જ્યારે નૂતને ગુસ્સામાં સંજીવકુમારને ઠોકી દીધો હતો લાફો કારણ કે...

નૂતનની ગણતરી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ હિરોઇન ગણવામાં આવે છે

જ્યારે નૂતને ગુસ્સામાં સંજીવકુમારને ઠોકી દીધો હતો લાફો કારણ કે...

મુંબઈ : નૂતનની ગણતરી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ હિરોઇન ગણવામાં આવે છે. તેણે પોતાની કરિયરમાં અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું અને અનેક એવોર્ડ પણ જીત્યા. નૂતનનો જન્મ 4 જૂન, 1936ના દિવસે મુંબઈમાં થયો હતો. તેના પિતા કુમારસેન સમર્થ એક ફિલ્મ ડિરેક્ટર હતા અને માતા શોભના સમર્થ એક્ટ્રેસ હતી. નૂતનની બહેન તનુજા પણ સફળ હિરોઇન હતી. નૂતને 1950માં ફિલ્મ 'હમારી બેટી' ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરી અને લગ્ન પછી પણ તેને અનેક મજબૂત ભૂમિકા ભજવવાની તક મળી. આખરે માત્ર 54 વર્ષની વયે કેન્સરને કારણે નૂતનનું માત્ર 54 વર્ષની વયે અવસાન થઈ ગયું હતું.  

નૂતને પોતાની કરિયરમાં અનેક ઝળહળતી સફળતા મેળવી છે પણ અનેકવાર વિવાદનો સામનો પણ કર્યો છે. આવો જ એક કિસ્સો નૂતન અને સંજીવકુમાર સાથે જોડાયેલો છે. સંજીવકુમાર અને તેમના જેવી જ ટેલેન્ટેડ તેમજ સન્માનીય એક્ટ્રેસ નૂતને ‘દેવી’ નામની ફિલ્મમાં સાથે કામ કર્યું છે. 1968માં આ ફિલ્મના સેટ પર જ તમામ કલાકાર અને કસબીઓની હાજરીમાં નૂતને સહકલાકાર સંજીવકુમારને સણસણતો તમાચો ચોડી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી.

નૂતન અને સંજીવકુમાર ‘દેવી’માં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ચર્ચાએ ભારે વેગ પકડ્યો હતો અને નિયમિત રીતે આ મતલબના અહેવાલ પ્રકાશિત થતા હતા. આ સમયે નૂતનના નેવલ ઓફિસર રજનીશ બહેલ સાથે લગ્ન થઈ ચુક્યા હતા અને આ પ્રકારના અહેવાલોના કારણે તેના પરિણીત જીવનમાં ભારે સમસ્યા ઉભી થઈ ગઈ હતી. નૂતનને એવી શંકા હતી કે એ સમયે નવોદિત સંજીવકુમાર ચર્ચામાં રહેવા માટે અને કરિયરને આગળ વધારવા માટે મિડિયાને તેની સાથેના પ્રેમપ્રકરણના ખોટા સમાચાર સામેથી આપી રહ્યો છે.

નૂતને આ શંકાને આધારે એક દિવસ ગુસ્સામાં અને પોતાની જાતને પતિની નજરોમાં પવિત્ર સાબિત કરવા માટે બધાની વચ્ચે સંજીવકુમારને લાફો મારીને તેમના પ્રેમપ્રકરણની ચર્ચા પર કાયમ માટે પુર્ણવિરામ મુકી દીધું. ચર્ચા છે કે નૂતન પર તેના પતિ રજનીશ બહલે આવું વર્તન કરવા માટે દબાણ કર્યું હતું. આ ઘટના પછી સંજીવકુમારના કેમ્પના સભ્યોએ માહિતી લિક કરી હતી કે નૂતન-સંજીવના રોમેન્સના સમાચારમાં થોડા ઘણા સત્યના અંશો હતા અને એટલે જ આ ચર્ચાના કારણે નૂતન લગ્નજીવનમાં ખટરાગ ઉભો થયો હતો. જોકે બધાની વચ્ચે જાહેરમાં આટલું મોટું અપમાન થયું હોવા છતાં આ ઘટના વિશે સંજીવકુમારે એક હરફ પણ નહોતો ઉચ્ચાર્યો અને સ્પષ્ટતા કરી હતી કે હું નૂતનનો ગુસ્સો અને માનસિક સ્થિતિ સમજી શકું છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news