આ વર્ષનો તાના-રીરી મહોત્સવ બનાવશે વર્લ્ડ રેકોર્ડ, આશા ભોંસલેને અપાશે ખાસ સન્માન

આ વર્ષનો તાના-રીરી મહોત્સવ બનાવશે વર્લ્ડ રેકોર્ડ, આશા ભોંસલેને અપાશે ખાસ સન્માન

મહેસાણાના વડનગરની બહેનો તાના અને રીરીની યાદમાં તાનારીરી મહોત્સવ દર વર્ષે ઉજવાતો હોય છે. આ વર્ષે આ મહોત્સવ 17 અને 18 નવેમ્બરના રોજ યોજાશે. આ ઉત્સવમા દેશના ટોચના કલાકારોને આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામા આવે છે. 

આશા ભોંસલેને અપાશે સન્માન
વડનગરની બે નાગર બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનારીરી સમાધિ સ્થળ ખાતે આ બંને દિવસે સાંજે 7.30 કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. આ મહોત્સવમાં 2010થી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. જે પ્રથા હજી પણ યથાવત છે. જેમાં કલાકારોનું 5 લાખ રૂપિયા, તામ્રપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પદ્મશ્રી વિજેતા અને ગાયક આશા ભોંસલે તથા પદ્મભૂષણ ડો.એન. રાજમ અને વિદુષી રૂપાંદે શાહને સન્માનિત કરવામાં આવશે.   

બે દિવસનો કાર્યક્રમ

  • 17 નવેમ્બર : તાનારીરી મહોત્સવના પ્રથમ દિવસે 17 તારીખે શનિવારે કલાગુરૂશ્રી મહેશ્વરી નાગરાજન અને નૃત્ય કલા કેન્દ્ર અમદાવાદ દ્વારા પ્રાર્થના, નૃત્ય ભરત નાટયમ સમુહ કૃતિ રજુ થશે. અમદાવાદની તબલા તાલીમ સંસ્થા સપ્તક સ્કુલ ઓફ મ્યુઝિક દ્વારા સમૂહ તબલા વાદન, સિતાર સંતૂર, સમૂહ વાદનની કૃતિ રજુ કરાશે. વિદુષી પિયુબેન સરખેલ ગાયન રજુ કરાશે. પંડિત વિશ્વમોહન ભટ્ટ (જયપુર), સલીલ ભટ્ટ અને હિમાંશુ મહેતા દ્વારા મોહનવિણા, સાત્વીકવિણા અને તબલા રજુ કરાશે. આ ઉપરાંત આ દિવસે સાયલી તલવાલકર મુંબઇ દ્વારા ગીતોની પ્રસ્તુતિ કરાશે. 
  • 18 નવેમ્બર :  મહોત્સવના બીજા દિવસે તાનારીરી પુરસ્કાર વિજેતા પદ્મશ્રી આશા ભોંસલે,પદ્મભૂષણ ડો. એન.રાજમ અને વિદુષી રૂપાંદે શાહને સન્માનિત કરાશે. આ દિવસે ડો.ધારી પંચમદા દ્વારા 5 મિનીટમાં 21 રાગ ગાવાનો રેકોર્ડ રચવામાં આવશે. જે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલાશે. પદ્મભુષણ સંગીતકાર ડો. એન.રાજમ દ્વારા વાયોલીન વાદન, સાધના સરગમ દ્વારા ગીત રજૂ કરાશે. ત્યાર બાદ મુંબઈના ઋષિકેશ સેનુંદા વાંસળીવાદન કરશે. 

તાનારીરી બહેનોની વાર્તા...
અકબરના દરબારમાં ગાયક તાનસેને એકવાર રાગ દીપકનું ગાન કર્યું હતું. જેને કારણે તાનસેનના શરીરમાં અગ્ન જ્વાળાઓ ઉઠી હતી. આ જ્વાળાને શાંત કરવા માટે અકબર પણ ગભરાઈ ગયા હતા. ત્યારે વડનગરની બે બહેનો તાના અને રીરીએ મેઘ મલ્હાર રાગ ગાઇ તાનસેનના અગન જ્વાલા શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દિલ્હી દરબારમાં તેડુ બોલાવ્યું હતું. પરંતુ દિલ્હી જવા ન માંગતી બે બહેનોએ વડનગર ખાતે જ જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ આયોજિત કરવામાં આવે છે.  તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. 

અગાઉ કોને અપાયો હતો એવોર્ડ
પ્રથમ વર્ષે ૨૦૧૦-૨૦૧૧માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશ્કરને, બીજા વર્ષે ૨૦૧૧-૨૦૧૨માં પદ્મભૂષણ ગિરીજાદેવીને, ૨૦૧૨-૨૦૧૩માં કિશોરી અમોનકર, ૨૦૧૩-૨૦૧૪માં બેગમ પરવીન સુલતાના, ૨૦૧૪-૨૦૧૫માં સ્વર યોગીની ડો,પ્રભા અત્રે, ૨૦૧૬-૨૦૧૭માં અમદાવાદના વિદુષી મંજુબહેન મહેતા અને ડો. લલીત જે રાવન મહેતાને અર્પણ કરાયો હતો.

         
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news