Zee sammelan 2022 : અર્થવ્યવસ્થાથી લઈને અગ્નિપથ જેવા મુદ્દાઓ પર સંજય સિંહ-સુધાંશુ ત્રિવેદી વચ્ચે ઉગ્ર ચર્ચા

સમાધાન માટે સંવાદ જરૂરી છે. વિચારોનું સૌથી મોટું મંથન. આજે સવારે 10 વાગ્યાથી સતત....દેશની અનેક મોટી હસ્તિઓ સાથે સંવાદ. ઝી સંમેલનમાં હાજર છે રાજકીય જગતના મોટા નેતાઓ, પોલીસી મેકર્સ, અને મંત્રીઓ...

Zee sammelan 2022 : અર્થવ્યવસ્થાથી લઈને અગ્નિપથ જેવા મુદ્દાઓ પર સંજય સિંહ-સુધાંશુ ત્રિવેદી વચ્ચે ઉગ્ર ચર્ચા

Zee Sammelan: ઝી મીડિયા તમારા માટે લાવ્યો છે સંવાદ માટેનો સૌથી મોટો મંચ. અહીં સમસ્યાઓની ચર્ચાની સાથે સાથે તેના સમાધાન પણ કાઢવામાં આવશે. આ પહેલને ઝી સંમેલન નામ આપવામાં આવ્યું છે. ઝી સંમેલનની પળે પળની અપડેટ....

મોદી સરકારના 8 વર્ષ કમાલ કે બબાલ?
આ સત્રમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ભાગ લીધો. થીમ હતી મોદી સરકારના 8 વર્ષ કમાલ કે બબાલ? સત્ર દરમિયાન જ્યારે સુધાંશુ ત્રિવેદીને પૂછવામાં આવ્યું કે રોજગાર સર્જન પર સરકારનું પ્રદર્શન કેવું રહ્યું? તો તેમણે કહ્યું કે ભારત ચીન બાદ મોબાઈલનું સૌથી મોટું બજાર છે, મોબાઈલ હેન્ડસેટનું. જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે ભારતમાં મોબાઈલ બનાવનારી ફક્ત 2 કંપનીઓ હતી. બધુ બહારથી બનીને આવતું હતું. આજે 200 ફેક્ટરીઓ છે. આથી સ્પષ્ટ છે કે કોઈ જિન્ન તો આવીને નથી બનાવી રહ્યો. રોજગારીનું સર્જન થયું છે. તેમણે કહ્યું કે કોવિડ દરમિાયન જી-7 દેશોનો દર નેગેટિવ રહ્યો છે. પરંતુ આમ છતાં ભારત પોતાના દમ પર ઊભો છે. થોડા દાયકા પહેલા ભારતના ગ્રોથને હિન્દુ ગ્રોથ રેટ કહેવાતો હતો. એટલે કે ફક્ત બે ટકા જ ગ્રોથ હતો. જેના કારણે તેને હિન્દુ ગ્રોથ રેટ કહેવાયો. પરંતુ મોદી સરકારના છેલ્લા 8 વર્ષના આંકડા જોઈએ તો ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળશે. 

જેના પર સંજય સિંહે કહ્યું કે મોદી સરકારે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી. તેનું શું થયું? સેનામાં અગ્નિવીર યોજનાના નામે ફક્ત ચાર વર્ષ નોકરી અપાઈ રહી છે. ત્યારબાદ શું થશે? વચનો અપાઈ રહ્યા છે કે તેમને આમ તેમ એડજસ્ટ કરાશે. પરંતુ સચ્ચાઈ એ છે કે જ્યારે નોકરીઓ છે જ નહીં તો તેમને એડજસ્ટ કેવી રીતે કરાશે? અગ્નિવીર યોજના હેઠળ એક યુવાને 17 વર્ષની ઉંમરમાં સૈનિક બનાવવામાં આવશે અને 21 વર્ષની ઉંમરમાં તો તે પૂર્વ સૈનિક બની જશે. સરકાર દલીલ આપે છે કે સેના દેશસેવા માટે છે. નોકરી માટે નહીં. આપણા સૈનિક 21 હજારના પગારમાં માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં સિયાચિન અને 50 ડિગ્રી તાપમાનમાં જેસલમેરમાં નોકરી કરશે અને પીએમ મોદી 12 કરોડની ગાડીમાં ફરશે. હજારો કરોડના જહાજમાં ઘૂમશે તો આ દેશસેવાના બેવડા માપદંડ કેમ?

તેલના ભાવ પર પેટ્રોલિયમ મંત્રીનો જવાબ
કેન્દ્રીય ઓઈલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઝી સંમેલનના મંચ પર કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશોમાં ઓઈલને લઈને પડકાર વધી રહ્યો છે. જો ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 120 ડોલર રહ્યો તો આ પડકારો હજુ વધી શકે છે. દેશમાં 6 કરોડ લોકો રોજ પેટ્રોલ ભરાવે છે. મોદી સરકારની કોશિશ છે કે લોકોને ઓછા ભાવે પેટ્રોલ-ડીઝલ મળે. આ માટે કેન્દ્ર સરકારે બે વાર પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી. ભાજપ શાસિત રાજ્ય સરકારોએ વેટમાં પણ ઘટાડો કર્યો. પરંતુ વિપક્ષી સરકારોએ ઓઈલના ભાવમાં ઘટાડો કર્યો નહીં. 

— Zee News (@ZeeNews) June 25, 2022

જાણો ક્યારથી શરૂ થશે 5જી સુવિધા
સંચાર અને ઈલેક્ટ્રોનિક તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 5જી સ્પેક્ટ્રમની હરાજીની નોટિસ બહાર પડી ગઈ છે. 26-27 જુલાઈથી હરાજી શરૂ થઈ જશે. હરાજી બાજ ગણતરીના દિવસોમાં રોલ આઉટ થવાનું પણ શરૂ થઈ જશે. મને લાગે છે કે આ વર્ષના અંત સુધીમાં આપણે દેશના અનેક શહેરોમાં 5જીની સુવિધા જોઈ શકીશું. તેમણે કહ્યું કે રેલવે મુસાફરોને 65 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપે છે. અનેક વર્ષોથી રેલવેમાં કોઈ ભાડું વધાર્યું નથી. રેલવે જનતાની સુવિધાને વધુ સારી બનાવવા માટે છે. તેમણે કહ્યું કે વિપક્ષ કઈ પણ કહે પરંતુ મોદી સરકારની 8 વર્ષની તપસ્યાના પરિણામ બધાની સામે છે. સમગ્ર યુરોપમાં માત્ર 27 યુનિકોન છે જ્યારે ભારતમાં 102 છે. 

મુસ્લિમોને બરાબર તક મળે છે-નકવી
કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઝી સંમેલનના મંચ પર કહ્યું કે દેશમાં લોકતંત્ર ખુબ મજબુત છે. રાજકારણમાં ધ્રુવીકરણ જેવી કોઈ વસ્તુ નથી. તેમણે કહ્યું કે ભારતની સંસ્કૃતિ સમાવેશી છે. તેમણે કહ્યું કે દેશમાં મુસ્લિમોને બરાબરની તકો મળે છે. આ દેશ અલકાયદા, પાકિસ્તાનના પ્રેશરમાં ચાલતો નથી. આપણા દેશમાં હાલ વિકાસનો ફક્ત એક જ પ્રવાહ વહે છે અને તે છે સર્વસમાવેશી વિકાસ. અમે જાતિ, ધર્મ, ચહેરો જોતા નથી. ભારતનો વિકાસ થશે ત્યારે જ સમુદાયોનો વિકાસ થશે. 

નીતિન ગડકરી કરી રહ્યા છે સંવાદ
ઝી સંમેલનના મંચથી હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સંવાદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશના યુવાઓને રોજગાર મળ્યો છે. હવે દેશના રસ્તાઓ પર ઘણો સુધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે ભારત દુનિયાની નંબર વન ઓટો ઈન્ડસ્ટ્રી બનશે. 

— Zee News (@ZeeNews) June 25, 2022

6 કરોડ ઘરમાં નળથી પાણી પહોંચ્યું
રાજનાથ સિંહે કહ્યું કે અમારી સરકારમાં 6 કરોડ ઘરમાં નળથી પાણી પહોંચ્યું છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજનાથી 5 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મુલ્યે થશે. આ યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ સિક્યુરિટી સ્કીમ છે. દરેક ગામમાં લોકોને તેનો લાભ મળશે. 

— Zee News (@ZeeNews) June 25, 2022

દેશમાં મોટું ડિજિટલ પેમેન્ટ
રક્ષામંત્રી રાજનાથ સિંહે  કહ્યું કે આજે જો 100 પૈસા દિલ્હીની બેંકમાંથી નીકળે છે તો લાભાર્થીના એકાઉન્ટમાં પૂરા 100 પહોંચે છે 99 પૈસા પણ નહીં. આ સાથે જ દેશમાં ડિજિટલ લેવડદેવડ વધી છે. એક મહિનામાં 6 બિલિયન ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે. વર્ષ 2026માં 65 ટકા લેવડદેવડ ભારત ડિજિટલ દ્વારા કરશે. 

આ ઉભરતું નવું ભારત છે, સ્ટેન્ડ આઉટ નેશનની કેટેગરીમાં ઊભુ છે ભારત
ઝી સંમેલનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ ઉભરતું નવું ભારત છે. જે સ્ટેન્ડ આઉટ નેશનની કેટેગરીમાં ઊભું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ આજે આઠ વર્ષ વીત્યા બાદ સંતોષ સાથે એ કહી શકાય કે સી-ચેન્જ...એટલે કે ધરમૂળ પરિવર્તન જોવા મળ્યું છે. દેશની દશા-દિશામાં મહત્વનો ફેરફાર આવ્યો છે. 

— Zee News (@ZeeNews) June 25, 2022

રક્ષામંત્રીએ કાર્યક્રમની કરી શરૂઆત
ઝી સંમેલનના કાર્યક્ર્મમાં શરૂઆત થઈ રક્ષામંત્રી રાજનાથ સિંહથી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પરિવહન મંત્રી નીતિન ગડકરી છે. રાજનાથ સિંહે કહ્યું કે સ્વસ્થ લોકતંત્ર માટે સંવાદ જરૂરી છે. નબળા લોકતંત્રમાં વિવાદ અને વિભાજનની આશંકા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news