મહારાષ્ટ્રઃ ભાજપના કાલીદાસ કોલામ્બકરે પ્રોટેમ સ્પીકર તરીકે લીધા શપથ

રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર 28 નવેમ્બરના રોજ રાજ્ય વિધાનસભામાં બહુમત સાબિત કરે તેવી સંભાવના છે. ત્યાં સુધી તમામ ધારાસભ્યોને હોટલમાં જ રહેવા સુચના આપવામાં આવી છે.

મહારાષ્ટ્રઃ ભાજપના કાલીદાસ કોલામ્બકરે પ્રોટેમ સ્પીકર તરીકે લીધા શપથ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી અવનવા પરિવર્તન જોવા મળી રહ્યા છે. ભાજપના કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. તેઓ વડાલા સીટ પરથી છેલ્લી 8 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. 

રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર 28 નવેમ્બરના રોજ રાજ્ય વિધાનસભામાં બહુમત સાબિત કરે તેવી સંભાવના છે. ત્યાં સુધી તમામ ધારાસભ્યોને હોટલમાં જ રહેવા સુચના આપવામાં આવી છે. જોકે, મુંબઈ અને થાણેમાં રહેતા ધારાસભ્યોને હોટલ છોડી દેવાની મંજુરી આપવામાં આવી છે. 

શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ચૂંટાયેલા ધારાસભ્યોની સંયુક્ત બેઠક સાંજે 7 કલાકે મળે તેવી સંભાવના છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ત્રણેય પાર્ટી ભેગી મળીને રાત્રે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરી શકે છે. 

આ દરમિયાન જાણવા મળ્યું છે કે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામને મંજુરી આપી દીધી છે. ત્રણેય પક્ષોની સંયુક્ત મીટિંગ પુરી થયા પછી આ કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સવારે સુપ્રીમ કોર્ટે આવતીકાલે સાંજ 5 વાગ્યા સુધીમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારને બહુમત સાબિત કરવા આદેશ આપ્યો હતો. મંગળવારે બપોરે અજીત પવારે અચાનક દેવેન્દ્ર ફડણવીસ સરકારમાંથી નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતાં ફડણવીસ સરકાર લઘુમતિમાં મુકાઈ ગઈ હતી. ત્યાર પછી એક પત્રકાર પરિષદ યોજીને દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news