સબરીમાલા વિરોધઃ 48 કલાકમાં 266ની ધરપકડ, 334ને અટકમાં લેવાયા

સબરિમાલા મંદિરમાં બે મહિલાઓ દ્વારા પ્રવેશ કરવાના વિરોધમાં કેરળમાં બીજા દિવસે પણ હિંસક પ્રદર્શન ચાલુ રહ્યા હતા, જેમાં એક મહિલાનું મોત પણ થયું છે 
 

સબરીમાલા વિરોધઃ 48 કલાકમાં 266ની ધરપકડ, 334ને અટકમાં લેવાયા

તિરુવનંતપુરમઃ સબરિમાલા મંદિરમાં બે મહિલાઓ દ્વારા પ્રવેશ કરવાના વિરોધમાં કેરળમાં બીજા દિવસે પણ હિંસક પ્રદર્શન ચાલુ રહ્યા હતા. ગુરુવારે હિંસક પ્રદર્શન કરતા 266 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 334 લોકોને અટકમાં લેવામાં આવ્યા હતા. 

રાજ્યમાં હિંદુ કટ્ટરવાદીઓ દ્વારા બીજા દિવસે પણ હિંસક પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યા હતા. આથી પોલિસ દ્વારા પ્રદર્શનકારીઓને પકડી લેવા માટે 'ઓપરેશન બ્રોકન વિન્ડો' હાથ ધરવામાં આવ્યું હતું. 

પોલિસે જણાવ્યું કે, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા આ હિંસામાં સંડોવાયેલા લોકોનું એક લિસ્ટ બનાવાશે અને તેને જિલ્લા પોલિસ વડાને સુપરત કરવામાં આવશે. ત્યાર બાદ તેમના આદેશના પગલે પ્રદર્શનકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રદર્શનમાં સંડોવાયેલા લોકોના મોબાઈલ ફોનને ડિજિટલ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીને મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ પ્રદર્શનકારીઓના ઘરમાંથી હથિયારોને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન પર હાથ ધરાયું છે. સાથે જ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારી વ્યક્તિઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, બુધવારે બિન્દુ અને કનકદુર્ગા નામની 40 વર્ષની બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાન અયપ્પાના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. સબરિમાલા મંદિરના કપાટ પણ શુદ્ધિકરણ માટે થોડા સમય માટે બંધ કરાયા હતા. 

ગુરૂવારે સબરિમાલા કર્મ સમિતિ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન અપાયા બાદ રાજ્યમાં હિંસક પ્રદર્શન ફાટી નિકળ્યા હતા. રાજ્યના ઈતિહાસમાં અગાઉ આવું ક્યારેય જોવા મળ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news