કુશીનગરમાં PM મોદીએ કર્યું આહ્વાન, 'દિવાળી પર વધુમાં વધુ લોકલ પ્રોડક્ટની ખરીદી કરો'

પીએમ મોદીએ કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિર પહોંચી ભગવાન બુદ્ધની પૂજા અર્ચના કરી. આ મંદિરમાં ભગવાન બુદ્ધની સૂતી મૂર્તિ છે. તેમણે કુશીનગરમાં એક મેડિકલ કોલેજનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે હવે સારવાર માટે શહેરથી બહાર જવું પડશે નહીં. 

કુશીનગરમાં PM મોદીએ કર્યું આહ્વાન, 'દિવાળી પર વધુમાં વધુ લોકલ પ્રોડક્ટની ખરીદી કરો'

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું. આ એરપોર્ટ યુપીનું ત્રીજુ ઓપરેશનલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. એરપોર્ટના ઉદ્ધાટન કાર્યક્રમમાં પીએમ મોદી સાથે વિદેશી ડેલિગેશન પણ હાજર રહ્યું. પીએમ મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ધાટન બાદ એક જનસભાને પણ સંબોધન કર્યું. સંબોધન બાદ પીએમ મોદીએ બૌદ્ધ ભીક્ષુઓ સાથે મુલાકાત કરી. 

પીએમ મોદીએ કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિર પહોંચી ભગવાન બુદ્ધની પૂજા અર્ચના કરી. આ મંદિરમાં ભગવાન બુદ્ધની સૂતી મૂર્તિ છે. તેમણે કુશીનગરમાં એક મેડિકલ કોલેજનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે હવે સારવાર માટે શહેરથી બહાર જવું પડશે નહીં. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભગવાન બુદ્ધનું બુદ્ધત્વ Sense Of Ultimate Responsibility છે. આજે જ્યારે દુનિયા પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે, ક્લાઈમેટ ચેન્જ પર ચિંતા વ્યક્ત કરે છે તો તેની સાથે અનેક સવાલ ઉભા થાય છે. પરંતુ જો આપણે બુદ્ધના સંદેશને અપનાવીએ તો કોણે કરવાનું છે, તેની જગ્યાએ શું કરવાનું છે તેનો માર્ગ તમને આપોઆપ જોવા મળે છે. બુદ્ધ આજે પણ ભારતના બંધારણની પ્રેરણા છે. બુદ્ધનું ધમ્મ ચક્ર ભારતના તિરંગા પર વિરાજમાન થઈને આપણને ગતિ આપે છે. આજે ભારતની સંસદમાં કોઈ જાય છે તો આ મંત્ર પર જરૂર નજર પડે છે અને તે છે  ‘धर्म चक्र प्रवर्तनाय'.

પીએમ મોદીએ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર અહીં ખેડૂતો પાસેથી ખરીદીના નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહી છે. યુપીના ખેડૂતોના જ બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં લગભગ 80,000 કરોડ રૂપિયા ઉપજની ખરીદના પહોંચી ચૂક્યા છે. પીએમ કિસાન સન્માન નિધિથી યુપીના ખેડૂતોના બેંક ખાતામાં 37,000 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થઈ ચૂકી છે. ભારત એથેનોલને લઈને આજે જે નીતિ પર ચાલી રહ્યું છે તેનો પણ મોટો લાભ યુપીના ખેડૂતોને થવાનો છે. શેરડી અને બીજા ખાદ્યાન્નથી પેદા થતો બાયો ફ્યૂલ વિદેશથી આયાત થનારા ક્રૂડ તેલનો એક મહત્વનો વિકલ્પ બની રહ્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે યુપી એક એવો પ્રદેશ છે જ્યાં પગ-પગ પર તીર્થ છે અને કણ-કણમાં ઉર્જા છે. વેદો અને પૂરાણોને કલમબદ્ધ કરવાનું કામ અહીંના નૈમિષારણ્યમાઁ થયું હતું. અવધ વિસ્તારમાં જ અહીં અયોધ્યા જેવું તીર્થ છે. આપણી ગૌરવશાળી શીખ ગુરુ પરંપરાનો પણ ઉત્તર પ્રદેશ સાથે ગાઢ જોડાણ રહ્યું છે. આગ્રામાં ગુરુ કા તાલ ગુરુદ્વારા આજે પણ ગુરુ તેગ બહાદુરજીના મહિમાનો તેમના શૌર્યનો સાક્ષી છે. જ્યાં તેમણે ઔરંગઝેબને પડકાર ફેંક્યો હતો. 

પીએમ મોદીએ કહ્યું કે હું બધાને આગ્રહ કરવા માંગુ છું કે દિવાળી પર લોકલ જ વોકલ હોય. વધુમાં વધુ દેશમાં બનેલા લોકલ પ્રોડક્ટ જ ખરીદો. તમારી આસપાસ રહેતા લોકોએ જે પણ લોહી પાણી એક કરીને બનાવ્યું હોય તે ચીજ વસ્તુ ખરીદો. પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને અહેસાસ છે કે જે સરકાર છે તે ગરીબોની સરકાર છે. તેઓ જાણે છે કે સરકાર તેમના ક્ષેત્રના વિકાસમાં લાગી છે. ડબલ એન્જિનની સરકારથી વિકાસ થઈ રહ્યો છે. 2017 પહેલા સીએમ યોગીના આવતા પહેલા સરકારને ગરીબોની ચિંતા નહતી. 

પીએમ મોદીએ કહ્યું કે આ લોકોની ઓળખ સમાજવાદીઓની નહીં પરંતુ પરિવારવાદીઓની બની ગઈ છે. પહેલા યુપીમાં દરેક મોટા અભિયાન દેશ માટે પડકાર માની લેવાતો હતો પરંતુ હવે યુપી દરેક અભિયાનમાં અગ્રણી રહે છે. સૌથી વધુ વેક્સીન લગાવનારું કોઈ રાજ્ય હોય તો તે યુપી છે. તેમણે કહ્યું કે કેન્દ્રની પીએમ સ્વામિત્વ યોજના યુપીના લોકોને ખુબ કામે લાગવાની છે. જે હેઠળ ગામડાના ઘરોના માલિકી હકના દસ્તાવેજો આપવાનું કામ શરૂ થઈ ગયું છે. ગામડાઓની પ્રોપર્ટીની માપણી ડ્રોનથી થઈ રહી છે. તેનાથી ગેરકાયદેસર કબજાની ભીતિ રહેશે નહીં. તેનાથી બેંકોમાંથી લોન પણ જલદી મળશે. 

પીએમ મોદીએ અગાઉની સરકારો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 2017 અગાઉ જે સરકાર પહેલા હતી તેની નીતિ હતી માફિયાઓને ખુલ્લી છૂટ, ખુલ્લી છૂટ. આજે સીએમ યોગીના નેતૃત્વમાં અહીં માફિયા માફી માંગતા ફરે છે અને સૌથી વધુ દર્દ પણ માફિયાવાદીઓને થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે રામમનોહર લોહિયા કહેતા હતા કે કર્મને કરુણા સાથે જોડો, પરંતુ પહેલાની સરકારોએ પોતાના કર્મને કૌભાંડો, અપરાધો સાથે જોડ્યા. આ લોકોની સરકાર સમાજવાદી નહીં પરંતુ પરિવારવાદી બની ગઈ. ફક્ત પોતાના પરિવારનું કલ્યાણ કર્યું. સમાજનું અને પ્રદેશનું હિત ભૂલી ગયા. 

યુપીમાં કર્મયોગી સરકાર બન્યા બાદ સૌથી વધુ ફાયદો મહિલાઓને થયો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરોનું સૌથી વધુ રજિસ્ટ્રેશન મહિલાઓના નામે થયું. શૌચાલય બન્યા. મહિલાઓને ધૂમાડામાંથી આઝાદી મળી. વધુમાં તેમણે કહ્યું કે યુપી વિશે એક વાત હંમેશા કહેવાય છે કે આ એક એવો દેશ છે જેણે દેશને સૌથી વધુ પ્રધાનમંત્રી આપ્યા. આ યુપીની ખાસિયત છે પરંતુ યુપીની ઓળખને ફક્ત આ દાયરામાં જોઈ શકાય નહીં. યુપીને 6-7 દાયકા સુધી જ સિમિત રાખી શકાય નહીં.  આ ભૂમિ પર મર્યાદા પુરુષોત્તમ રામે જન્મ લીધો. ભગવાન શ્રીકૃષ્ણે જન્મ લીધો. જૈન ધર્મના 24માંથી 18 તીર્થંકર પણ ઉત્તર પ્રદેશમાં અવતારિત થયા. મધ્યકાળમાં જોઈએ તો તુલસીદાસ અને કબીરદાસ જેવા યુગનાયકોએ પણ આ માટીમાં જન્મ લીધો હતો. સંત રવિદાસ જેવા સમાજ સુધારકને જન્મ આપવાનું સૌભાગ્ય પણ આ પ્રદેશને મળ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news