વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

Botad News : ભારે વિવાદ બાદ આખરે સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા.... સૂર્યોદય થાય તે પહેલાં જ હટાવી દીધા વિવાદિત ભીંતચિત્રો.... તો હવે આજે બોટાદમાં જ આવેલ કુંડળ સ્વામીનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ

વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

Swaminarayan Temple રઘુવીર મકવાણા/બોટાદ : સનાતન ધર્મના સાધુ-સંતોના ઉગ્ર વિરોધ બાદ હવે વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ હટાવવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પહેલાં કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની પ્રતિમાની નીચેના વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા. ત્યાર બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત મૂર્તિ દૂર કરવામાં આવી છે. મંદિર પરિસારમાં નિલકંઠ વર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની વિવાદિત મૂર્તિને હાલ હટાવી દેવામાં આવી છે.

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે સરકાર સાથેની બેઠકમાં નિર્ણય બાદ રાતોરાત વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરમાં મધરાતે પડદા ઢાંકી વિવાદિત ભીંતચિત્રો દૂર કરવા આખી રાત કામગીરી ચાલી હતી. રાત્રે કષ્ટભંજન મંદિર પરિસારની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ઘોર અંધારમાં મીડિયાને દૂર રાખી વિવાદિત ચિત્રો દૂર કરવા વડતાલ ગાંદીના મહંતોએ કામગીરી કરી હતી. બોટાદ સહિત બહારના જિલ્લાની પોલીસ ખડકી દઈ મીડિયાને આ વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાનું કવરેજ કરવાથી રોકવામાં આવ્યું હતું. પોલીસ અને મંદિર પ્રશાસન એકબીજા પર આક્ષેપ કરવાની સાથે પોતાની ભૂલ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો અને પડદા બાંધીને મધરાતે વિવાદિત ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી.

ત્યારે આજે બોટાદમાં જ આવેલ કુંડળ સ્વામીનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામ ખાતે કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા બેનર સાથેની હનુમાનજીની મૂર્તિ હતી. ત્યારે વિવાદ વકરે તે પહેલા આ મંદિરમાંથી મૂર્તિ હટાવી દેવાઈ છે. આજ રોજ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા, જેના બાદ તાત્કાલિક અસરથી કુંડળ મંદિર દ્વારા પણ વિવાદાસ્પદ મૂર્તિ હટાવી દેવાઈ છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર હતી, તેથી હવે અહીંથી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ છે.

બેઠકોના દોર બાદ હવે આખરે ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. મહત્વનું છે કે સોમવારે CM સાથે મળેલી બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. જે બાદ સંતોએ ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. જેથી સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભારે વિરોધ બાદ સમગ્ર વિવાદ બાદ સરકારે મધ્યસ્થી કરી હતી. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. જે બાદ હવે વિવાદનો અંત આવ્યો છે. અને રાતોરાત જ વિવાદિત ભીંતચિત્રોને સાળંગપુર મંદિરમાંથી દૂર કરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news