ખેડૂત ના હોય એ ખેતી માટે જમીન લઈ શકે? જાણો ખેતી માટે જમીન ખરીદીનો શું છે નિયમ

Agriculture News: કોઈ વ્યક્તિ ખેતી કરવા માંગતો હોય અથવા તો ખેતી લાયક જમીન ખરીદવા માંગતો હોય પરંતુ તેનું નામ ખેડૂતમાં નથી તો તે જમીન ખરીદી શકે કે નહીં? આવા ઘણા પ્રશ્નો તમને થતા હશે જે બધાના જવાબ અહીં તમને મળી જશે. તેના માટે સૌથી પહેલા ખેડૂત અને ખેતી કરાવતા વ્યક્તિ વચ્ચેનો ભેદ જાણવો જરૂરી છે.

ખેડૂત ના હોય એ ખેતી માટે જમીન લઈ શકે? જાણો ખેતી માટે જમીન ખરીદીનો શું છે નિયમ

Agriculture and Farming News: ઘણીવાર આપણને વિચાર આવે કે આપણાં બાપ-દાદા ખેડૂત નહોંતા નહીં તો આપણે પણ ખેતી કરતા હોત. ત્યારે સવાલ એ થાય છેકે, શું જે ખેડૂત ના હોય એટલેકે, બિનખેડૂત પણ ખરીદી શકે છે ખેતી માટે જમીન? શું માત્ર ખેડૂતો જ ખેતી કરી શકે? બિનખેડૂતને ખેતી કરવી હોય તો જમીન મળે ખરાં? આવે અનેક સવાલો તમારા મનમાં આવતા હશે.

તો ખાસ કરીને ખેતીના વિષયમાં એમાંય બિનખેડૂત અને ખેતીલાયક જમીનની ખરીદીના વિષયમાં તમારા તમામ સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળી જશે. જો કોઈ વ્યક્તિ ખેડૂત ન હોય અને ખેતી લાયક જમીન લેવા માંગતો હોય અથવા તો ખેતી કરવા માંગતો હોય તો શું છે નિયમો? કોઈ વ્યક્તિ ખેતી કરવા માંગતો હોય અથવા તો ખેતી લાયક જમીન ખરીદવા માંગતો હોય પરંતુ તેનું નામ ખેડૂતમાં નથી તો તે જમીન ખરીદી શકે કે નહીં? આવા ઘણા પ્રશ્નો તમને થતા હશે જે બધાના જવાબ અહીં તમને મળી જશે. બૃહદ મુંબઈ રાજ્યમાં - ગુજરાત - ૧/૫/૧૯૬૦ના રોજ અસ્તિત્વમાં આવ્યા પહેલાં મુંબઈ ખેતિની જમીન અને ગણોત વહીવટ - ૧૯૪૮ અધિનિયમ ઘડવામાં આવેલ અને આજે પણ આ કાયદો ગુજરાતના (સૌરાષ્ટ્ર - કચ્છ સિવાય) પ્રદેશમાં લાગુ પડે છે. આ કાયદો પ્રાથમિક રીતે આઝાદી બાદ બંધારણીય પીઠબળ સાથે જમીન સુધારા અમલમાં લાવવામાં આવ્યા તેના ભાગરૂપે ઘડવામાં આવેલ અને તેનો મુખ્ય આશય લાંબા સમયથી જમીનદારો / જમિન માલિકોની જમીન ઉપર લાંબા સમયથી ખેતી કરતા તે કબજેદારોને કાયમી ધોરણે કબજાહક્ક આપવાનો હતો. 

બિનખેડૂત કોને કહેવાય?
એવી વ્યકિત કે જેણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યુ ન હોય અને તે વારસાગત ખેડૂત નથી. તેવી વ્યક્તિને બિનખેડૂત કહેવામાં આવે છે. 

પુરૂષ પોતે ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો?
પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યાર બાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે.

કઈ વ્યક્તિને ખેડૂત ગણવા કરાયો છે ઠરાવઃ
નર્મદા યોજનાના કારણે વિસ્થાપીત થતી વ્યકિત પછી તે ખેડૂત હોય કે બિનખેડૂત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૯૧ના ઠરાવ ગણાતા – ૧૩૯૦ એમ.આર. ૧૫-જ મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે.

ખેતીની જમીન બિનખેતીના કામ માટે લઈ શકાય? 
જમીનના માલિકે કલમ-55ના ઠરાવોનું પાલન કર્યુ હોવું જરૂરી છે. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં તે જમીન કોઈ ઔદ્યોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય  તો જમીન ગીરો લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી ‘‘પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે’’ એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. 

શું ખેતમજુરો કરી શકે ખેતીની જમીનની ખરીદી? 
સૌપ્રથમ તો આપણે ખેતમજૂર કોને ગણવા? તેવો પ્રશ્ન થાય, તો જે વ્યકિત ૫ વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યકિતના પોતાના નામે કે સંયુકત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુંસંગીક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા 5000થી વધુ હોવી ન જોઈએ.આવી વ્યક્તિઓએ મામલતદાર પાસેથી પ્રમણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.

ખેડૂત અને ખેતી કરાવતી વ્યક્તિ વચ્ચે શું છે તફાવતઃ
ખેડૂત એટલે જાતે જમીન પર ખેતી કરતી વ્યકિત. ખેતી કરવી એટલે કોઈ પણ ખેતી વિષયક કામકાજ કરવું અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા પોતાનાં કુટુંબની કોઈ વ્યકિતના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યકિતના અંગત દેખરેખ હેઠળ જેમને રોકડ વસ્તુના રૂપમાં મજુરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજુરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા પોતાના ખર્ચે ખેતી કરવી તે એટલે કે ખેડૂત.

ખેડૂત કોઈને દાનમાં જમીન આપે તો બિનખેડૂત જમીન માલિક બની શકે?
જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને દાનમાં આપવા માંગતો હોય કે જે શખ્સ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલ હોય છે. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ (બિહેવીયર ઓફ એગ્રીકલ્ચર) કરેલ વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેંધરી આપતો હોય. ખેડૂત પ્રમણપત્ર મેળવનારે એક વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી. ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી 1 વર્ષની મુદ્દતમાં જે કારણ સારૂં પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.

જે વ્યક્તિ ખેડૂત ન હોય તે ખેતીની જમીન ખરીદી શકે?
પરપ્રાંતનો ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહી. ખેડૂત સાથે બિનખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહી. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહી. ગુજરાતનો વ્યક્તિ પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી. ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે. ઉપરોકત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદિલ કરીને જમીનનો કબ્જો ધરાવતો હોય તો તેવી વ્યકિતઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટર કાર્યવાહી કરીને કલમ-૭૫થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. કાયદામાં સમયાંતરે સરકાર દ્વારા નવા સુધારા વધારા કરવામાં આવતા હોય છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news