Inheritance Tax: અમેરિકાના જે ટેક્સને લઈને ભારતમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે તે ઈન્હેરિટેન્સ ટેક્સ વિશે ખાસ જાણો

દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે. ભાજપ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સંપત્તિની વહેંચણીવાળા વચનને લઈને ઘેરી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસ એક નવા વિવાદમાં સપડાઈ છે. ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાના એક નિવેદનના કારણે મોટો બખેડો ઊભો થયો છે.

Inheritance Tax: અમેરિકાના જે ટેક્સને લઈને ભારતમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે તે ઈન્હેરિટેન્સ ટેક્સ વિશે ખાસ જાણો

દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે. ભાજપ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સંપત્તિની વહેંચણીવાળા વચનને લઈને ઘેરી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસ એક નવા વિવાદમાં સપડાઈ છે. ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાના એક નિવેદનના કારણે મોટો બખેડો ઊભો થયો છે. પિત્રોડાએ અમેરિકાના ઈનહેરિટેન્સ ટેક્સ એટલે કે વારસા ટેક્સની વકિલાત  કરી છે. એટલે કે એવો ટેક્સ જે મૃતકની સંપત્તિ તેના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે લગાવવામાં આવે છે. 

શું કહ્યું હતું સામ પિત્રોડાએ
સામ પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં ઈન્હેરિટેન્સ ટેક્સ લાગે છે. તેનો અર્થ એ છે કે જો કોઈની પાસે 10 કરોડ ડોલરની સંપત્તિ હોય તો તેના મૃત્યુ બાદ બાળકોને ફક્ત 45 ટકા સંપત્તિ જ મળશે અને બાકીની 55 ટકા સંપત્તિ સરકાર લઈ લે છે. પિત્રોડાએ કહ્યું કે ભારતમાં એવો કોઈ કાયદો નથી. અહીં જો કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ હોય તો મૃત્યુ બાદ તેના બાળકોને જ તમામ સંપત્તિ મળે છે, જનતા માટે કશું બચતું નથી. 

પીએમ મોદીએ કર્યા પ્રહાર
પિત્રોડાના આ નિવેદન પર રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની સરગુજાની રેલીમાં બુધવારે કહ્યું કે કોંગ્રેસના ખતરનાક ઈરાદાઓ ખુલીને સામે આવ્યા છે. આથી તેઓ ઈન્હેરિટેન્સ ટેક્સની વાત કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યું કે પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ પાર્ટી એક્સપોઝ થઈ ગઈ છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે કોંગ્રેસે દેશને બરબાદ કરવાનો નિર્ણય લીધો છે. 

કોંગ્રેસે જાળવ્યું અંતર
બીજી બાજુ કોંગ્રેસે પિત્રોડાના આ નિવેદનથી અંતર જાળવ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની આઝાદી છે. પરંતુ તેનો અર્થ એ જરાય નથી કે પિત્રોડાના વિચાર હંમેશા કોંગ્રેસના મત સાથે મેળ ખાતા હોય. 

અમેરિકામાં લાગે છે ઈન્હેરિટેન્સ ટેક્સ
આ બધા વચ્ચે હવે સવાલ એ ઉઠે છે કે આ વારસા ટેક્સ (ઈન્હેરિટેન્સ ટેક્સ) શું હોય છે, તે કોના પર લાગે છે અને કેટલો લાગે છે. તો તમને જણાવી દઈએ કે ઈન્હેરિટેન્સ ટેક્સ એ એવો ટેક્સ છે જે કોઈ વ્યક્તિના મોત બાદ તેની સંપત્તિની વહેંચણી પર લાગે છે. અમેરિકાના છ રાજ્યોમાં ઈન્હેરિટેન્સ ટેક્સ વસૂલવામાં આવે છે. આ ટેક્સ કેટલો લાગશે? તો એ એ વાત પર નિર્ભર કરે છે કે મૃતક વ્યક્તિ ક્યાં રહતો હતો અને વારસદારો સાથે તેના શું સંબંધ હતા. 

શું છે આ ઈન્હેરિટેન્સ ટેક્સ
અમેરિકામાં કેન્દ્રીય સ્તર પર ઈન્હેરિટેન્સ ટેક્સ લાગતો નથી. ફક્ત 6 રાજ્યો- આયોવા, કેન્ટકી, મેરીલેન્ડ, નેબ્રાસ્કા, ન્યૂઝર્સી અને પેન્સિલ્વેનિયામાં આ ટેક્સ લાગે છે. જો કે આયોવામાં 2025 સુધીમાં આ ટેક્સને ખતમ કરી દેવામાં આવશે. દરેક રાજ્યમાં ટેક્સના દર અલગ અલગ છે. 

આયોવા- અહીં 1થી 4 ટકા સુધી ઈન્હેરિટેન્સ ટેક્સ લાગે છે. પતિ-પત્ની, બાળકો, સાવકા બાળકો, માતા પિતા, દાદા દાદી, પૌત્ર-પૌત્રીઓ, પરદાદા વગેરેને ટેક્સમાં છૂટ છે. આ સિવાય જો મૃતક કોઈ અન્યને પોતાની સંપત્તિનો વારસદાર બનાવે તો તેણે ઈન્હેરિટેન્સ ટેક્સ ચૂકવવો પડે છે. જો સંપત્તિ કોઈ ચેરિટીમાં દાન કરવામાં આવે તો 500 ડોલર સુધી છૂટ મળે છે. 

કેન્ટકી- આ રાજ્યમાં મૃતક સાથે સંબંધના આધાર પર ટેક્સ લાગે છે. એક હજાર ડોલરથી વધુની સંપત્તિ હોય તો તેના પર 4ટકાથી 16 ટકા સુધીનો ટેક્સ લાગે છે. પતિ-પત્ની, માતા પિતા, બાળકો, સાવકા બાળકો, પૌત્ર-પૌત્રીઓ અને ભાઈ બહેનોને ટેક્સમાં છૂટ મળે છે. 

મેરીલેન્ડ- એક હજાર ડોલરથી વધુની સંપત્તિ હોય તો 10 ટકા ટેક્સ ભરવો પડે છે. પતિ-પત્ની, બાળકો, માતા પિતા, દાદા દાદી, પૌત્ર-પૌત્રીઓ, ભાઈ બહેન, ચેરિટીને તેમાં છૂટ મળેલી છે. મેરીલેન્ડ એ રાજ્ય છે જ્યાં ઈન્હેરિટેન્સ ટેક્સની સાથે સાથે એસ્ટેટ ટેક્સ એટલે કે સંપત્તિ કર પણ ભરવો પડે છે. 

નેબ્રાસ્કા- અહીં મૃતક સાથે સંબંધના આધાર પર ટેક્સના દર અલગ અલગ છે. માતા પિતા, બાળકો, ભાઈ બહેનો, અને દાદા દાદીને એક લાખ ડોલરથી વધુની સંપત્તિ પર 1 ટકો ટેક્સ ચૂકવવો પડે છે. કાકા કાકી, ભત્રીજા-ભત્રીજીએ 40 હજાર ડોલરથી વધુની સંપત્તિ પર 11 ટકા ટેક્સ ભરવો પડે છે. જ્યારે બાકીના તમામ વારસદારોને 25 હજાર ડોલરથી વધુની સંપત્તિ પર 15 ટકા ટેક્સ ભરવાનો રહે છે. 22 વર્ષથી ઓછી ઉંમરના તમામ વારસદારોને ટેક્સમાં છૂટ મળેલી છે. 

ન્યૂ જર્સી
અહીં 11 ટકાથી 16 ટકા ઈન્હેરિટેન્સ ટેક્સ લાગે છે. પતિ-પત્ની, બાળકો, માતા પિતા, દાદા દાદી, પૌત્ર પૌત્રીઓ અને ચેરિટીને છૂટ છે. ભાઈ બહેનો અને પુત્ર પુત્રવધુઓને 25 હજાર ડોલર સુધીની સંપત્તિ પર  છૂટ મળેલી છે. 

પેન્સિલ્વેનિયા- આ રાજ્યમાં પણ ટેક્સના દર અલગ અલગ છે. સાડા ત્રણ હજાર ડોલરથી વધુની સંપત્તિ પર તમામ વારસદારોએ ટેક્સ ભરવો પડે છે. માતા પિતા, બાળકો અને દાદા દાદીએ 4.5 ટકા, ભાઈ બહેનોએ 12 ટકા અને બાકીના વારસદારોએ 15 ટકા ટેક્સ ભરવો પડે છે. 21 વર્ષથી ઓછી ઉંમરના વારસદારો પર કોઈ ટેક્સ લાગતો નથી. 

એસ્ટેટ ટેક્સ પણ લાગે છે
અમેરિકામાં ફેડરલ સ્તર પર તો ઈન્હેરિટેન્સ ટેક્સ લાગતો નથી પરંતુ એસ્ટેટ ટેક્સ દેશભરમાં લાગૂ થાય છે. જે રાજ્યોમાં ઈન્હેરિટેન્સ ટેક્સ લાગૂ છે ત્યાં મૃતકોના વારસદારોએ તેની સાથે સાથે એસ્ટેટ ટેક્સ એટલે કે સંપત્તિ વેરો પણ ચૂકવવો પડે છે. અમેરિકામાં એસ્ટેટ ટેક્સનો દર 15 ટકાથી 20 ટકા છે. ગત વર્ષ સુધી 1.29 કરોડ જોલર એટલે કે તેનાથી વધુ સંપત્તિ પર એસ્ટેટ  ટેક્સ ભરવો પડતો હતો. આ વર્ષથી ત્યાં 1.36 કરોડ ડોલર કે તેનાથી વધુની સંપત્તિ પર એસ્ટેટ ટેક્સ ચૂકવવો પડશે. 

બચવાની રીત
દરેક ચીજનો તોડ હોય છે. ઈન્હેરિટેન્સ ટેક્સથી પણ બચવાનો તોડ છે. જો કે તેનો તોડ ત્યારે જ છે જ્યારે મોત પહેલા વ્યક્તિએ પોતાની સંપત્તિની ફાળવણી કરી નાખી હોય. અમેરિકામાં 18 હજાર ડોલર સુધીની ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો કોઈ વ્યક્તિ પોતાના મોત બાદ વારસદારોને લાગતા ઈન્હેરિટેન્સ ટેક્સથી બચાવવા માંગતા હોય તો તેઓ પોતાના જીવતે જીવ સંપત્તિ ગિફ્ટમાં આપી શકે છે. જ્યારે પરણિત કપલ 36 હજાર ડોલર સુધીની ગિફ્ટ આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news