OBC Bill: લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંશોધન બિલ પાસ થઈ ગયું, સમગ્ર વિપક્ષે આપ્યો સાથ

રાજ્યસભામાં આજે બંધારણ (127મું) સુધારા બિલ 2021 પર ચર્ચા થઈ.

OBC Bill: લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંશોધન બિલ પાસ થઈ ગયું, સમગ્ર વિપક્ષે આપ્યો સાથ

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે બંધારણ (127મું) સુધારા બિલ 2021 પર ચર્ચા થઈ. લાંબી ચર્ચા બાદ આ બિલ પર મત વિભાજન  કરવામાં આવ્યું. કેટલાક સાંસદોએ સંસોધન પણ રજુ કર્યા પરંતુ તે ફગાવવામાં આવ્યા. આ રીતે મતદાન બાદ રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંબંધિત આ મહત્વનું બિલ પાસ થઈ ગયું. તેના પક્ષમાં 187 મત પડ્યા. આ બિલ લોકસભામાં 10 ઓગસ્ટના રોજ પસાર થઈ ગયું હતું. હવે આ બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. 

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્રકુમારે આ બિલ સદનમાં રજુ કર્યું અને ચર્ચાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે આ બંધારણીય સંશોધન રાજ્યોને ઓબીસી સૂચિ તૈયાર કરવાનો અધિકાર આપવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો રાજ્યની સૂચિને સમાપ્ત કરી દેવાત તો લગભગ 631 જાતિઓને શૈક્ષણિક સંસ્તાન અને નિયુક્તિઓમાં અનામતનો લાભ મળત નહીં. 

વિરોધમાં એક પણ મત નહીં!
રાજ્યસભામાં આજે લગભગ 6 કલાકની ચર્ચા બાદ બંધારણ (127મું સંશોધન) બિલ (Constitution 127th Amendment Bill 2021) ને 187 મતોથી પાસ કરી દેવાયું. જ્યારે વિરોધમાં એક પણ મત પડ્યો નહીં. સદનમાં આ બિલ પર વિપક્ષી સભ્યો દ્વારા લાવવામાં આવેલા સંશોધનોને ફગાવવામાં આવ્યા. 

મોદી સરકાર સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ
તેમણે કહ્યું કે સદનમાં આ બિલના પક્ષમાં તમામ પક્ષોના સાંસદોને મળેલું સમર્થન સ્વાગત યોગ્ય છે. તેમણે કહ્યું કે સમગ્ર સદને તેનું એકમતથી સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આપણા પક્ષ અલગ હોઈ શકે છે, વિચારધારા અલગ હોઈ શકે છે. પ્રતિબદ્ધતા પણ અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે અને આ સંબંધમાં સરકારે જે પણ પગલાં લીધા છે તેનાથી અમારી પ્રતિબદ્ધતા છલકે છે. 

The Bill was passed by the Lok Sabha yesterday pic.twitter.com/CJFKjtfTX0

— ANI (@ANI) August 11, 2021

કોંગ્રેસે કહ્યું- બિલ લાવીને એક ભૂલ સુધારી
આ બાજુ બિલ પર ચર્ચા ઓપન થયા બાદ સૌથી પહેલા કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષ રજુ કર્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ સંશોધન લાવીને સરકાર પોતાની જૂની ભૂલ સુધારી રહી છે. પરંતુ બીજી ભૂલ પર આ બિલમાં કશું જણાવાયું નથી. સિંઘવીએ કહ્યું કે 50 ટકા અનામત મર્યાદા પર આ બિલમાં એક શબ્દ નથી. 

તેમણે કહ્યું કે આ સંશોધન લાવીને એક ભૂલ તો ઠીક કરી લેવાઈ પરંતુ આ ભૂલને ઠીક કરવાનો ફાયદો શું થશે. આ બંધારણીય સંશોધનમાં 50 ટકા અનામત મર્યાદા પર એક શબ્દ કહેવાયો નથી. 

સૂચિઓ બનાવીને રાજ્ય શું કરશે- સિંઘવી
સિંઘવીએ કહ્યું કે બધા રાજ્યો સૂચિઓ બનાવી લેશે પરંતુ કરશે શું. આ સૂચિઓ ફક્ત ખાલી વાસણ જેવી હશે. 75 ટકા રાજ્ય એવા છે જ્યાં અનામત પચાસ ટકાની મર્યાદા કરતા વધી આગળ નીકળી ગયા છે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખડગે તરફથી એવી માગણી ઉઠાવવામાં આવી કે 50 ટકા સંલગ્ન એક લાઈન જોડવામાં આવે જેથી કરીને રાજ્યોને સરળતા રહે. આ સાથે જ ખડગેએ પ્રાઈવેટ સેક્ટરને પણ અનામતના દાયરામાં લાવવાની માંગણી ઉઠાવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news