કર્ણાટકના નાટકમાં કોંગ્રેસનો હાથ? સરકાર બચાવવા માટે મુખ્યમંત્રી બદલી શકે છે JDS

11 કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોના રાજીનામા બાદ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કર્ણાટકની ગઠબંધન સરકારના અસ્તિત્વ પર સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે.

કર્ણાટકના નાટકમાં કોંગ્રેસનો હાથ? સરકાર બચાવવા માટે મુખ્યમંત્રી બદલી શકે છે JDS

બેંગ્લુરુ: 11 કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોના રાજીનામા બાદ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કર્ણાટકની ગઠબંધન સરકારના અસ્તિત્વ પર સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બળવાખોર બનેલા મોટાભાગના કોંગ્રેસી ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની નીકટના છે. આ કારણોથી એવી અટકળો કરવામાં આવી રહી છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ક્યાંક તેમનો તો હાથ નથી ને? સિદ્ધારમૈયા કોંગ્રેસ વિધાયક દળના નેતા છે અને કર્ણાટક કોંગ્રેસના સૌથી મજબુત નેતા ગણાય છે. આ અગાઉ પણ ગઠબંધન સરકાર સામે રાજકીય અસ્થિરતા તો આવતી જ રહી છે જેના માટે જેડીએસ પરોક્ષ રીતે સિદ્ધારમૈયાને જવાબદાર ઠેરવતું રહ્યું છે. 

આ બધા વચ્ચે જેડીએસ સત્તા બચાવવાની કવાયતમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ કવાયતમાં જો મુખ્યમંત્રી પદ જેડીએસના હાથમાંથી નીકળીને કોંગ્રેસ પાસે જાય તો આ ફોર્મ્યુલા ઉપર જેડીએસના નેતાઓ પણ સહમત થઈ શકે છે. જે સંદર્ભમાં જ જેડીએસના દિગ્ગજ નેતા અને ચામુંડેશ્વરીના ધારાસભ્ય જીટી દેવગૌડાએ કહ્યું કે 'સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં કોઈ આપત્તિ નથી.' તેમણે કહ્યું કે આ મામલે જેડીએસ-કોંગ્રેસની સમન્વય સમિતિનો નિર્ણય મંજૂર હશે. 

નોંધનીય છે કે ચામુંડેશ્વરી, સિદ્ધારમૈયાની  પરંપરાગત બેઠક ગણાય છે પરંતુ વિધાનસભા ચૂંટણીમાં જીટી દેવગૌડાએ સિદ્ધારમૈયાને હરાવ્યાં હતાં. દેવગૌડાએ એમ પણ કહ્યું કે જો પાર્ટીએ કહેશે તો તેઓ પોતાની બેઠક પરથી રાજીનામું આપવા માટે  પણ તૈયાર છે. 

જુઓ LIVE TV

જીટી દેવગૌડા, જેડીએસ પાર્ટીના ટોચના નેતૃત્વ એટલે કે એચડી દેવગૌડા પરિવારની ખુબ નજીક છે. એચડી દેવગૌડા પરિવાર અને સિદ્ધારમૈયા વચ્ચે બિલકુલ બનતુ નથી. પહેલા સિદ્ધારમૈયા જેડીએસમાં જ હતાં પરંતુ જ્યારે એચડી દેવગૌડાના પુત્ર એચડી કુમારસ્વામીએ પાર્ટીની કમાન સંભાળી તો સિદ્ધારમૈયા પાર્ટીમાં હાસિયામાં જતા રહ્યાં. ત્યારબાદ તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. પછી દેવગૌડા પરિવાર અને સિદ્ધારમૈયાના સંબંધો ક્યારેય સહજ રહ્યાં નહીં. કઈ હદે આ તણાવ હશે તે એ વાત પરથી પણ સમજી શકાય કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જેડીએસએ સિદ્ધારમૈયાની ચામુંડેશ્વરી બેઠક માટે પોતાના મજબુત નેતા જીટી દેવગૌડાને મેદાનમાં ઉતારી દીધા હતાં. જીટી દેવગૌડા જીતી તો ગયા પરંતુ કુમારસ્વામી અને સિદ્ધારમૈયાના સંબંધો વણસી ગયાં. 

કોંગ્રેસ વિધાયક દળની બેઠક
આ બધા વચ્ચે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મુદ્દે મંગળવારે કોંગ્રેસ વિધાયક દળની બેઠક થવાની છે. બેઠકમાં સામેલ થવા માટે કોંગ્રેસે સર્ક્યુલર બહાર પાડ્યો છે. જેમાં તમામ ધારાસભ્યોને કોંગ્રેસે ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ બેઠકમાં સામેલ નહીં થાય તો કડક કાર્યવાહી થાય તેવી શક્યતા છે. વિધાયક દળની બેઠકમાં સિદ્ધારમૈયા પણ સામેલ થશે. તેમાં કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કે સી વેણુગોપાલ અને કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ દનેશ ગુંડુ રાવ પણ સામેલ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news