વિજય મુહૂર્ત કોને ફળશે? જાણો ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના કયા કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Loksabha Election 2024: 16 એપ્રિલે વિજય મુર્હૂતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપના 16, કોંગ્રેસના 9 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી નોંધાવી હતી.

વિજય મુહૂર્ત કોને ફળશે? જાણો ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના કયા કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Loksabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. પુરજોશમાં તમામ પાર્ટીઓનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજનેતાઓ ઘરે ઘરે જઈને મત માગી રહ્યા છે. 16 એપ્રિલે વિજય મુર્હૂતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપના 16, કોંગ્રેસના 9 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી નોંધાવી હતી.

લોકશાહીના સૌથી મોટા ઉત્સવમાં પ્રજાના પ્રતિનિધિ દિલ્લી દરબારમાં પહોંચવા માટે સૌથી પહેલું પગથિયું ચડતા જોવા મળી રહ્યા છે. ચૂંટણીના રણમેદાનમાં ઉતરવા માટે સૌથી પહેલા તમે કોઈ પાર્ટીના ઉમેદવાર હોવા જરૂરી છે. ઉમેદવાર બન્યા પછી ફોર્મ ભરીને તમે ચૂંટણીના મેદાનમાં યૌદ્ધા બનો છે. ત્યારે ભાજપના ઉમેદવારો રાજકોટથી પરશોત્તમ રૂપાલા, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, સુરતથી મુકેશ દલાલ, વડોદરાથી હેમાંગ જોશી અને કચ્છથી વિનોદ ચાવડાએ પોતાના સમર્થકો અને ભાજપના કાર્યકરોને સાથે રાખી શક્તિ પ્રદર્શન કરી જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસમાં જઈને પોતાનું નોમિનેશન કર્યું હતું.

ઉમેદવારોએ સભા સ્વરૂપે પણ પ્રચાર કરવામાં આવ્યો
આજ રીતે ભાજપના ઉમેદવાર આણંદથી મિતેશ પટેલ, બનાસકાંઠાથી રેખા ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, ભાવનગરથી નિમુબહેન બાંભણિયા અને પાટણથી ભરતસિંહ ડાભીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારો સાથે મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉમેદવારોએ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો સભા સ્વરૂપે પણ પ્રચાર કરવામાં આવ્યો હતો.

ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ભાજપે આ વખતે મોટા ભાગના સાંસદને રિપિટ કર્યા છે. તો રાજ્યસભામાંથી સાંસદોને પણ લોકસભાની લડાઈમાં ઉતાર્યા છે. સાબરકાંઠાથી શોભના બારૈયા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, દાહોદથી જશવંતસિંહ ભાભોર, છોટાઉદેપુર જશુ રાઠવા, બારડોલીથી પ્રભુ વસાવા અને મહેસાણાથી હરિભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • ભાજપ-કોંગ્રેસના મુરતિયાએ ભર્યા ફોર્મ
  • ઉમેદવારોએ ભર્યા ફોર્મ, હવે વારો જનતાનો
  • જનતા નક્કી કરશે કે કોને દિલ્લી મોકલવો?
  • ભાજપના 16 અને કોંગ્રેસના 9 ઉમેદવારો ભર્યા ફોર્મ
  • સમર્થકોના જામવડા વચ્ચે કર્યું શક્તિ પ્રદર્શન 
  • તમામ ઉમેદવારને છે પોતાની જીતનો વિશ્વાસ

સરકાર ઢીલી પડી! રૂપાલાના દીકરાને ઉતારો પણ 'રૂપાલા' નહીં, 2 દિવસ બાદ ફરી બેઠક

16 એપ્રિલે ભાજપના 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. તો કોંગ્રેસના 9 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાવનગરથી કોંગ્રેસ અને આપના ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા, સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી, પોરબંદરથી લલિત વસોયા, અમરેલીથી જૈની ઠુમ્મર અને વલસાડથી અનંત પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સિવાય ગાંધીનગરથી સોનલ પટેલ, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, કચ્છથી નીતિસ લાલણ, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને છોટાઉદેપુરથી સુખરામ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પોતાની જીતનો વિશ્વાસ છે. જો કે પ્રજા કોને ચૂંટે છે તે જોવાનું રહેશે. આ બધાની વચ્ચે રાજકોટમાં હવે મુકાબલો રોચક બની ગયો છે. રાજકોટમાં કડવા અને લેઉવા વચ્ચેની લડાઈ છે. તો ક્ષત્રિયોનું આંદોલન રૂપાલા વિરોધમાં ચાલી રહ્યું છે. ત્યાં પરેશ ધાનાણી ક્ષત્રિયાણીઓ વચ્ચે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજની મહિલાઓએ ધાનાણીનું સ્વાગત કર્યું હતું અને પોતાનું સમર્થન આપ્યું હતું. ગુજરાતની તમામ 26 બેઠક પર 7 મેએ મતદાન યોજાવાનું છે. ગુજરાતની જનતા કોને દિલ્લી મોકલે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news