દિલ્હીમાં કોરોનાનો કેરઃ શાહની મેરાથોન બેઠક, સંક્રમણના ખાતમા પર બની ખાસ રણનીતિ


 દિલ્હીમાં કોરોનાના વધતા કેસને રોકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠકો યોજી છે. તેમણે સવારે ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંજ કેજરીવાલ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને દિલ્હી આપદા મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી હતી.
 

 દિલ્હીમાં કોરોનાનો કેરઃ શાહની મેરાથોન બેઠક, સંક્રમણના ખાતમા પર બની ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના વધતા કેસને રોકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠકો યોજી છે. તેમણે સવારે ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંજ કેજરીવાલ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને દિલ્હી આપદા મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી હતી. સાંજે ગૃહમંત્રીએ દિલ્હીના ત્રણેય કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, ઉપ રાજ્યપાલ અને કેજરીવાલની સાથે બેઠક કરી રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

તૈયારીઓની સમીક્ષા
એક અધિકારીએ કહ્યુ કે, સાંજની બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વાયરસના પ્રસારના નિવારણને લઈને ત્રણેય કોર્પોરેશન તરફથી ભરવામાં આવેલા પગલાની સાથે તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. આ બેઠકમાં શાહ સિવાય બૈજલ, કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, દિલ્હી ઉત્તર અને પૂર્વ કોર્પોરેશનના મેયર ક્રમશઃ અવતાર સિંગ અને અંજૂ કમલકાંતની સાથે ત્રણેય કોર્પોરેશનનો કમિશનર પણ સામેલ થયા હતા. દક્ષિણ દિલ્હી કોર્પોરેશનના એક પ્રતિનિધિ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. 

સંક્રમણનો સમાપ્ત કરવો અમારૂ લક્ષ્યઃ મેયર ઉત્તર દિલ્હી
ઉત્તરી દિલ્હીના મેયર અવતાર સિંહે બેઠક બાદ જણાવ્યુ કે, આ સમયે એકમાત્ર ઉદ્દેશ દિલ્હીથી કોરોના વાયરસનો ખાતમો કરવાનો છે. અમારી હોસ્પિટલ, બેડ, વેન્ટીલેટર અને અન્ય સ્વાસ્થ્ય સુવિધા સુસજ્જ છે. પૂર્વી દિલ્હીના મેયર અંજૂ કમલકાંતે કહ્યુ કે, આ સંકટના સમયમાં, કેન્દ્ર, દિલ્હી સરકાર અને કોર્પોરેશન મળીને કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યુ કે, અમે રાજધાનીમાં કોરોનાના વધતા મામલાના અનુમાનોના આધાર પર અમારી તૈયારી કરી રહ્યાં છીએ. 
બેઠકમાં લેવાયેલા નિર્ણયો...

- દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે બેડની અછતને જોતા કેન્દ્રની મોદી સરકારે તરત 500 રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો છે. આ રેલવે કોચથી દિલ્હીમાં 8000 બેડ તો વધશે જ પરંતુ સાથે સાથે કોચ કોરોના સંક્રમણથી લડવા માટે તમામ સુવિધાઓથી લેસ હશે. 

- દિલ્હીના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કોન્ટેક્ટ મેપિંગ સારી રીતે થઈ શકે તે માટે ઘરે ઘરે જઈને દરેક વ્યક્તિનો વ્યાપક સ્વાસ્થ્ય સર્વે કરવામાં આવશે. જેનો રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. આ સાથે જ સારી રીતે મોનિટરિંગ થઈ શકે, તે માટે ત્યાં દરેક વ્યક્તિના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવામાં આવશે. 

- દિલ્હીના કોરોના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના ટેસ્ટિંગને વધારીને બમણા કરાશે. તથા 6 દિવસ બાદ ટેસ્ટિંગને વધારીને ત્રણ ગણા કરાશે. 

- આ સાથે જ થોડા દિવસ બાદ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં દરેક પોલિંગ સ્ટેશન પર ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. 

- દિલ્હીની નાની હોસ્પિટલો સુધી કોરોનાની યોગ્ય જાણકારી અને દિશા નિર્દેશ પહોંચાડવા માટે મોદી સરકારે એમ્સમાં ટેલિફોનિક ગાઈડલાઈન્સ દ્વારા વરિષ્ઠ ડોક્ટર્સની એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. જેનાથી નીચલા સ્તર સુધી સર્વશ્રેષ્ઠ પ્રણાલીઓનો સંચાર થઈ શકે. આ માટે હેલ્પલાઈન નંબર કાલે જાહેર કરાશે. 

- દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના સંક્રમણની સારવાર માટે ખાનગી હોસ્પિટલોના કોરોના બેડમાંથી 60 ટકા બેડ ઓછા રેટમાં ઉપલબ્ધ કરાવવા, કોરોના ઉપચાર અને કોરોનાની ટેસ્ટિંગના રેટ નક્કી કરવા માટે ડો. પોલની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે જે આવતી કાલ સુધીમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news