Movie Review Shikara: કાશ્મીરી પંડિતો પર બનેલી 'શિકારા' જોતા પહેલા જાણો કેવી છે ફિલ્મ

ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડા એકવાર ફરીથી નવી વાર્તા લઈને આવ્યાં છે. ફિલ્મ 'શિકારા' દ્વારા વિધુ વિનોદ ચોપડાએ દર્શકોને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તાને એક પ્યારી લવસ્ટોરી દ્વારા જતાવવાની કોશિશ કરી છે. શિકારા 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા જુલ્મોને દર્શાવે છે. કેવી રીતે રાતો રાત તેમણે ઘરમાંથી નીકળી જવા માટે મજબુર કરાયા. ફિલ્મમાં બે નવા કલાકારો આદિલ ખાન અને સાદિયા ખાન જોવા મળી રહ્યાં છે. 
Movie Review Shikara: કાશ્મીરી પંડિતો પર બનેલી 'શિકારા' જોતા પહેલા જાણો કેવી છે ફિલ્મ

નવી દિલ્હી: ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડા એકવાર ફરીથી નવી વાર્તા લઈને આવ્યાં છે. ફિલ્મ 'શિકારા' દ્વારા વિધુ વિનોદ ચોપડાએ દર્શકોને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તાને એક પ્યારી લવસ્ટોરી દ્વારા જતાવવાની કોશિશ કરી છે. શિકારા 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા જુલ્મોને દર્શાવે છે. કેવી રીતે રાતો રાત તેમણે ઘરમાંથી નીકળી જવા માટે મજબુર કરાયા. ફિલ્મમાં બે નવા કલાકારો આદિલ ખાન અને સાદિયા ખાન જોવા મળી રહ્યાં છે. 

વાર્તા
ફિલ્મની વાર્તા 1989થી શરૂ થાય છે. ઘાટીમાં રહેતો શિવકુમાર ધર (આદિલ ખાન) તેની પત્ની (સાદિયા ખાન)ની સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો છે. બંને પતિ પત્ની પોતાના ઘરમાં ખુશી ખુશી રહે છે. બંનેએ પોતાના ઘરનું નામ શિકારા રાખ્યું છે. તેઓ ખુબ મહેનત અને પ્રેમથી પોતાના ઘરને સજાવે છે અને તેમાં રહે છે. વાર્તા આગળ વધે છે. ઘાટીમાં સાંપ્રદાયિક તણાવ વધે છે અને લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળી જવાનું કહેવાય છે. કાશ્મીરી પંડિતોને તેમના ઘરમાંથી પલાયન કરવાનું કહેવાય છે. હિંસા અને મારપીટ થાય છે. આ બધા વચ્ચે શિવ અને શાંતિને પણ પોતાનું ઘર છોડીને જવા માટે કહેવાય છે. ઈચ્છા ન હોવા છતાં શિવ અને શાંતિ પોતાનું ઘર રાતોરાત છોડી દે છે. બંનેએ 29 વર્ષ સુધી રેફ્યુજી કેમ્પમાં રહેવું પડે છે. જેનું કારણ તે વખતની સરકારને ગણવામાં આવે છે. જેણે તે સમયે કાશ્મીરી પંડિતોના દુ:ખ દર્દ અવગણ્યાં. શિવ અને શાંતિ ઉપરાંત અનેક કાશ્મીરી પંડિતોની સાથે આવું બધુ જ થઈ રહ્યું છે. તેમની પાસે બે જ રસ્તા બચ્યા છે. કા તો પોતાનું ઘર છોડી દે અથવા તો પછી ત્યાં રહીને સાંપ્રદાયિક હિંસાનો ભોગ બને. હવે આવામાં શિવ અને શાંતિના પ્રેમ અને બાકીના કાશ્મીરી પંડિતો સાથે તે સમયગાળામાં શું શું થાય છે તે બધુ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. 

ફિલ્મમાં આદિલ ખાન અને સાદિયા ખાન મુખ્ય ભૂમિકામાં છે. ડાઈરેક્શન અને પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા છે. તેમણે આ ફિલ્મ તેમની માતાને ડેડીકેટ કરી છે. કાશ્મીરી પંડિતોના દર્દને એક લવસ્ટોરીમાં પરોવ્યું છે. કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાયપૂર્ણ ઘટનાને નિર્દેશકે બે પાત્રો સાથે વણી છે. જે મનને સ્પર્શી જાય છે. પરંતુ વિધુ વિનોદ ચોપડા ફિલ્મનું ડાઈરેક્શન કરતી વખતે કાશ્મીરી પંડિતોના દર્દને સંજીદગી સાથે ડાઈરેક્ટ કરી શક્યા નહીં. વિધુ અનેક પહેલુઓને સ્પર્શ્યા વગર નિકળી ગયાં. એવા પહેલુઓ જે કાશ્મીરી પંડિતોની આંખો ભીંજવી નાખે છે. આ ફિલ્મની સરખામણી મધર ઈન્ડિયા સાથે કરનારા વિધુ વિનોદ ચોપડાએ એ વાતનો બરાબર ખ્યાલ રાખ્યો છે કે ફિલ્મ કોઈ વિવાદમાં ન ફસાય. 

આદિલ ખાન અને સાદિયા ખાનની એક્ટિંગ સારી છે. શાનદાર છે. જરાય એવું ન લાગે કે આ તેમની પહેલી ફિલ્મ છે. બંનેની સાદગી લોકોને સ્પર્શે છે. ફિલ્મમાં સંગીત આપવા માટે એક રૂપિયો પણ ન લેનારા એ આર રહેમાને ખુબ જ શાનદાર પ્લેબેક મ્યુઝિક આપ્યું છે. ફિલ્મમાં વચ્ચે વચ્ચે ચાલતી શાયરી સીધી હ્રદયને સ્પર્શે છે. ગીતોના શબ્દો ઈરશાદ કામિલે લખ્યા છે. જે હ્રદયને શાંતિ આપે છે. 

નબળી કડી
એવોર્ડ અને રિવોર્ડ મેળવવાની ચાહમાં વિધુ વિનોદ ચોપડાએ એક મોટા મુદ્દાને નાની લવસ્ટોરીમાં સમેટી નાખ્યો. ફિલ્મ શરૂ ભલે કાશ્મીરી પંડિતોના મુદ્દે થાય છે. પરંતુ તેમની સાથે થયેલી બર્બરતા, ભેદભાવ, અને ગંભીર યાતાનાઓને સ્પર્શ્યા વગર નીકળી જાય છે. કદાચ વિધુ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. જો તમે આ ફિલ્મ એમ સમજીને જોવા જશો કે તમને કાશ્મીરી પંડિતોના દુ:ખ દર્દ અને ગંભીર દાસ્તાન જોવા મળશે તો ભ્રમ છે. ફિલ્મ જોઈને એમ લાગે કે ત્યારે સરકાર અને હવે વિધુના સિનેમાનો શિકાર થઈ 'શિકારા''

જો કે કાશ્મીરમાંથી રાતોરાત 4 લાખ કાશ્મીરી પંડિતોના પલાયનને સમજવા અને એક સોફ્ટ ફ્રેશ લવસ્ટોરી જોવા માટે ફિલ્મ જોઈ શકાય છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news