UP: અખિલેશ યાદવને કેમ સપના આવે છે? પીએમ મોદીએ જણાવ્યું કારણ

યુપીમાં વિધાનસભા ચૂંટણી 2022નો ગરમાવો ચરમસીમાએ છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રેલીને સંબોધન કર્યું.

UP: અખિલેશ યાદવને કેમ સપના આવે છે? પીએમ મોદીએ જણાવ્યું કારણ

નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણી 2022નો ગરમાવો ચરમસીમાએ છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રેલીને સંબોધન કર્યું. પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે પશ્ચિમ યુપી તોફાનોમાં હોમાયું હતું ત્યારે ગત સરકાર ઉત્સવ ઉજવી રહી હતી. પીએ મોદીએ કહ્યું કે 5 વર્ષ પહેલા તોફાનીઓ જ કાયદો હતા. દીકરીઓ ઘરમાંથી બહાર નીકળતા ગભરાતી હતી. અપરાધીઓ અને તોફાનીઓને સરકારનું સંરક્ષણ મળ્યું હતું. જનતા અમારા કામ અને તેમના કારનામા જોઈને નિર્ણય લેશે. જનતા આ વખતે અમને પહેલા કરતા પણ વધુ આશીર્વાદ આપશે અને ભારે મતથી જીતાડશે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગત સરકાર કાગળો પર પ્રોજેક્ટ બનાવવા અને શિલાન્યાસ કરવામાં હોશિયાર હતી. પરંતુ ડબલ એન્જિનની સરકાર સપના પૂરા કરે છે. અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે હું સાંભળું છું કે કેટલાક લોકોને સપના આવે છે. કહેવા માંગુ છું કે જે લોકો સૂતા રહે છે તેમને સપના આવે છે. જે લોકો જાગે છે તેઓ સંકલ્પ કરે છે. 

પીએમ મોદીએ કહ્યું કે ભાજપની સરકાર જે પણ કઈ રહી છે તેનો સૌથી વધુ ફાયદો દલિતો, વંચિતો, પછાત અને ગરીબોને થઈ રહ્યો છે. ત્રિપલ તલાકનો કાયદો જે અમારી સરકારે બનાવ્યો છે તેનો ફાયદો આપણી મુસ્લિમ બહેન દીકરીઓને થઈ રહ્યો છે. સમાનતા માટે દીકરીઓની લગ્નની ઉંમર 18થી 21 વર્ષ કરવામાં આવી. તેમને પોતાના સપના પૂરા કરવાનો સમય મળશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર તરફથી 15 કરોડ નાગરિકોને મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. પરંતુ 5 વર્ષ પહેલા ગરીબોનું રાશન ચોરી થઈ જતું હતું. ખેડૂતોને મળનારી સરકારી મદદમાં લૂંટ બંધ થાય તે અમારું લક્ષ્ય રહ્યું છે. યુપીના નાના ખેડૂતોને મદદ સ્વરૂપે 43 હજાર કરોડથી વધુ રૂપિયા સીધા તેમના  ખાતામાં મોકલી આપ્યા છે. નાના ખેડૂતો જ આપણા ગ્રામીણ જીવનને બદલશે. 

પીએમ મોદીએ કહ્યું કે અમે લક્ષ્યાંક રાખ્યું હતું કે ખેડૂતો પાસેથી એમએસપી પર રેકોર્ડ ખરીદી કરીશું. 2017ની સરખામણીમાં બમણા કરતા પણ વધુ ખરીદી યોગી સરકારે કરી છે. શેરડીના ખેડૂતોને જલદી ચૂકવણીનો પણ અમે લક્ષ્યાંક રાખ્યો છે. શેરડીના ખેડૂતો માટે યોગી સરકારે ખુબ કામ કર્યું. હાલના સત્રની લગભગ 70 ટકા ચૂકવણી  થઈ ચૂકી છે. એથેનોલનું ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણીની ભાગદોડમાં પણ સીએમ યોગી આદિત્યનાથ સવાર સવારમાં હોસ્પિટલ પહોંચી જાય છે અને ત્યાં જઈને જુએ છે કે લોકોની સેવા સારી રીતે થાય છે કે નહીં. તમારી પાસે સીએમ યોગીના સ્વરૂપમાં લોકોની ચિંતા કરનારા નેતા છે. આ ચૂંટણીમાં ભારે સંખ્યામાં મતદાન કરો અને ગરીબોની સરકાર એટલે કે ભાજપની સરકાર બનાવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news