Ram Mandir Inauguration:જય શ્રી રામ! 22મીએ સ્કૂલ-કોલેજો રહેશે બંધ, રામલલ્લાનો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

22મી જાન્યુઆરી દેશ માટે એક નવો તહેવાર બની રહ્યો છે. આ એ દિવસ છે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો અયોધ્યામાં થશે, પણ તેની ઉજવણી સમગ્ર દેશમાં થશે. દેશભરમાં ઉત્સાહપૂર્વક જ્યાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં ઉત્તર પ્રદેશ સરકારે એક મોટી જાહેરાત કરી છે

Ram Mandir Inauguration:જય શ્રી રામ! 22મીએ સ્કૂલ-કોલેજો રહેશે બંધ, રામલલ્લાનો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ઝી બ્યુરો/ગાંધીનગર: 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટેની તૈયારીઓ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી છે. આ દરમિયાન યુપી સરકારે એક મોટી જાહેરાત કરી છે. 22મી જાન્યુઆરીએ યુપીમાં તમામ શાળા-કોલેજોમાં રજા રહેશે. આટલું જ નહીં આ દિવસે રાજ્યમમાં દારૂનું પણ વેચાણ નહીં થાય.

22મી જાન્યુઆરી દેશ માટે એક નવો તહેવાર બની રહ્યો છે. આ એ દિવસ છે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો અયોધ્યામાં થશે, પણ તેની ઉજવણી સમગ્ર દેશમાં થશે. દેશભરમાં ઉત્સાહપૂર્વક જ્યાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં ઉત્તર પ્રદેશ સરકારે એક મોટી જાહેરાત કરી છે. 22મી જાન્યુઆરીએ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યુપીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ  છે. આ ઉપરાંત આ દિવસે રાજ્યમાં દારૂનું વેચાણ પણ નહીં થાય. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ માટે તંત્રને સૂચના આપી છે.

યોગીએ ટ્વિટ કરીને પ્રાણ પ્રતિષ્ઠાને સમગ્ર રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય ઉત્સવ ગણાવ્યો છે. તેમણે લોકોને સાથે મળીને રામોત્સવ મનાવવા આહ્વાહન કર્યું છે. યોગીએ તમામ સરકારી ભવનોને સજાવવા માટે તંત્રને સૂચના આપી છે. આ ઉપરાંત યોગીએ 22મીએ આતશબાજી કરવા અને અયોધ્યામાં સ્વચ્છતાનું કુંભ મોડેલ લાગુ કરવાની પણ તંત્રને સૂચના આપી છે..જેમાં 25થી 50 એકરમાં ભવ્ય ટેન્ટ સિટીનું નિર્માણ કરવા તંત્રને સૂચના આપી છે. અયોધ્યામાં હાલ સ્વચ્છતાને સૌથી વધુ મહત્વ અપાઈ રહ્યું છે. મંગળવારે મુખ્યમંત્રીએ અયોધ્યામાં સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે, તે જગ્યાનું પણ તેમણે નિરીક્ષણ કર્યું.

અધિકારીઓ શહેરમાં ઠેક ઠેકાણે સ્વચ્છતા જળવાય તેના પર ધ્યાન આપી રહ્યા છે. ખાસ તો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર તંત્રની ચાંપતી નજર છે. અધિકારીઓ જાતે સફાઈ કરીને અભિયાનની શરૂઆત કરાવી રહ્યા છે. લોકોને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં જ્યાં 15મી જાન્યુઆરીથી જ પ્રાણ પ્રતિષ્ઠાને લગતાં અનુષ્ઠાન શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે તેના એક દિવસ અગાઉ એટલે કે 14મીએ સીએમ યોગી અયોધ્યામાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવશે. તેમણે તંત્રને સૂચના આપી છે કે સ્વચ્છતા અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરાય.

22મી જાન્યુઆરી પહેલાં અયોધ્યામાં એક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ સોલર પાવરને લગતો છે. આ માટે ઉત્તર પ્રદેશ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે યુપીનેડા દુનિયાની સૌથી મોટી સોલર પાવર્ડ સ્ટ્રીટ લાઈટ્સ લાઈનની પરિયોજના પૂર્ણ કરશે. આ યોજના હેઠળ 10.15 કિલોમીટરના સ્ટ્રેચમાં 470 સોલર પાવર્ડ સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી રહી છે. લક્ષ્મણ ઘાટથી લઈને નિર્મલી કુંડ સુધી 470 સોલર લાઈટ્સ લગાવવામાં આવી રહી છે. આ માટેનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું છે. 22મી જાન્યુઆરી પહેલાં કામ પૂરું કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. હાલ આ માટેનો વર્લ્ડ રેકોર્ડ સાઉદી અરબના મલહમના નામે છે. જ્યાં 2021માં 9.7 કિલોમીટર લાંબા રસ્તામાં 468 સોલર પાવર્ડ લાઈટ લગાવવામાં આવી હતી.

આ દિવાળીએ અયોધ્યામાં સરયૂના ઘાટ પર 22 લાખથી વધુ દીવડા પ્રજવલિત કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ સુધી રોશનીના મોરચે વધુ એક એક વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news