રાફેલ ડીલ મુદ્દે ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પ્રશાંત ભૂષણ, કહ્યું-'સરકારે ખોટી મહિતી આપી'

નવી અરજીમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને રાફેલ અંગે ખોટી મહિતી પૂરી પાડી હતી 

રાફેલ ડીલ મુદ્દે ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પ્રશાંત ભૂષણ, કહ્યું-'સરકારે ખોટી મહિતી આપી'

નવી દિલ્હીઃ રાફેલ ડીલ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, પ્રશાંત ભૂષણ અને અરૂણ શૌરીએ સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમના ચૂકાદા પર ફરીથી વિચાર કરવા અને ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરવાની માગ કરાઈ છે. અરજીમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર તરપથી સુપ્રીમ કોર્ટને રાફેલ અંગે ખોટી માહિતી આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂકાદાની કેટલીક લાઈનમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અમે તો માત્ર પ્રક્રિયાની માહિતી આપી હતી કે CAGનો રિપોર્ટ PAC તપાસ કરકે છે. ત્યાર બાદ આ રિપોર્ટને સંસદમાં રજૂ કરવામાં આવશે, પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં લખ્યું છે કે, CAGનો રિપોર્ટ PAC જોઈ ચુકી છે, રિપોર્ટ સસંદમાં રજૂ થઈ ચૂક્યો છે. 

નવી અરજીમાં ચૂકાદાની સમીક્ષા કરવાની સાથે-સાથે ઓપન કોર્ટમાં સુનાવણીની માગ કરાઈ છે, જેથી અરજીકર્તાઓને કેસ સાથે સંકળાયેલા તથ્યો પર ફરીથી દલીલો રજૂ કરવાની તક મળી શકે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચૂકાદો આપવામાં આવ્યો છે તે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને સીલબંધ કવરમાં આપવામાં આવેલી ખોટી માહિતીના આધારે અપાયો છે. આ એવી માહિતી છે, જેને અગાઉ અરજીકર્તાને આપવામાં આવી નથી અને આ મુદ્દાઓ પર અરજીકર્તાઓને કોર્ટમાં દલીલો રજૂ કરવાની પણ તક આપવામાં આવી નથી. કોર્ટે પોતાના ચૂકાદામાં અરજીકર્તાની મુખ્ય માગણી પર ધ્યાન આપ્યું નથી. 

અરજીકર્તાઓએ માગણી કરી હતી કે, સુપ્રીમ કોર્ટ સીબીઆઈને આદેસ આપે કે તે તેમના તરપથી દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને તપાસનો આદેશ આપે. કોર્ટ દ્વારા જાતે જ રાફેલ સોદાની ન્યાયિક સમીક્ષા કરવી અને સીબીઆઈ ને તપાસનો આદેશ આપવો બંને જુદી-જુદી બાબતો છે. આ કેસમાં કોર્ટે સીબીઆઈ કે કોઈ અન્ય તપાસ એજન્સી પાસે તપાસ કરાવાને બદલે જાતે જ સોદાની સમીક્ષા કરવામાં આવી છે. કોર્ટે સીબીઆઈને તેમના તરફથી દાખલ કરાયેલી ફરિયાદ બાદ થયેલી તપાસનો સ્ટેટસ રિપોર્ટ પણ જાણ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા અંગે આપેલા ચૂકાદામાં કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી. કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાફેલના સોદામાં કોઈ પણ પ્રકારની ખામી રહી નથી. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, 'મે આ અંગે ત્રણ મુદ્દા- સોદાની પ્રક્રિયા, કિંમત અને ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયા પર વિચારણા કરી છે અને જોયું કે કિંમતની સમીક્ષા કરવાનું કામ કોર્ટનું નથી. જ્યારે એરક્રાફ્ટની જરૂરિયાત અંગે કોઈ શંકા નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news