોળી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. અવસર નાકિયા આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ નોંધાવવાનો અંતિમ દિવસ છે. અવસર નાકિયાએ કુંવરજી બાવળિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આજ સુધી કોંગ્રેસના નામે કુંવરજી જીતે છે. કુંવરજીભાઈ ભલે પોતાની જીતના દાવાઓ કરે પરંતું મેદાનમાં આવશે ત્યારે લોકોનું સમર્થન કોની સાથે છે તે ખબર પડી જશે.

ઉલ્લેખનિય છે કે, જસદણ પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠક અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા જાણે પહેલી વખત આટલું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જસદણ બેઠક વિસ્તારમાં કોળી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. જે પાર પાડવા કોંગ્રેસ દ્વારા અહીંના કોળી અને પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને બાજુથી દિગ્ગજ નેતાઓનો સહારો લીધો છે. કોંગ્રેસે પાટીદાર ધારાસભ્યો વિરજી ઠુમર, પ્રતાપ દૂધાત, બ્રિજેશ મેરજા, ચિરાગ કલસરીયા, લલિત કથીરિયા તેમજ પૂંજા વંશ, સોમાભાઇ પટેલ, રાજેશ ગોહિલ અને ઋત્વિજ મકવાણાને મતદારોને રીઝવવા માટે મેદાનમાં ઉતાર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news