વડાપ્રધાન મોદીની એક સલાહે આ ગુજરાતી ખેડૂતને લખપતિ બનાવ્યા, પછી કદી પાછળ વળીને ન જોયું

Organic Farming : ભાવનગર જિલ્લાના દિહોર ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવીને પોતાના ખેતરમાં તરબૂચ, ગાજર, ટામેટા અને ડુંગળીનું વાવેતર કર્યું

વડાપ્રધાન મોદીની એક સલાહે આ ગુજરાતી ખેડૂતને લખપતિ બનાવ્યા, પછી કદી પાછળ વળીને ન જોયું

Gujarat Farmers નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલાં દિહોર ગામના પ્રગતિશીલ ખેડૂત શક્તિસિંહ ગોહિલ તરબૂચની ખેતી કરી રહ્યા છે, ગૌ આધારિત જીવામૃત અને અજમાસ્ત્ર નો ઉપયોગ કરી સારા ઉત્પાદન સાથે સારું ઉપાર્જન પણ મેળવી રહ્યા છે, જોકે આ વર્ષે બદલાઈ રહેલા વાતાવરણની માઠી અસરો જોવા મળી છે જેના કારણે ગત વર્ષ કરતાં તરબૂચના ફાલમાં આ વર્ષે ૫૦% નો ઘટાડો નોંધાયો છે.

ભાવનગર જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ બની રહ્યા છે, તેમજ ધીમી ગતિએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી ઓર્ગેનિક ખેતી અપનાવી રહ્યા છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ગૌ આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને જેનો ખૂબ બહોળા પ્રચારના કારણે અનેક ખેડૂતોએ પોતાની ખેતી પદ્ધતિઓ બદલાવી નાંખી છે. રાસાયણિક ખેતીમાં જમીનને અનુરૂપ અને તેને ઉપયોગી થઇ શકે તેવા તમામ તત્વો નથી હોતા, રાસાયણિક દવાઓના અતિરેકના કારણે જમીન અને ખેતીને ઉપયોગી એવા સેંકડો બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે, સાથે તેના દ્વારા ઉત્પાદિત થયેલા ફળો, શાકભાજી કે અનાજ ખાવાથી અનેક રોગો માનવીને ભેટરૂપે મળે છે એ વધારાનું.

રાસાયણિક ખેતી ખૂબ નુકશાનકારક સાબિત થઈ રહી છે, પરંતુ ઓર્ગેનિક ખેતી પદ્ધતિમાં આવું નથી થતું, ગૌ આધારિત ખેતી અને જીવામૃતનો ઉપયોગ જમીન ને ફરી સજીવન કરે છે, અને ધીમેધીમે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે, તેમજ પોષક તત્વો અને ખેતીને ઉપયોગી બેકટેરિયાનું પણ જતન કરે છે, જેના કારણે ફાલ પણ સારો આવે છે, અને ખેડૂતના ખર્ચમાં ઘટાડો કરી નફામાં વધારો કરે છે. સૌથી અગત્ય નું તેના દ્વારા પકવેલો પાક માનવીને કોઈ જાતનું નુકશાન પણ નથી કરતો, જેના પરિણામે ભાવનગર જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ખેતી પધ્ધતિ અપનાવી સમૃદ્ધિના દ્વાર ખોલી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલાં દિહોર ગામના પ્રગતિશીલ ખેડૂત શક્તિસિંહ ગોહિલે પણ હવે ઓર્ગેનિક ખેતી પધ્ધતિ અપનાવી લીધી છે, તેમણે પોતાની વાડીમાં જ ગીર ગાયની નાની ગૌશાળા બનાવી છે, અને જેના ઉપયોગ થકી તેઓ ગૌ આધારિત જીવામૃત બનાવી ખેતીમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે, વડીલો પાર્જીત 16 વીઘા જમીનમાં અલગ અલગ 4 વિભાગો પાડી તેઓ તરબૂચ, ગાજર, ટામેટાં અને ડુંગળીની ખેતી કરી રહ્યા છે, જેમાં ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરેલા તરબૂચની  ખેતીમાં તેઓને સારું ઉત્પાદન મળી રહ્યું છે.

ગૌ આધારિત જીવામૃત થકી તૈયાર થયેલા તરબૂચમાં એક અલગ પ્રકારની મીઠાશ મળે છે, જેના કારણે તેઓનો પાક ખેતરમાંથી સીધો જ વેચાઇ જાય છે અને જેના કારણે તેઓ એક વીઘા દીઠ એક લાખ સુધીની આવક મેળવી રહ્યા છે, જોકે વાતાવરણમાં થઈ રહેલા સતત ફેરફારના કારણે ગત વર્ષ કરતાં આ વર્ષ નબળું રહ્યું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. બગડી રહેલા હવામાન, ઠંડી ગરમી જેવું મિશ્ર વાતાવરણ અને કમોસમી વરસાદથી તરબૂચના પાકમાં ઘટાડો થયો છે અને ફાલ ઓછો ઉતારવા ના કારણે તેમની વીઘા દીઠ આવકમાં પણ થોડો ઘટાડો થયો હોવાનું તેમની સાથે વાત કરતા ખેડૂતે જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news