ગુજરાતી વિદ્યાર્થીઓએ એવુ પ્લાસ્ટિક બનાવ્યું જેને ખાઈ શકાશે, માનવામાં ન આવતું હોય તો વાંચી લો

eco friendly plastic : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા એક એવું સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે આપણે રોજિંદા ખાવા પીવામાં વપરાતા અનાજ અને શાકભાજીના સ્ટાર્ચમાંથી એવું પ્લાસ્ટિક બનાવ્યું છે કે જે આપણે ખાઈ પણ શકીએ છીએ અને તેની કોઈ આડ અસર પણ નહીં થાય
 

ગુજરાતી વિદ્યાર્થીઓએ એવુ પ્લાસ્ટિક બનાવ્યું જેને ખાઈ શકાશે, માનવામાં ન આવતું હોય તો વાંચી લો

Organic Plastic પ્રશાંત ઢીવરે/સુરત : શું પ્લાસ્ટિક ખાઈ શકાય છે ખરું. જાણીને તમને નવાઈ લાગતી હશે. પણ હવે પ્લાસ્ટિક પણ ખાઈ શકાશે અને તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. આવુ ઓર્ગેનિક પ્લાસ્ટિક સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રોફેસરે વિદ્યાર્થીઓ સાથે મળીને બનાવ્યું છે. જે ઘરમાં ખાવા પીવામાં આવતી વસ્તુઓના સંશોધન થકી પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે.

આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પ્લાસ્ટિકથી અનેક બીમારીઓ પણ થાય છે. તેના માટે સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રોજિંદા જીવનમાં ખાણીપીણીની વસ્તુથી લઈ કોઈપણ માલ સામાન લેવા માટે આપણે પ્લાસ્ટિકનો મહદંશે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ વધુ પડતો પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા સાબિત થાય છે. જોકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા એક એવું સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે આપણે રોજિંદા ખાવા પીવામાં વપરાતા અનાજ અને શાકભાજીના સ્ટાર્ચમાંથી એવું પ્લાસ્ટિક બનાવ્યું છે કે જે આપણે ખાઈ પણ શકીએ છીએ અને તેની કોઈ આડ અસર પણ નહીં થાય.

બાયો પ્લાસ્ટિકમાં કલર પણ અમે ઓર્ગેનિક યુઝ કર્યા છે. જેમ કે લાલ કલર માટે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. જ્યારે પીળા કલર માટે હળદરનો ઉપયોગ કર્યો છે. આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરી શકાય છે. ખાણીપીણીની વસ્તુઓના પેકિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે. જ્યારે મેડિસીનમાં કેપ્સ્યુલમાં સૌથી વધારે આનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાસ્ટિક શરીરમાં જાય તો પણ હાનિકારક નથી. કારણ કે આ શાકભાજી અને અનાજમાંથી જ બનાવવામાં આવ્યું છે.

વીર નર્મદ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.આઇ.બી.પટેલ જણાવ્યું હતું કે હાલમાં જે પ્લાસ્ટિક આવે છે તે પીવીસી અને અન્ય પોલિમર જેવા છે. જેમાં કેમિકલ આવે છે. જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્ને માટે નુકશાનકર્તા છે. તેથી મેં અને મારા વિદ્યાર્થીઓએ મળીને આપણે ઉપયોગમાં લેતા શાકભાજી અને અનાજમાંથી નીકળતા સ્ટાર્ચ કે જેને આપણે ફેંકી દેતા હોઈએ છે. એ સ્ટાર્ચ અને વિનેગારને મિક્સ કરીને અમુક ટેમ્પરેચર સુધી રાખીને તેમાંથી પ્લાસ્ટિક બનાવ્યું, આ પ્લાસ્ટિકને સ્મુધ કરવા માટે તેમાં થોડું દિવેલ પણ ઉમેર્યું છે. અમે બટાકાનું સ્ટાર્ચ અને વિનેગારને મિક્સ કરીને આ પ્લાસ્ટિક બનાવ્યું છે એવી જ રીતે ચોખા કે અન્ય શાકભાજીમાંથી નીકળતા સ્ટાર્ચ કે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેનો ઉપયોગ કરીને પણ આ પ્રકારના પ્લાસ્ટિક બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news