લોકસભા ચૂંટણી ઢંઢેરોઃ કોંગ્રેસના ચૂંટણી વાયદા.... 2014 વિરુદ્ધ 2019

વર્ષ 2014માં કોંગ્રેસે લોકોને સત્તા જાળવી રાખવાનું વચન આપ્યું હતું, હવે 2019માં કોંગ્રેસે લોકોને વચન આપ્યું છે કે તેઓ સત્તામાં જરૂર પાછા આવશે 

લોકસભા ચૂંટણી ઢંઢેરોઃ કોંગ્રેસના ચૂંટણી વાયદા.... 2014 વિરુદ્ધ 2019

નવી દિલ્હીઃ મંગળવારે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનો આગામી લોકસભા ચૂંટણી અંગેનો ઢંઢેરો રજૂ કર્યો હતો, જેમાં મતદારો માટે વચનોની લ્હાણી કરવામાં આવી છે. રાહુલની સાથે પક્ષના વડામથક ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંઘ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પી. ચિદમ્બરમ, એ.કે. એન્ટોની, રણદીપ સુરજેવાલા અને તાજેતરમાં જ સક્રિય રાજકારણમાં પ્રવેશેલા પ્રયંકા ગાંધી વાડ્રા હાજર હતા. 

રાહુલ ગાંધીએ તેમની 'ન્યાય' યોજના વિશે અગાઉ વિસ્તૃત માહિતી આપી જ દીધી હતી, જેને હવે 2019ના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાઈ છે. રાહુલ ગાંધીએ ફરીથી ભાર મુક્યો હતો કે કોંગ્રેસ પાર્ટી દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. 

ગરીબી સામેની કોંગ્રેસની લડાઈ દાયકાઓ જૂની છે. ઈન્દિરા ગાંધીએ 'ગરીબી હટાઓ' નારો આપ્યો હતો, પછી તાજેતરના વર્ષોમાં 'ગરીબી મીટાવો' કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરાચના બની ગયો છે. 2014 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે કામ કરતી પાર્ટી તરીકે રજૂ કરતી હતી. એ સમયે સત્તા જાળવી રાખવાનો સવાલ હતો અને હવે સત્તામાં પાછા આવવાનો સવાલ છે. 

કોંગ્રેસના ચૂંટણી વચનો 2014 વિરુદ્ધ 2019:

2014ની ચૂંટણીઃ 'તમારો અવાજ, અમારી પ્રતિજ્ઞા'
કોંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં જણાવ્યું હતું કે, તે લોકો માટે કામ કરતી પાર્ટી છે. પોતાના નેતાઓ સામે ભ્રષ્ટાચારના મોટા-મોટા આરોપો છતાં પણ પાર્ટીએ 100 મિલિયન નોકરી આપવાનું વચન આપ્યું હતું. સાથે જ વચન આપ્યું હતું કે, જરૂરિયાત ધરાવતા લોકોને સબસિડી આપવામાં આવશે, નિકાસ દર નાબૂદ કરાશે, વિકાસ દર ત્રણ વર્ષમાં 8 ટકા પર લઈ જવાશે, સત્તામાં આવી ગયાના 100 દિવસના અંદર GST લાગુ કરાશે, 2017ના નાણાકિય વર્ષ સુધીમાં નાણાકીય ખાધ 3 ટકા સુધી લઈ જવાશે અને માળાગત ક્ષેત્રમાં 1 ટ્રિલિયન ડોલરનું રોકાણ ખેંચી લવાશે. 

એ સમયે કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો હતો તે સૌથી લાંબામાં લાંબો હતો અને કોંગ્રેસે મત જીતવા, વિશ્વાસ જીતવા માટે મોટો દાવ ખેલ્યો હતો. જોકે, આ લાંબો ચૂંટણી ઢંઢેરો કામ ન લાગ્યો અને કોંગ્રેસને માત્ર 44 સીટ મળી હતી. 

2019ની ચૂંટણીઃ 'અમે પાળી બતાવીશું'
મંગળવારે રાહુલ ગાંધીએ ફરીથી વચન આપ્યું છે કે તેમનો ચૂંટણી ઢંઢેરો ગરીબો, યુવાનો અને સમાજના અન્ય વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેમણે જણાવ્યું કે, "ગરીબો માટે નાણા, ખેડૂતો માટે નાણા."

કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં 22 લાખ રોજગાર પેદા કરવાનું વચન આપ્યું છે, 10 લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગારની ખાતરી, નવા ઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષ સુધી મંજૂરીમાંથી મુક્તી, મનરેગા હેઠળ 150 દિવસની રોજગારી પાકી, ખેડૂતો માટે એક અલગ બજેટ અને ખેડૂત જો લોન ભરવામાં નબળો પડે તો તે ગુનાઈત નહીં પરંતુ નાગરિક અપરાધ ગણાશે. આ સાથે જ જીડીપીના 6 ટકા શિક્ષણ માટે અને ગરીબોને ઉચ્ચ કક્ષાની તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. 

ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસનો વાયદો, જો સત્તામાં આવીશું તો રાજદ્રોહની કલમ રદ્દ કરાશે

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં નીચેના વચનો પણ અપાયા છેઃ 

  • ગરીબી દૂર કરવા લઘુત્તમ આવકની ખાતરી અતવા ન્યુનતમ આય યોજના (ન્યાય)
  • નોકરીમાં ક્રાંતી 
  • ખેડૂતો અને ખેતમજૂરો
  • યુનિવર્સિલ હેલ્થકેર 
  • રાજદ્રોહની કલમ દૂર કરવાનું વચન
  • હેટ ક્રાઈમ દૂર કરવા 
  • GST 2.0
  • સેના અને અર્ધસૈનિક દળ
  • દરેક બાળક માટે ગુણવત્તા યુક્ત શિક્ષણ
  • જાતિય સમાનતા
  • આદીવાસી
  • આઝાદીની ઉજવણી
  • આપણી સંસ્થાઓની જાળવણી
  • શહેરી અને ગ્રામીણ વહીવટ
  • પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન

આ અને આવા અનેક લોભામણા વચનો કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી માટે આપવામાં આવ્યા છે. હવે એ જોવાનું છે કે 23 મેના રોજ આ વચનો ફાયદો કરાવે છે કે નુકસાન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news