GNCTD Bill: એકવાર ફરીથી દિલ્હી અને કેન્દ્ર સરકાર આમને સામને, કોંગ્રેસે પણ બિલનો કર્યો વિરોધ

શું દિલ્હીમાં ચૂંટાયેલી સરકારની તાકાત ઓછી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે? જાણો શું છે મામલો.

GNCTD Bill: એકવાર ફરીથી દિલ્હી અને કેન્દ્ર સરકાર આમને સામને, કોંગ્રેસે પણ બિલનો કર્યો વિરોધ

નવી દિલ્હી: લોકસભામાં ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સંશોધિત બિલ) 2021 (GNCTD Bill) રજુ કરવાનો વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો છે અને કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કહ્યું કે તેના લાગુ થયા બાદ દિલ્હીમાં લોકતંત્ર દબાઈ જશે. આ સાથે જ તેમણે કહ્યું કે હવે ઉપરાજ્યપાલ ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી પર આક્રમક રીતે રાજ કરશે. આ બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બિલને ગેરબંધારણીય અને અલોકતાંત્રિક ગણાવ્યું છે. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ સોમવારે લોકસભામાં National Capital Territory Amendment Bill રજુ કર્યું હતું. 

દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે કૂદી કોંગ્રેસ
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું કે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સંશોધિત બિલ) 2021 જો લાગુ થશે તો દિલ્હીમાં લોકતંત્ર દબાઈ જશે. જો બિલ પાસ થયું તો દિલ્હીની ચૂંટાયેલી સરકાર અને વિધાનસભા ઉપરાજ્યપાલના દરબારમાં ફક્ત અરજીકર્તા રહેશે. હવે ઉપરાજ્યપાલ દિલ્હી પર આક્રમક રીતે રાજ કરશે, તે પણ ગૃહ મંત્રાલય દ્વારા. આ બાજુ કોંગ્રેસના નેતા તારિક અનવરે કહ્યું કે 'આ બિલ લોકતંત્ર પર હુમલો છે. જનતા દ્વારા ચૂંટાયેલી સરકારની તાકાતને ઓછી કરવી એ  લોકતંત્રની મજાક છે. સુપ્રીમ કોર્ટમાં પડકારવું જોઈએ'

કેજરીવાલે ગણાવ્યું ગેરબંધારણીય અને લોકતંત્ર વિરોધી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપને દિલ્હીના લોકોએ ફગાવી દીધો છે. પહેલા વિધાનસભામાં ફક્ત આઠ બેઠકો આપી, ત્યારબાદ હાલના નગર નિગમ પેટાચૂંટણીમાં એક પણ સીટ ન આપી. તેનાથી ભાજપ હવે લોકસભામાં બિલ દ્વારા ચૂંટાયેલી સરકારની શક્તિઓને અનેક હદે ઓછી કરવા માંગે છે. બિલ  બંધારણીય પેનલના નિર્ણય વિપરિત છે. અમે ભાજપના ગેરબંધારણીય અને લોકતંત્ર વિરોધી પગલાંની આકરી ટીકા કરીએ છીએ. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે બિલ કહે છે કે દિલ્હી માટે સરકારનો અર્થ એલજી હશે. તમામ ફાઈલો એલજી પાસે જશે. તો પછી ચૂંટાયેલી સરકાર શું કરશે. આ બંધારણીય પેનલના નિર્ણય વિરુદ્ધ છે, જે કહે છે કે ફાઈલો એલજીને મોકલવામાં નહીં આવે. ફક્ત નિર્ણયની કોપી જ એલજીને મોકલવામાં આવશે. 

શું આ મુદ્દે પણ ધરણા ધરશે કેજરીવાલ-કોંગ્રેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (સંશોધન) બિલ 2021નો વિરોધ કરવાની સાથે સાથે  કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ ઉપર પણ નિશાન સાધ્યું. કોંગ્રેસના પૂર્વ વિધાયક અનિલ ભારદ્વાજે કહ્યું કે 1993માં પહેલીવાર ભાજપની સરકાર બની. મદનલાલ ખુરાનાએ કહ્યું હતું કે અધિકાર રહિત દિલ્હીની જોગવાઈ કાયદામાં કરાઈ છે. તે સમયની તત્કાલિન કોંગ્રેસ સરકારે સંશોધન કરીને દિલ્હીને અધિકાર આપ્યા, આજે આપણે તેને કાળી તારીખ કહી શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ફેબ્રુઆરીમાં કેબિનેટે આ બિલને મંજૂરી આપી તો કેજરીવાલે કેમ આ મુદ્દે ગૃહમંત્રી સાથે વાત કરી? શું દરેક નાની મોટી વાતો પર ધરણા ધરનારા અરવિંદ કેજરીવાલ આ મુદ્દે પણ ધરણા ધરશે?

'બિલ લાગુ થતા લોકોનો બંધારણ પરથી ભરોસો ઉઠી જશે'
આમ આદમી નેતા સંજય સિંહે કહ્યું કે તેમને લોકતંત્રમાં કોઈ ભરોસો નથી. ચૂંટાયેલી સરકારમાં કોઈ વિશ્વાસ નથી. દિલ્હીના મામલે કેન્દ્ર સરકારે પાઠ ભણાવવાનું કામ કર્યું કે પ્રચંડ બહુમત સાથે આવેલી સરકારનો પણ કોઈ મતલબ નથી. એક બાજુ બંધારણીય પેનલનો નિર્ણય બીજી બાજુ લોકોનો નિર્ણય. આ બંનેને  બાજુમાં મૂકીને ઉપરાજ્યપાલને મજબૂત કરવા માટે આવું પગલું ભરવું- ગેરબંધારણીય બિલ છે. આ બિલ પાસ થવું જોઈએ નહીં. નહીં તો કોર્ટમાં બંધારણ પરથી લોકોનો ભરોસો ઉઠી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news