કર્ણાટક LIVE: વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ, સિદ્ધારમૈયા બોલ્યા-'સોમવાર સુધી ચાલી શકે ચર્ચા'

કર્ણાટકની કોંગ્રસ-જેડીએસ સરકારને બચાવવા માટે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે તૈયાર છે. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરાયો હતો.

કર્ણાટક LIVE: વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ, સિદ્ધારમૈયા બોલ્યા-'સોમવાર સુધી ચાલી શકે ચર્ચા'

નવી દિલ્હી: કર્ણાટકની કોંગ્રસ-જેડીએસ સરકારને બચાવવા માટે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે તૈયાર છે. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરાયો હતો. દિવસભર તેના પર ચર્ચા થઈ. જો કે લગભગ 19 જેટલા સભ્યો સદનની કાર્યવાહીથી દૂર રહ્યાં હતાં. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પા આખી રાતે પાર્ટીના ધારાસભ્યો સાથે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માગણી સાથે ધરણા પર બેઠા હતાં. આજે કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બપોરે 1.30 કલાકે વિશ્વાસ મત પર વોટિંગ થશે. બીજી બાજુ રાજ્યપાલે વજુભાઈ વાળાએ પણ મુખ્યમંત્રી કુમારસ્વામીને બહુમત સાબિત કરવા માટે આજ બપોર 1.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. 

લાઈવ અપડેટ્સ...

- કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું  કે કોલારના ધારાસભ્ય શ્રીનિવાસ ગૌડાએ વિધાનસભામાં આરોપ લગાવ્યો કે ભાજપ તરફથી તેમને 5 કરોડની રજુઆત કરાઈ છે. અમે સદનમાં તેમના વિરુદ્ધ વિશેષાધિકાર હનનો પ્રસ્તાવ રજુ કરીશું. 
- કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે વિધાનસભામાં સતત ચર્ચા ચાલુ છે. 20 સભ્યો હજુ આમા ભાગ લેશે. મને નથી લાગતું કે આજે વિશ્વાસ મત પર ચર્ચા પૂરી થાય. સોમવાર સુધી ચર્ચા ચાલુ રહી શકે છે. 
- મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે મેં મુખ્યમંત્રી તરીકે તમામ જિલ્લાઓ માટે ફંડ જાહેર કર્યું. પરંતુ તમે ભાજપવાળા કહો છો કે હું ફક્ત 2-3 જિલ્લાઓનો સીએમ છું. આથી હું કહું છું કે આ મામલે આટલી ઉતાવળ થવી જોઈએ નહીં. આપણે તેના પર ચર્ચા કરવી પડશે. તમે લોકો લોકતંત્ર ખતમ કરી રહ્યા છો. 
- મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ચર્ચા  દરમિયાન કહ્યું કે તમે લોકોએ કર્ણાટકના મંત્રી એચડી રેવન્નાની આલોચના એટલા માટે કરી કારણ કે તેઓ પોતાની સાથે લીંબુ લાવ્યાં હતાં. તમે લોકો હિન્દુ સંસ્કૃતિને માનો છે, પરંતુ તમે આરોપ લગાવી રહ્યાં છો કે રેવન્નાએ પોતાની સાથે લીંબુ રાખ્યા હતાં અને તેઓ મંદિરમાં ગયા હતાં. પરંતુ તમે લોકોએ આરોપ લગાવ્યો કે તેઓ  કાળો જાદુ કરે છે. શું એ શક્ય છે કે કાળો જાદુ કરીને સરકારને બચાવી શકાય? અત્રે જણાવવાનું કે રેવન્ના મુખ્યમંત્રી એચડી  કુમારસ્વામીના ભાઈ છે. 
- સ્પીકરે એમ પણ કહ્યું કે જ્યાં સુધી વિશ્વાસ મત પર ચર્ચા પૂરી ન થાય ત્યા સુધી વોટિંગ થઈ શકે નહીં. ત્યારબાદ તેમણે વિધાનસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી. 
- કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશકુમારે રાજ્યપાલ તરફથી અપાયેલી સમયમર્યાદા પૂરી થવા પર કહ્યું કે મુખ્યમંત્રી નક્કી કરે કે રાજ્યપાલના આદેશનું પાલન કરવું છે કે નહીં. કારણ કે તેમના તરફથી મુખ્યમંત્રીને આદેશ મોકલાયો છે. આથી તેઓ તેના પર નિર્ણય લે. 
- રાજ્યપાલ વજુભાઈ વાળાએ તરફથી ફ્લોર ટેસ્ટ માટે અપાયેલી સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી ફ્લોર ટેસ્ટ થયો નથી. જેના પર સ્પીકર રમેશકુમારે કહ્યું કે જ્યાં સુધી ચર્ચા પૂરી ન થાય ત્યાં સુધી વિશ્વાસ મત પર વોટિંગ થશે નહીં. 
- સમાચાર એજન્સી આઈએએનએસના જણાવ્યાં મુજબ સત્તાધારી કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન પણ રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે કારણ કે મુખ્યમંત્રી ગુરુવારે જ સદનમાં વિશ્વાસ મત રજુ  કરી ચૂક્યા છે અને બહુમત સિદ્ધ કરવા માટે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બાબુએ કહ્યું કે રાજ્યપાલ વિધાનસભાની  કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. જે બંધારણની જોગવાઈઓ મુજબ વિધાનસભા અધ્યક્ષના અધિકારનો ક્ષેત્ર છે. 
- કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને શુક્રવાર બપોરે 1.30 વાગ્યાનો સમય વિધાનસભામાં બહુમત સાબિત કરવાના નિર્દેશથી નારાજ મુખ્યમંત્રીએ તેના પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી  કરી છે. એક અધિકારીએ આ જાણકારી આપી. સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના પ્રવક્તા રમેશબાબુએ અહીં આઈએએનએસને કહ્યું કે ગુરુવારે રાજ્યપાલ દ્વારા શુક્રવાર 1.30 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાના નિર્દેશ અપાયા હતાં તેના પર રોક લગાવવા માટે મુખ્યમંત્રીના વકીલ શુક્રવારે સુપ્રીમ કોર્ટ જશે. 

કર્ણાટક LIVE:  હોસ્પિટલમાં દાખલ કોંગ્રેસ MLAએ કહ્યું-'BJPએ નથી કર્યું અપહરણ'
- કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશકુમારે કાર્યવાહી દરમિયાન કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્ય શ્રીમંત પાટિલે રાજ્યપાલને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે હું અંગત કામ માટે ચેન્નાઈ ગયો હતો. ત્યાં મને છાતીમાં દુ:ખાવો થયો. ત્યારબાદ હું હોસ્પિટલ ગયો. ડોક્ટરોની સલાહ પર હું મુંબઈ આવ્યો અને અહીં હોસ્પિટલમાં દાખલ થયો છું. આથી હું વિધાનસભાની કાર્યવાહીમાં ઉપસ્થિત થયો નથી. ભાજપ તરફથી મારું અપહરણ થયું નથી. 
- કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને રાજ્યપાલ વજુભાઈ વાળા તરફથી શુક્રવાર બપોરે 1.30 વાગ્યાનો સમય બહુમત સાબિત કરવા માટે અપાયો તો. જેના પર કુમારસ્વામીએ સ્પીકર કે આર રમેશને અપીલ કરી છે કે તેઓ નક્કી કરે કે રાજ્યપાલ મને બહુમત સાબિત કરવા સંબંધિત નિર્દેશ આપી શકે કે નહીં. 
- કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ સ્પીકર કે આર રમેશકુમારે સદનમાં કહ્યું કે જે લોકો મારા ચારિત્ર્ય પર આંગળી ઉઠાવી રહ્યાં છે, તેઓ પોતાના જૂના જીવનમાં ઝાંકીને જુએ. જે લોકો મને જાણે છે તેઓ એ પણ જાણે છે કે બીજાની જેમ મારી પાસે લાખો રૂપિયા નથી. મારી પાસે નિષ્પક્ષ થઈને નિર્ણય લેવાની ક્ષમતા છે. 
- કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ-જેડીએસની પાસે માત્ર 98 ધારાસભ્યો છે જ્યારે અમારી પાસે ધારાસભ્યોની સંખ્યા 105 છે. 

જુઓ LIVE TV

આ બાજુ કર્ણાટક પોલીસ મુંબઈ હોસ્પિટલમાં દાખલ ધારાસભ્ય શ્રીમંત પાટીલનું નિવેદન લેવા મુંબઈ પહોંચી છે. શ્રીમંત પાટીલે ગુરુવારે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતો એક પત્ર કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશને મોકલ્યો હતો. તેમણે હોસ્પિટલમાં દાખલ હોવાનો હવાલો આપતા વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ ન રહી શકવાની વાત કરી હતી. જેના પર સ્પીકરે પોલીસને આદેશ આપ્યો હતો કે તેઓ આ મામલે તપાસ કરીને શુક્રવાર સુધીમાં રિપોર્ટ આપે. જે હેઠળ ડીસીપી સ્તરના અધિકારીના નેતૃત્વમાં કર્ણાટક પોલીસ મુંબઈ  પહોંચી છે. એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે તેઓ કોઈ દબાણમાં આવીને સદનની કાર્યવાહીથી દૂર છે. 

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરેમેશવરે વિધાનસભામાં રાત રોકાઈને સવારે ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરી. તેમની સાથે નાસ્તો પણ કર્યો. તેમણે કહ્યું કે ભાજપના ધારાસભ્યો આખી રાત વિધાનસભામાં ધરણા પર બેઠા. અમારી જવાબદારી છે કે અમે તેમના માટે ભોજન અને બીજી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરીએ. તેમાંથી કેટલાકને ડાયાબિટિસ અને બ્લડ પ્રેશરની બીમારી છે. આથી અમે તે લોકો માટે વ્યવસ્થા કરી. રાજકારણથી ઉપર અમે લોકો સારા મિત્રો છીએ. આ જ લોકતંત્રની ખુબસુરતી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news