Oxygen Crisis પર Supreme Court ની લાલ આંખ, વાસ્તવિક સ્થિતિ જાણવા કરાઈ ટાસ્ક ફોર્સની રચના

સુપ્રીમ કોર્ટે બનાવેલી નેશનલ ટાસ્ક ફોર્સ ઓક્સિજન સપ્લાય સતત પર નજર રાખશે. સાથો-સાથ તે દેશમાં દવાઓ અને ઓક્સિજન સપ્લાયનું મિકેનિઝમ તૈયાર કરશે.

Oxygen Crisis પર Supreme Court ની લાલ આંખ, વાસ્તવિક સ્થિતિ જાણવા કરાઈ ટાસ્ક ફોર્સની રચના

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક બની રહી છે. એવામાં ઓક્સિજનની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. આ મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે દિલ્લીને ઓક્સિજન સપ્લાય મુદ્દે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. અને કહ્યું હતુંકે, સરકાર સુપ્રીમ કોર્ટને કડક નિર્ણય લેવા માટે મજબૂર ન કરે. સુપ્રીમ કોર્ટે બનાવેલી નેશનલ ટાસ્ક ફોર્સ ઓક્સિજન સપ્લાય સતત પર નજર રાખશે. સાથો-સાથ તે દેશમાં દવાઓ અને ઓક્સિજન સપ્લાયનું મિકેનિઝમ તૈયાર કરશે.

— ANI (@ANI) May 8, 2021

કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં દવાઓ અને ઓક્સિજનના સપ્લાય વિશે સુપ્રીમ કોર્ટે એક નવી ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સ દવાઓની ઉપલબ્ધતા માટે જરૂરી ઉપાયોનું સુચન આપશે. તે સાથે જ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરવાની વૈજ્ઞાનિક અને વ્યવહારુ ફોર્મ્યૂલા પણ તૈયાર કરશે. આ ટાસ્કફોર્સમાં 12 સભ્યો રાખવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળ યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના પૂર્વ વાઈસ ચાન્સેલર, દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલના ચેરપર્સન, બેંગલુરુની નારાયણા હેલ્થકેરના ચેરપર્સન એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,  સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ હેલ્ડ એન્ડ ફેમિલી વેલફેર અને કન્વીનર ઓફ ધી નેશનલ ટાસ્ક ફોર્સ કેન્દ્ર કે કેબિનેટ સેક્રેટરીના સભ્ય હશે.

દેશભરમાં કોરોનાથી મચ્યો હાહાકારઃ
દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ 1 હજાર 228 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3 લાખ 19 હજાર 469 લોકો સાજા થયા અને 4,191 લોકોનાં મોત થયાં. આ મહામારીમાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોનો સૌથી મોટો આંક છે. ચિંતાની વાત એ પણ છે કે દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

વિવિધ રાજ્યોના સીએમ સાથે પીએમની વાતચીતઃ
પ્રધાનમંત્રી મોદીએ શનિવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન સાથે ફોન પર વાત કરી છે. તેમની વચ્ચે કોરોના સંકટ અને વેક્સિનેશન વિશે વાત થઈ છે. આ પહેલાં શુક્રવારે પણ પીએમ મોદીએ મણિપુરના સીએમ એન બીરેન સિંહ, ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબ અને સિક્કિમના સીએમ પ્રેમ સિંહ તમાંગ સાથે વાતચીત કરી હતી અને કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

કોરોનાની વેક્સીન અંગે કેન્દ્રનો મહત્વનો નિર્ણયઃ
કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે યુકેમાં મોકલવા માટે રાખવામા આવેલ કોવિશિલ્ડ વેક્સિનના 50 લાખ ડોઝ હવે એક્સપોર્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે, આ વેક્સિન દેશમાં 18 થી 44 વર્ષની વયના લોકોને આપવામાં આવશે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતને આખી દુનિયાની મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4,468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3,417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3,921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને વિવિધ દેશોમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ મળી છે.

હજુ પણ  જો પગલાં લેવાશે તો બચી જઈશુંઃ
પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું છે કે જો આપણે કડક પગલાં ભરીશું તો થઈ શકે છે કે કોરોનાનો ત્રીજી લહેર બધી જગ્યાએ ન આવે અથવા ન પણ આવે. આ ઘણું બધુ તે વાર પર નિર્ભર કરે છે કે સ્થાનિક સ્તરે, રાજ્યોમાં, જિલ્લાઓમાં અને શહેરોમાં ગાઈડલાઇન કેટલી અસરકારક રીતે લાગુ થઈ છે. કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો, દવાખાનાઓ અને કોવિડ કેર સેન્ટર્સ હવે બે લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કેશ લઈ શકશે. કેન્દ્ર સરકારે શુક્રવારે તેને મંજૂરી આપી હતી. આ છૂટ 31 મે સુધી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news