ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય : દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!

Loksabha Election 2024: રાજકોટથી ભાજપ રૂપાલાને જરા પણ બદલવાના મુડમાં હોય તેમ લાગતું નથી. પુરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા બાદ પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી. 

  • દબાણ અને અક્કડ વલણ સામે નહીં ઝૂકે ભાજપ
  • ક્ષત્રિયોની દબાણની રાજનીતિ ભાજપને મંજૂર નહીં
  • ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય
  • રૂપાલાને દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!
  • ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર 
  • પદ્મિનીબાનો પણ રૂપાલા વિરુદ્ધ ડોર ટુ ડોર પ્રચાર 

Trending Photos

ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય : દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!

Loksabha Election 2024: ક્ષત્રિય સમાજનો આકરો વિરોધ, અને ટિકિટ રદ કરવાની માગણી, રૂપાલાનું દિલ્લી જવું અને ગાંધીનગરમાં રૂપાલાના નિવાસસ્થાને મોટી બેઠક આ તમામ ઘટનાક્રમ પછી લાગતું તો એવું હતું કે કદાચ ક્ષત્રિયોની માગ ભાજપ સ્વીકારી લેશે. પરંતુ ભાજપે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે આક્રમક વલણ અને દબાણ સામે ભાજપ ઝૂકશે નહીં. રાજકોટથી ભાજપ રૂપાલાને જરા પણ બદલવાના મુડમાં હોય તેમ લાગતું નથી. પુરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા બાદ પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી. તો સામે ક્ષત્રિયોએ પણ રૂપાલા બાયકોટનું પોસ્ટર વૉર શરૂ કર્યું છે.

દબાણ અને અક્કડ વલણ સામે નહીં ઝૂકે ભાજપ
કેડરબેઝ કહેવાતી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયોના આક્રમક વિરોધ અને અક્કડ વલણ સામે નહીં ઝૂકવાનો સ્પષ્ટ મેસેજ આપી દીધો છે. દબાણ બનાવી પાર્ટીને પોતાનું ધાર્યુ કરાવવાનો પ્રયાસ જરા પણ નહીં જ ચલાવી લેવાય. પાર્ટીનો આ સ્પષ્ટ સંદેશ રૂપાલાના પ્રચાર પરથી સમજી શકાય છે. છેલ્લા કેટલાક દિવસોથી પરશોત્તમ રૂપાલાએ આપેલા એક નિવેદનને કારણે ક્ષત્રિયોમાં ભારે રોષ છે. ક્ષત્રિયોના રોષ અને આક્રમક વલણ વચ્ચે રૂપાલાએ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો અને ત્રણ વખત માફી પણ માગી. પરંતુ ક્ષત્રિયોને આ માફી મંજૂર જ નથી. તેમની તો એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ જ કરો. સ્થાનિક સ્તરે, સામાજિક સ્તરે તેમજ સંગઠન અને સરકારે પણ ક્ષત્રિય આગેવાનોને બોલાવી સમજાવવાનો પ્રયાસ કર્યો. ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બે હાથ જોડી રાજપૂત સમાજને વિનંતી પણ કરી. સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ પરંતુ રાજપૂતો ટસના મસ ન થયા. તો હવે ભાજપે પણ કહી દીધું છે કે તમારી માગ અમને મંજૂર નથી. 

ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય
રૂપાલા દિલ્લી ગયા હતા. જો કે દિલ્લી જવાનું કારણ કેબિનેટની બેઠક હતી. પરંતુ રૂપાલા દિલ્લી ગયા તો ગુજરાતમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે કંઈક નવા જૂની થશે. કદાચ ક્ષત્રિયોની માગ માની લેવાશે. પરંતુ એવું કંઈ જ ન થયું. રૂપાલાને દિલ્લીથી પણ ગ્રીન સિગ્નલ મળી જતાં હવે રૂપાલાએ પોતાના મતવિસ્તારમાં આવી પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. રાજકોટ આવ્યા બાદ સૌથી પહેલા તેઓ ક્ષત્રિય સમાજના કુળદેવી અને રાજપૂતોની આસ્થાના કેન્દ્ર મા આશાપુરાના દર્શને પહોંચ્યા. અહીં પૂજા-અર્ચના બાદ રૂપાલાએ સ્થાનિક નેતાઓ અને વર્તમાન સાંસદ સાથે મળી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો. ઘરે ઘરે જઈને રૂપાલાએ પોતાને મત આપવા માટે મતદારોને પેમ્પેલ્ટ આપ્યા. તો મહિલાઓના કેટલાક કાર્યક્રમમાં હાજરી આપી પોતાની સક્રિયતા બતાવી.

રૂપાલાને દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!
રૂપાલા રાજકોટમાં જીત માટે પરસેવો પાડતા જોવા મળ્યા. સ્થાનિક ભાજપના નેતાઓ, રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના નેતાઓએ સાથે મળી તેમણે પ્રચાર તો કર્યો જ. સાથે સાથે આ તમામ નેતાઓ સાથે જમીન પર બેસી ભોજન પણ કર્યું. ઘરેથી લાવવામાં આવેલા ટિફિનને સૌએ સાથે મળી ખોલ્યું અને કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય માહોલ પણ ગરમ કરી દીધો. તો ભાજપના સ્પષ્ટ સંદેશ બાદ પણ ક્ષત્રિય સમાજ પોતાના વલણ પર હજુ પણ અક્કડ જોવા મળ્યો. 

ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર 
ક્ષત્રિય આંદોલનમાં ચહેરો બનેલા પદ્મિનીબા વાળા પણ રાજનીતિના અખાડામાં ઉતરી ગયા હોય તેવું લાગ્યું...તેમણે રૂપાલા વિરુદ્ધ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. બાયકોટ રૂપાલા લખેલા પેમ્પ્લેટનું તેમણે ઘરે ઘરે જઈને વિતરણ કર્યું. તો જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી પોતાનું અનશન ચાલુ રાખવાની પણ ચીમકી આપી...પદ્મિનીબાના દાવા પ્રમાણે 5 એપ્રિલ તેમના અનશનનો ત્રીજો દિવસ છે. તો રૂપાલાના આશાપુરા માતાજીના દર્શન જવા પર ઈમોશનલ કાર્ડ રમતા પદ્મિનીબાએ કહ્યું કે, માતાજી પણ એક શક્તિ છે. બહેન દીકરીઓ પર બોલનારને માતાજી ક્યારેય માફ નહીં કરે.

પદ્મિનીબાનો પણ રૂપાલા વિરુદ્ધ ડોર ટુ ડોર પ્રચાર 
ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વૉર સામે હવે એક સમયે ભાજપ સરકાર વિરુદ્ધ હતું તે પણ ભાજપ સાથે આવી ગયું છે. અમે વાત પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની કરી રહ્યા છીએ. ક્ષત્રિયોના આક્રમક વલણ વચ્ચે હવે પાસે રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લગાવવાનું શરૂ કરી દીધું છે. અને ખુલ્લીને તેમણે પોસ્ટરમાં લખ્યું છે કે હું સનાતન છું, હું હિન્દુત્વની સાથે છું, હું ભાજપની સાથે છું. એટલું જ નહીં પાસે પાટીદાર એક્તા મહાસંમેલનના બોલાવવાની પણ ચર્ચાઓ શરૂ કરી દીધી છે. 

રૂપાલા 12 એપ્રિલે ફોર્મ ભરવાના છે. તો સામે ક્ષત્રિયોએ ચીમકી આપી છે કે જો રૂપાલા ફોર્મ ભરશે તો મોટું મહાસંમેલન બોલાવવામાં આવશે. વિરોધની આ આગ ગુજરાત બહાર લઈ જવામાં આવશે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા પણ ગુજરાત આવવાના છે. ત્યારે જોવાનું રહેશે કે વિરોધ, અક્કડ વલણ, અને દબાણ સામે નહીં ઝૂકવાની આ રાજનીતિ ક્યાં સુધી જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news