Ayodhya Case : 8 નવેમ્બર પછી ગમે ત્યારે ચૂકાદો સંભળાવી શકે છે સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશની બંધારણીય બેન્ચ કરી રહી હતી. બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાયાધિશ એસ.એસ. બોબડે, ન્યાયાધિશ અશોક ભૂષણ, ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે. 
 

Ayodhya Case : 8 નવેમ્બર પછી ગમે ત્યારે ચૂકાદો સંભળાવી શકે છે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 40 દિવસની સુનાવણી પછી બુધવારે રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 70 વર્ષ જૂના અયોધ્યા કેસમાં પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી પાંચ ન્યાયાધિશની બંધારણીય બેન્ચે 6 ઓગસ્ટના રોજ આ કેસમાં રોજે-રોજ સુનાવણી હાથ ધરી હતી. આ અગાઉ અદાલત દ્વારા નિમવામાં આવેલી મધ્યસ્થતા પેનલ કેસનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી હતી. 

બુધવારે બપોરે ચાર કલાકની આસપાસ મુસ્લિમ પક્ષ તરફથી વકીલ રાજીવ ધવન પોતાની દલીલો રજુ કરી રહ્યા હતા. એ સમયે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ સુનાવણી પૂર્ણ થવાની જાહેરાત કરી અને સાથે જ કહ્યું કે, અદાલત પોતાનો ચૂકાદો અનામત રાખે છે. 

મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, "સુનાવણી પુર્ણ થઈ ચુકી છે અને ચૂકાદાને અનામત રાખવામાં આવ્યો છે." એવી આશા છે કે, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ પોતાની નિવૃત્તિ પહેલા ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટના વર્તુળોનું માનવું છે કે 8 થી 17 નવેમ્બરની વચ્ચે સુપ્રીમ કોર્ટ ગમે ત્યારે પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશની બંધારણીય બેન્ચ કરી રહી હતી. બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાયાધિશ એસ.એસ. બોબડે, ન્યાયાધિશ અશોક ભૂષણ, ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે. 

40મા દિવસની સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાનના સીએસ વૈદ્યનાથને પોતાની દલીલોમાં જણાવ્યું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈ મસ્જિદ એ જમીન પર જ બનવી જોઈએ જેનો તે માલિક છે. સુન્ની વકફ બોર્ડ આ જગ્યા પર પોતાનો માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર નમાજ પઢવાને આધાર બનાવીને જમીન આપવાની માગણી કરી રહ્યું છે. 

આ કેસમાં પ્રથમ અરજીકર્તા સ્વર્ગીય કોપાલ સિંહ વિશારત તરફથી વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે, ઈમારતમાં મૂર્તિ રાખવાનો કેસ અભિરામ દાસ પર દાખલ થયો હતો. તેઓ અહીંના પુજારી હતા. તેઓ નિર્વાણી અખાડાના હતા. સેવાદાર હોવાનો નિર્મોહી અખાડાનો દાવો ખોટો છે. 

આ પહેલા આજે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્પષ્ટ કર્યું હતું કે હવે કોઈ નવા દસ્તાવેજ પર વિચારણા કરાશે નહીં. હિન્દુ મહાસભા તરફથી હસ્તક્ષેપ સંબંધિત અરજીને ફગાવી દેતાં મુખ્ય ન્યાયાધિશે જણાવ્યું કે, દરેક સ્થિતિમાં આજે સાંજે 5 કલાકે આ કેસની સુનાવણી પૂર્ણ થઈ જશે. હવે બહુ થયું. ચીફ જસ્ટિસે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને ચર્ચા કરવાની મંજુરી આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, તેમની અરજી આ કેસમાં સામેલ નથી, તેઓ માત્ર સુનાવણી સાંભળી શકે છે. કોર્ટે જણાવ્યું કે, અમે ગઈકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, હવે કોઈ અન્યને સાંભળીશું નહીં. 

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડ્યો નકશો
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને અત્યંત વાંધાજનક વ્યવહાર દેખાડ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો તેમણે ફાડી નાખી હતી. હકીકતમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થાન પર મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાના પુસ્તક 'Ayodhya Revisited'નો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

રાજીવ ધવને તેને રેકોર્ડનો ભાગ નહીં જણાવીને વિરોધ કર્યો હતો. વિકાસ સિંહે ત્યાર પછી એક નકશો રજુ કર્યો અને તેની નકલ રાજીવ ધવનને આપી હતી. ધવને તેનો પણ વિરોધ કરતાં પોતાની પાસે રહેલી નકશાની નકલો ફાડવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ન્યાયાલયમાં સોપો પડી ગયો હતો. મુખ્ય ન્યાયાધિશે ધવનના આ વ્યવહાર પર નારાજગીની સ્ટાઈલમાં કહ્યું કે, તમે ઈચ્છો તો બધા જ પાનાં ફાડી શકો છો. ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશે વાંધો ઉઠાવતા કહ્યું કે, જો આ પ્રકારનું જ વાતાવરણ રહ્યું તો તેઓ અત્યારે જ સુનાવણી પુરી કરી દેશે અને જે કોઈ પક્ષને પોતાની દલીલ રજુ કરવી હોય તેની પાસેથી લેખિતમાં લેવાશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news