બિલ્ડરો અને નાગરિકો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાતનું તમામ પ્રકારનું બાંધકામ અટકી જશે

 છેલ્લા એક સપ્તાહથી તમામ કવોરી માલિકો ૧૭ જેટલા મુદ્દાની માંગોને લઇ હડતાલ પર ઉતર્યા છે. તમામ કવોરીઓ હાલ બંધ છે ત્યારે કવોરી માલિકો આ વખતે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. માંગ નહી સ્વીકારાય ત્યાં સુધી તમામ કવોરીઓ બંધ રાખવામાં આવશે. 

  • સેંકડો ટ્રકના ટાયર થંભી જતા ટ્રાન્સપોર્ટરોને પણ ખુબ જ નુકસાન જઇ રહ્યું છે
  • ક્વોરી માલિકોની હડતાળના કારણે સરકારને રોજિંદી રીતે કરોડો રૂપિયાનું નુકસાન
  • સંચાલકો જ્યાં સુધી સરકાર સમસ્યાનો ઉકેલ ન લાવે ત્યાં સુધી હડતાળ યથાવત્ત રાખી લડી લેવાનાં મુડમાં

Trending Photos

બિલ્ડરો અને નાગરિકો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાતનું તમામ પ્રકારનું બાંધકામ અટકી જશે

સુરત : જીલ્લાના કામરેજ ખાતે દક્ષિણ ગુજરાત કવોરી એસોસિયેશનની મહત્વની મીટીંગ મળી હતી. છેલ્લા એક સપ્તાહથી તમામ કવોરી માલિકો ૧૭ જેટલા મુદ્દાની માંગોને લઇ હડતાલ પર ઉતર્યા છે. તમામ કવોરીઓ હાલ બંધ છે ત્યારે કવોરી માલિકો આ વખતે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. માંગ નહી સ્વીકારાય ત્યાં સુધી તમામ કવોરીઓ બંધ રાખવામાં આવશે. સરકારના અગત્યના પ્રોજેક્ટ આ આંદોલનની ગંભીર અસર થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 

૧૭ જેટલા મુદ્દાઓની માંગને લઇ ગુજરાત રાજ્યના કવોરી સંચાલકો હાલ હડતાલ પર ઉતર્યા છે. આજે સુરત જીલ્લાના કામરેજ નજીક નેશનલ હાઈવે પર એક હોટલમાં દક્ષીણ ગુજરાતના કવોરી સંચાલકોની અગત્યની મીટીંગ મળી હતી. જેમાં તેમની માંગણીઓ અને અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. હડતાલની આગળની રણનીતિ નક્કી કરવામા આવી હતી. હડતાલને લઇ કવોરીના વ્યવસાય સાથે સંકળાયેલા દોઢ લાખ લોકો હાલ બેરોજગાર થઇ ચુક્યા છે. ૫૦ હજાર જેટલી ટ્રકોના પૈંડા થંભી ચુક્યા છે. રાજ્યની કુલ ૩૦૦૦ કવોરી હાલ બંધ છે. કવોરી સંચાલકોની કુલ ૧૭ મુદ્દા સાથેની માંગ છે. કવોરી સંચાલકોની હડતાલને લઇ સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. કવોરી સંચાલકો પાસેથી આવતી લગભગ રોજની ૨૫ કરોડ રૂપિયાની આવક બંધ છે. જયારે ડીએમએફ જીએસટીની ૧૦ કરોડની આવક સરકાર ગુમાવી રહી છે. આવી અનેક વસ્તુઓ છે જેનાથી સરકારને નુકસાન થઇ રહ્યું છે.

કવોરી સંચાલકો પોતાની માંગને લઇ ૨૦૦૮ થી સરકાર સામે લડત લડી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા દર વખતે સંચાલકોને લોલીપોપ આપવામાં આવે છે. કવોરી માલિકોની કુલ ૧૭ માંગો છે. જે પેકીની ૮ માંગ મુખ્યત્વે છે. જેમાં કવોરીના ખાડાની માપનીની બાબત, ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝો હરાજી વગર આપવા બાબત, કવોરી ઝોન ડીકલેર કરવા બાબત તેમજ ખનીજ કીમત ૩૫૦ રૂપિયાની જગ્યાએ ૫૦ રૂપિયા કરવા બાબત મુખ્ય છે. જો કે કવોરી સંચાલકો આ વખતે લડી લેવાના મૂડમાં છે અને જ્યાં સુધી એમની માંગો પૂરી ના થાય ત્યાં સુધી કવોરી બંધ રાખવા પર અડીખમ છે.

હાલ કવોરી બંધ હોવાને લઇ કવોરી સંચાલકો અને કામદારો તો બેરોજગાર થયા જ છે પરંતુ સાથે સાથે સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. હાલ ગુજરાત રાજ્યમાં સરકારના મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, એક્શ્પ્રેશ હાઈવે વગેરે કામો જોરશોરથી ચાલી રહ્યા છે અને તમામ વસ્તુઓમાં કપચીની જરૂર પડે છે પરંતુ હાલ કવોરી સંચાલકોની હડતાલને લઇ તમામ કામો પર તેની અસર પડી શકે છે. નગર પાલિકા, મહાનગર પાલિકામાં ઓવર બ્રિજના કામો કે પછી રોડ રસ્તાના કામો પણ કપચીની જરુર પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news