ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ, કોંગ્રેસના ટોચના નેતૃત્વમાં ફેરફાર માટે નેતાઓએ લખ્યો પત્ર

કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની આવતી કાલે સોમવારે બેઠક થવાની છે. એવી પણ અટકળો થઈ રહી છે કે શું એકવાર ફરીથી પાર્ટીની કમાન પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવશે? CWCની બેઠકની બરાબર પહેલા એટલે કે રવિવારે પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં મોટા ફેરફાર 'પરિવર્તન' ની માગણી કરી છે.

ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ, કોંગ્રેસના ટોચના નેતૃત્વમાં ફેરફાર માટે નેતાઓએ લખ્યો પત્ર

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) માં નેતૃત્વ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની આવતી કાલે સોમવારે બેઠક થવાની છે. એવી પણ અટકળો થઈ રહી છે કે શું એકવાર ફરીથી પાર્ટીની કમાન પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) ને સોંપવામાં આવશે? CWCની બેઠકની બરાબર પહેલા એટલે કે રવિવારે પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને પત્ર લખીને પાર્ટીમાં મોટા ફેરફાર 'પરિવર્તન' ની માગણી કરી છે. જો કે એમા તો કોઈ શક નથી કે એક જૂથ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવા માટે પૂરજોશમાં કોશિશ કરી રહ્યું છે. પરંતુ સ્વાભિમાની અને પરિશ્રમી નેતાઓ એવું ઈચ્છતા નથી. અત્રે જણાવવાનું કે CWCની મહત્વની બેઠક 24 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે થવાની છે. 

આંતરિક બળવાથી ત્રસ્ત છે કોંગ્રેસ
નોંધનીય છે કે કોંગ્રેસે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક જીતેલા રાજ્યોમાં સત્તા ગુમાવી, આ માટે ફક્ત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જવાબદારી ગણાવાઈ રહ્યાં છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકની સત્તા કોંગ્રેસને ગાંધી પરિવારની બેદરકારી અને કર્તવ્યહીનતાના કારણે ગુમાવવી પડી. જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાથી કોંગ્રેસની મધ્ય પ્રદેશ સરકાર ધ્વસ્ત થઈ ગઈ. 

ગાંધી પરિવારના નેતૃત્વ પર ઉઠ્યા સવાલ
કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને આંતરિક સંકટનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ મુલાકાતનો સમય માંગ્યો છે. શું આ નેતાઓના મૂડને જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ હવે વચગાળાના અધ્યક્ષ અને પાર્ટી ચલાવવાની પદ્ધતિની જોઈને ખુશ નથી. જેમાં દરેક મોટા નિર્ણય પહેલા ગાંધી પરિવાર સામે મોઢુ તાંકવું પડે છે. કોંગ્રેસમાં અનેક નેતાઓએ છે જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની કામકાજની પદ્ધતિ સામે દબાયેલા સૂરમાં અવાજ ઉઠાવી ચૂક્યા છે. 

આ નેતાઓના હસ્તાક્ષર!
સોનિયા ગાંધીને મોકલાયેલા આ પત્રમાં રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદ, ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રીઓમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનિષ તિવારી, શશિ થરૂર, સાંસદ વિવેક તનખા, AICC અને CWCના મુકુલ વાસનિક અને જિતિન પ્રસાદના નામ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, એમ વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચૌહાણ, પીજે કુરિયન, અજય સિંહ, રેણુકા ચૌધરી અને મિલિન્દ દેવડાના પણ પત્ર પર હસ્તાક્ષર છે. પ્રદેશ કમિટીઓ સંભાળી ચૂકેલા રાજ બબ્બર, અરવિન્દર સિંહ લવલી અને કૌલ સિંહે પણ પત્રનું સમર્થન કર્યું છે. આ ઉપરાંત અખિલેશ પ્રસાદ સિંહ, કુલદીપ સિંહ, યોગાનંદ શાસ્ત્રી અને સંદીપ દીક્ષિતના પણ હસ્તાક્ષર છે. 

જો કે અહીં નોંધવા જેવી વાત એ છેકે પાર્ટીમાં જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે તો રાહુલ ગાંધી કે પ્રિયંકાની સલાહ વગર લેવાતો નથી. હાલમાં જ સચિન પાયલટના પ્રકરણમાં આ સ્પષ્ટપણે જોવા મળી ગયું છે. આ નવા ઘટનાક્રમ બાદ અનેક સવાલ પણ ઊભા થયા છે. કે શું પાર્ટી કોઈ બળવા તરફ આગળ વધી રહી છે કે શું?

નેતાઓએ ગણાવી પોતાની મુશ્કેલીઓ
- રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષો, પદાધિકારીઓની નિયુક્તિમાં કારણ વગરનો વિલંબ
- સન્માન અને સ્વીકાર્યતાવાળા નેતાઓ પ્રદેશમાં મોકલાતા નથી
- રાજ્ય પ્રમખોના સંગઠનના નિર્ણયોની સ્વતંત્રતા નથી
- યૂથ કોંગ્રેસ અને NSUIમાં ચૂંટણીથી સંતુલન બગડ્યું

નેતાઓએ કહ્યું કે લોકતંત્રની સ્વસ્થતા માટે પાર્ટીનું મજબુત રહેવું ખુબ જરૂરી છે. પત્રમાં કહેવાયું છે કે કોંગ્રેસ એવા સમયે નબળી પડી છે કે જ્યારે દેશ સૌથી ખરાબ રાજનીતિક, આર્થિક અને સામાજિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. નેતાઓએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં હારનું વર્ષ પછી પણ પાર્ટીએ વિશ્લેષણ કર્યું નથી. નવા નેતૃત્વની માગણી કરતા 23 નેતાઓએ કહ્યું છે કે નહેરુ- ગાંધી પરિવાર હંમેશાથી પાર્ટીનો મહત્વનો હિસ્સો રહેશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી એક વર્ષ પૂરું કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ તેમને વચગાળાના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news