Air India માટે પાકિસ્તાન છે પનોતી, તેના કારણે થાય છે રોજ 6 કરોડ રૂપિયાનું નુકસાન

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતીય ફ્લાઇટ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા છે.

Air India માટે પાકિસ્તાન છે પનોતી, તેના કારણે થાય છે રોજ 6 કરોડ રૂપિયાનું નુકસાન

મુંબઈ : પાકિસ્તાની ઉડાન ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધના કારણે દિલ્હીથી યુરોપ, ખાડી વિસ્તાર અને અમેરિકાના કેટલાક સ્થળોનું અંતર વધી જવાને કારણે એર ઇન્ડિયાને ફેબ્રુઆરીથી અત્યાર સુધી લગભગ 300 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતીય ફ્લાઇટ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા છે.

નવી દિલ્હીથી જતી ફ્લાઇટનો સમય વધી જવાને કારણે એર ઇન્ડિયાનો ઇંધણ ખર્ચ વધી ગયો છે તેમજ કર્મચારીઓ પર થતા ખર્ચમાં પણ સારો એવો વધારો થતા રોજનું લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એર ઇન્ડિયાએ આ નુકસાનની ભરપાઈ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સંપર્ક કર્યો છે. મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપી છે કે એર ઇન્ડિયાએ આ વિશે અમને જાણ કરી છે અને તમામ સંબંધિત પક્ષો સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી રહી છે. 

પાકિસ્તાની હવાઇ ક્ષેત્ર પર પ્રતિબંધે કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટને નવી દિલ્હીથી અમેરિકા જતા લગભગ બે-ત્રણ કલાક વધારે લાગે છે. આ સિવાય યુરોપની ફ્લાઇટમાં પણ લગભગ બે કલાક વધારે લાગે છે જેના કારણે નાણાંકીય નુકસાન થાય છે. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદની આતંકી શિબિરો પર 27 ફેબ્રુઆરીએ કરાયેલા હુમલા પછી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ભારતની ફ્લાઇટના ઉડ્ડયન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જેના કારણે નવી દિલ્હીથી યુરોપ અને અમેરિકા ફ્લાઇટ ઉડાડતી મોટાભાગની એરલાઇન્સ કંપનીઓ પ્રભાવિત થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news