VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, સર્વન્ટની ભૂલના કારણે બદલાયો મૃતદેહ

શહેરની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓના મૃતદેહની અદલાબદલી થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પ્રાથમિક તબ્બકે હોસ્પિટલના એક સર્વન્ટ અશ્વિન વાઘેલાનું નામ સામે આવ્યું છે.

VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, સર્વન્ટની ભૂલના કારણે બદલાયો મૃતદેહ

મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓના મૃતદેહની અદલાબદલી થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પ્રાથમિક તબ્બકે હોસ્પિટલના એક સર્વન્ટ અશ્વિન વાઘેલાનું નામ સામે આવ્યું છે. હોસ્પિટલના એક સર્વન્ટની ભૂલને કારણે આવું થયું હતું. જેને લઇ તંત્ર હાલ તેને સસ્પેન્ડ કરી દીધો છે.

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓની લાશની અદલા-બદલી મામલે વીએસ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ મનીષ પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલે જે બનાવ બન્યો તે દુ:ખદ છે. અમારા એક સર્વન્ટની ભૂલના કારણે મૃતદેહ બદલાઇ ગયા હતા. ત્યારે આ મામલે 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ડોક્ટર્સ પણ સામેલ છે. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ ઉપર મૃતકના નામનું ટેગ પણ હોય છે. આ ઉપરાંત CMO ચકાસણી કર્યા બાદ પોલીસ અને સંબંધીઓની ઓળખ કરાયા બાદ જ મૃતદેહ સોંપવામાં આવે છે. તેમ છતાં આવું કઇ રીતે બન્યું તે પણ એક સવાલ છે. ત્યારે કમિટીના રિપોર્ટ આવ્યા બાદ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

જાણો શું છે સમગ્ર ઘટના?
બાવળામાં થયેલ મિત્તલ જાદવની હત્યાના કેસમાં મિત્તલની લાશ વીએસ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ રૂમમાં હતી. ત્યારે વીએસમાં જ દાણીલીમડાની નસરીનબાનુ નામની એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે મહિલાનું પ્રસૂતિ પહેલાં જ ગુરુવારે મોત નિપજ્યું હતું. નસરીનબાનુનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હોવાથી કોલ્ડસ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. જ્યારે મિત્તલ જાધવનો મૃતદેહ સ્વીકારવા તેના પરિવારજનો આવ્યા ત્યારે મિત્તલના બદલે હોસ્પિટલના કર્મચારીઓએ નસરીનબાનુનો મૃતદેહ સોંપી દીધો અને મિત્તલના પરિવારજનોએ તેના મૃતદેહ લઈને તેની દફનવિધિ પણ થઇ ગઇ હતી.

તો બીજી બાજુ નસરીનબાનુના પરિવારજનો વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોલ્ડસ્ટોરેજમાં નસરીનબાનુનો મૃતદેહ ન જોતાં તેઓ રોષે ભરાયા અને હલ્લાબોલ કર્યો હતો. શરૂઆતમાં એવી વાતો થઈ કે કોલ્ડસ્ટોરેજમાંથી મૃતદેહ લાપતા થઈ ગયો અને તે મૃતદેહ ગયો તો ક્યાં ગયો. પરંતુ પછી હકીકત સામે આવી કે નસરીનબાનુનો મૃતદેહ તો મિત્તલ જાધવના પરિવારજનોને સોંપાઈ ગયો છે. તંત્રની બેદરકારી સામે રોષે ભરાયેલા નસરીનબાનુના પરિવારજનોએ વીએસ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહની માગ કરી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news