આ રીતે ભણશે ગુજરાત? પાટણના જેસંગપુરામાં જર્જરિત શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે બાળકો

વિદ્યાર્થીઓને સારી સુવિધા સાથે શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા મોટી-મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ પાટણ જિલ્લાના જેસંગપુરામાં વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી જર્જરિત શાળામાં ભણવા માટે મજબૂર બન્યા છે. જાણો કેવી છે આ સ્કૂલની સ્થિતિ...

આ રીતે ભણશે ગુજરાત? પાટણના જેસંગપુરામાં જર્જરિત શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે બાળકો

પ્રેમલ ત્રિવેદી, પાટણઃ ગુજરાતના શિક્ષણની વાસ્તવિકતા એ છેકે, આજે પણ કેટલીય એવી શાળાઓ છે જેની સ્થિતિ એટલી ભયાનક છેકે, વિદ્યાર્થીઓ ભણી શકે તેવી હાલતમાં પણ નથી.. છતાં પણ ગુજરાતના શિક્ષણ મોડલના ભરપેટ વખાણ થઈ રહ્યા છે.. આજે તમને એક આવી જ શાળાની હકીકત જણાવીએ જેની વાસ્તવિકતા જોઈને તમે પણ આશ્ચર્ય પામશો.. જી હાં, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની જેસંગપુરા શાળા છેલ્લાં 1 વર્ષથી જર્જરિત બની છે.. નથી કોઈને રિપેર કરવામાં રસ કે નથી કોઈને વિદ્યાર્થીઓની ચિંતા.. 

સ્માર્ટ શિક્ષણના દાવા કરતા ગુજરાતની શાળાઓની આ વાસ્તવિકતા જુઓ..આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જેસંગપુરાની શાળાના.. આ દ્રશ્યો જોઈને તમે કહી ના શકો કે, આ કોઈ શાળાના દ્રશ્યો છે.. પરંતુ, આ હકીકત છે.. સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામે વર્ષો જૂની શાળાના કુલ 7 વર્ગ ખંડ પૈકી 4 વર્ગ ખંડ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં છે.. જેસંગપુરા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં 159 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે..

જેમાં ધોરણ 1થી 5 માટે 4 વર્ગખંડો છે..
ધોરણ 5થી 8 માટે 3 વર્ગખંડો છે.. 
જોકે, ધોરણ 1થી 5ના ચાર વર્ગખંડો જર્જરિત બન્યા છે..
પતરાની છત, ભોય તળિયું, વર્ગખંડના પાયા બિસ્માર બની ગયા છે..
છેલ્લા એક વર્ષથી 159 જેટલા વિદ્યાર્થીઓ ભય હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે..

વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ નવા વર્ગખંડ બનાવી આપવાની માગ કરી રહ્યા છે. શાળાના ચાર વર્ગખંડ જર્જરિત હોવાના કારણે 159 વિદ્યાર્થીઓને અન્ય વિભાગના વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા છે.. પૂરતા વર્ગખંડ ન હોવાના કારણે એક જ ક્લાસમાં બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે.. 

શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા અનેક વખત પાટણ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ, શિક્ષકોની ફરિયાદને પણ ધ્યાનમાં નથી લેવાતી.. જોકે, પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છેકે, નવા વર્ગખંડ માટે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.. 

જર્જરતિ વર્ગખંડનો આ મુદ્દો દરખાસ્ત અને રજૂઆતમાં જ છેલ્લા એક વર્ષથી ટલ્લે ચડ્યો છે.. જોકે, શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોઈને ચિંતા નથી.. તંત્ર ત્યારે જ કોઈ પગલાં લેશે જ્યારે કોઈ દુર્ઘટના બને.. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news