સતયુગમાં જૂનાગઢના આ ગામમાં ભગવાન વિષ્ણુ પાંચમા અવતારમાં થયા હતા પ્રગટ, શાસ્ત્રોમાં છે ઉલ્લેખ

Junagadh: ગિરનારમાં દત્ત શિખર પર ભગવાન દત્તાત્રેયનો કાયમી ધૂણો છે. નવનાથે પણ અહીં જ અલખના ધૂણા ધખાવેલા છે. ગિરનારમાં અનેક સિદ્ધ સંતો, યોગીઓ, અઘોરીઓ થઈ ગયા છે અને આજે પણ મોજૂદ છે. 

સતયુગમાં જૂનાગઢના આ ગામમાં ભગવાન વિષ્ણુ પાંચમા અવતારમાં થયા હતા પ્રગટ, શાસ્ત્રોમાં છે ઉલ્લેખ

lord Vishnu Vaman Avatar: જૂનાગઢ-ગિરનાર આદિકાળથી ધર્મ, અધ્યાત્મ, સદભાવના, સુ-શાસનની ભૂમિ રહી છે. અહીંના ધાર્મિક સ્થળો લોકોમાં ધર્મભાવના પ્રેરે છે. આ આધ્યામિક ખોજની ભૂમિ છે, જે સાધકોને સ્વથી ઉપર ઊઠીને સમષ્ટિ અને વસુધૈવ કુટુંબમ્કના ભાવ તરફ દોરે છે. મહાભારતના વનપર્વથી લઈને સ્કંદ પુરાણમાં સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)માં આવેલા ઉજ્જયંત પર્વત (ગિરનાર)નો ઉલ્લેખ જોવા મળે છે. 

મહાભારતમાં ધૌમ્ય ઋષિ ભારત વર્ષમાં આવેલા તીર્થો વિશે યુદ્ધિષ્ઠિરને જ્યારે માહિતી આપતા કહે છે કે, સુરાષ્ટ્રેષ્વપિ વક્ષ્યામિ પુણ્યાન્યાયતનાતિ ચ… ઉજ્જયન્તશ્ચ શિખરી ક્ષિપ્રં સિદ્ધિ કરો મહાન્... – અર્થાત પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો અને સરોવરો સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)માં આવેલા છે... તરત જ સિદ્ધિ આપનારો ઉજ્જયંત નામનો મોટો પર્વત છે. (સંદર્ભઃ સંશોધન, ૨૦૦૫, કે.કા.શાસ્ત્રી) ઉપરાંત વિષ્ણુપર્વમાં ગિરિપુર શબ્દનો ઉલ્લેખ છે. તો વાયુ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, વામન પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ ઉજ્જયંત પર્વત (ગિરનાર)નો કોઈને કોઈ રીતે ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત સ્કંદ પુરાણમાં રૈવતક નામ પણ છે. 

આ ઉપરાંત જૂનાગઢના પ્રાચીન નામોમાં કરણકુંજ, મણિપુર, રૈવત, ચંદ્રકુંપુર, નરેન્દ્રપુર, ગિરિનગર અને પૌરાતનપુર પણ જાણીતા છે. (સંદર્ભઃ સંશોધન, ૨૦૦૫, પ્રા.મનીષા પરમાર) જૂનાગઢ-ગિરનાર એ પવિત્ર ભૂમિ છે, કે જ્યાં ઈશ્વરીય અવતારના પ્રાગટ્ય અને તેના વિચરણની કથાઓ સંકળાયેલી છે. સતયુગમાં ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન ભગવાન જ્યાં પ્રગટ થયા હતા એ વામનસ્થલી (આજનું વંથલી) પણ જૂનાગઢમાં છે. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ યુક્તિથી કાળયવનનો સંહાર અહીંની મુચકુંદ ગુફામાં કર્યાની કથા છે. ભગવાન કૃષ્ણ જેમનો કેદાર રાગ સાંભળીને દોડી આવતા એ નરસિંહ મહેતાનું ધામ પણ જૂનાગઢ છે. ભગવાન શિવે ગિરનારમાં આસન જમાવ્યાની પણ કથાઓ છે. 

ભગવાન વામન સાથે જોડાયેલી કથા:
દૈત્યરાજ બલી સ્વર્ગ લોક પર અધિકાર જમાવીને એક વખત અશ્વમેઘ યજ્ઞ કરતાં હતાં, ત્યારે વામન ભગવાન ત્યાં પધાર્યા અને બલિરાજાએ તેમનું પૂજન કરી કશુંક દાન માંગવા કહ્યું. ત્યારે વામનજીએ બલિરાજા પાસેથી ત્રણ ડગલાં પૃથ્વી માંગી.

બલિરાજાએ તે દાન સ્વીકાર્યું એટલે ભગવાન વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી એક ડગલામાં આખી પૃથ્વી અને બીજા ડગલામાં આખું આકાશ માપી લીધું, ત્યારે ત્રીજું ડગલું ભગવાને બલીની ઈચ્છાથી તેમના મસ્તક પર મૂક્યું અને તે હંમેશને માટે પાતાળ લોકમાં જતા રહ્યાં. આમ, ભગવાને ઇન્દ્રને આપેલા વચન મુજબ તેને સ્વર્ગ લોકનું રાજ પાછું અપાવ્યું.

ગિરનારમાં દત્ત શિખર પર ભગવાન દત્તાત્રેયનો કાયમી ધૂણો છે. નવનાથે પણ અહીં જ અલખના ધૂણા ધખાવેલા છે. ગિરનારમાં અનેક સિદ્ધ સંતો, યોગીઓ, અઘોરીઓ થઈ ગયા છે અને આજે પણ મોજૂદ છે. ગિરનાર ઉપર સિદ્ધચોરાસી સંતોનાં બેસણા છે. જગદંબા મા અંબાજી અહીંના શિખર પર સાક્ષાત બિરાજમાન છે. ૧૨મી સદીમાં રા’ ખેંગારની વીરગતિ પછી ગિરનારને ખળભળાવી દેનારા સતિ રાણક દેવી અને તેમની જ એક હાકથી ફરી રોકાઈ જનારા ગિરનારની કથા પણ અહીંના લોકસાહિત્યમાં જાણીતી છે. 

જૈન ધર્મમાં પણ ગિરનારનું વિશિષ્ટ મહત્વ છે. સમગ્ર ભારતમાં જે પવિત્ર જૈનસ્થાનો – આગમ પ્રતિષ્ઠિત મહાતીર્થોમાં ઉજ્જયંતગિરિ એટલે કે ગિરનારની ગણના થાય છે. આમ જૂનાગઢ - ગિરનાર આદિકાળથી સનાતન સંસ્કૃતિનું ઊર્જાકેન્દ્ર છે. આ ધર્મભૂમિ ઉપર ૨૬મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે, ત્યારે ધર્મધ્વજના સાનિધ્યમાં રાષ્ટ્રધ્વજના લહેરાવાનો સુભગ સમન્વય રચાશે. જૂનાગઢના ઈતિહાસમાં થઈ ગયેલા શાસકો અને તેમની શાસનપ્રલાણી આજે પણ પ્રજાલક્ષી શાસનના ઉદાહરણ અને પ્રેરણારૂપ છે. 

મૌર્ય કાળમાં જૂનાગઢ ગિરિનગરી તરીકે જાણીતું હતું અને ગુજરાતનું પાટનગર હતું. ઈ.સ.પૂર્વે ૩૧૯માં ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્યગુપ્ત વૈશ્યએ જળસંચયના ભાગરૂપે સુવર્ણરસિકતા નદી પર બંધ બાંધ્યો હતો. જેનું નામ સુદર્શન સરોવર રાખવામાં આવ્યું હતું. પ્રજાલક્ષી શાસનનું આ ઉદાહરણ હતું. એ પછી સમ્રાટ અશોકે અશોકના શિલાલેખો મારફત વિવિધ ધર્મઆજ્ઞાઓ સાથે લોકોને નીતિમત્તા સાથે જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ શિલાલેખો કલ્યાણ રાજ્યના ઉદાહરણ અને પ્રેરણારૂપ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news