આદિવાસીઓનાં એટલા ઉપકાર છે કે, હું આજીવન તેમનું રૂણ ચુકવી નહી શકું: PM મોદી

ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વડાપ્રધાન મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી દાહોદમાં વિરાટ આદિવાસી જનસમુદાયને સંબોધિત કર્યો હતો. આ ઉપરાંત રૂ. ૨૨ હજાર કરોડના વિકાસ કામોની ભેટ વડાપ્રધાન મોદીએ આપી હતી. વડાપ્રધાને આ અંગે જણાવ્યું કે, દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે. દાહોદમાં આધુનિક રેલ્વે એન્જીન બનવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને નળ જોડાણ અપાયા, પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે.
આદિવાસીઓનાં એટલા ઉપકાર છે કે, હું આજીવન તેમનું રૂણ ચુકવી નહી શકું: PM મોદી

દાહોદ : ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વડાપ્રધાન મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી દાહોદમાં વિરાટ આદિવાસી જનસમુદાયને સંબોધિત કર્યો હતો. આ ઉપરાંત રૂ. ૨૨ હજાર કરોડના વિકાસ કામોની ભેટ વડાપ્રધાન મોદીએ આપી હતી. વડાપ્રધાને આ અંગે જણાવ્યું કે, દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે. દાહોદમાં આધુનિક રેલ્વે એન્જીન બનવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને નળ જોડાણ અપાયા, પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દાહોદ મેક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. અહીં ૯ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવવામાં આવશે. જે મેક ઇન ઇન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીનની માંગ પૂરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા અદા કરશે. 

પંચમહાલમાં કોઇ દુખી નહી રહે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી મતી દર્શનાબહેન જરદોશની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે યોજાયેલ વિશાળ આદિજાતિ મહાસંમેલનમાં દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ. ૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનએ પંચમહાલ જિલ્લામાં જન સુખાકારી અને જન સુવિધાના રૂ. ૧૫૯.૭૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. 

આ વિસ્તાર નોકરીઓ માટે સ્વર્ગ બની જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.૨૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો નોકરીની તકો ઉભી થશે. વડાપ્રધાનએ દાહોદ જિલ્લામાં કુલ રૂ.૨૧૯૬૯.૫૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. 

ભારત હવે રેલવે ક્ષેત્રમાં પણ મહાશક્તિ બન્યો છે. 
ભારત વિશ્વના ચુનંદા દેશો પૈકીનો એક દેશ છે કે જે ૯ હજાર હોર્સ પાવરના લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવે છે. દાહોદમાં આ આધુનિક રેલ્વે એન્જીન બનાવવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે આ મૂડી રોકાણથી હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે. તેની સાથે, નિષ્પ્રાણ બની રહેલા દાહોદના પરેલ વિસ્તાર પણ ધમધમતો થશે. 

આદિવાસીઓના વિકાસ માટે નવી કેડી અમે કંડારી
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર ખભેખભા મિલાવીને કામ કરી રહી છે, તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. જેના પરિણામે અનેક આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિના માર્ગ પર દોડવા લાગ્યા છે. પ્રગતિ, વિકાસની નવી દિશા અમે કંડારી છે. 

આદિવાસી માતા-બહેનોએ પાણી ભટકવું ન પડે તેવી વ્યવસ્થા કરી
આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાના સુદ્રઢ અમલીકરણ વિશે જણાવતા મોદીએ ઉમેર્યું કે, પાણીની સમસ્યા હોઇ ત્યારે તેને સૌથી વધુ સહન આપણી માતા અને બહેનોએ કરવું પડે છે. એક સમય હતો જ્યારે, પાણી માટે દરદર ભટકવું પડતું હતું. પણ હવે નલ સે જલ મિશન હેઠળ ઘરેઘરે નળમાં પાણી આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના ૫ લાખ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે. 

આદિવાસીઓનાં મોતનું સૌથી મોટા કારણનો ચપટીમાં ઉકેલ લાવ્યા
વડાપ્રધાન મોદીએ આરોગ્ય સેવાઓ અંગે જણાવતા કહ્યું કે, હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે મને આદિવાસી વિસ્તારોમાંથી એવી રજૂઆત મળતી કે ઝેરી સાંપ કરડવાના કારણે માનવ મૃત્યું થાય છે. ત્યારે અમે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં એન્ટી વેનમ ઇન્જેક્શનની સુવિધા પણ રખાવી હતી. હવે તેની સામે આદિવાસી ક્ષેત્રોમાં વેલનેસ સેન્ટર પણ ખુલી રહ્યા છે. દૂરદરાજના ગામોના લોકોને ઘરથી નજીક આરોગ્યલક્ષી સેવા મળી રહી છે. 

આદિવાસી યુવાનો શિક્ષિત બને તે માટે ભરચક પ્રયાસ
આદિવાસી યુવાનો અને યુવતીઓ ડોક્ટર, ઇજનેર બને તે માટે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આદિવાસી બેલ્ટના દરેક તાલુકા મથકે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરાવી હતી. આજે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવી છે. આદિવાસી છાત્રો ભણીને તબીબ અને ઇજનેર બની રહ્યા છે. એટલું જ આ છાત્રો સરકારની સહાયથી વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તેની ચિંતા કરી દેશમાં ૭૫૦ એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સાત દાયકા પૂર્વે દેશમાં માત્ર ૧૮ આદિવાસી સંશોધન કેન્દ્રો હતા, તેની સાપેક્ષે માત્ર છેલ્લા સાત વર્ષમાં ૯ સંશોધન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. 

રાજ્યના આદિવાસી ફરી એકવાર કુદરત તરફ વળે તેવા પ્રયાસ
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયાની ગંભીર સમસ્યા છે. તેની સૌથી વધુ અસર યુવાનો ઉપર થાય છે. આ બિમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરી રહ્યા છે. એ દિશામાં કામગીરી પણ રાજ્ય સરકાર કરી રહી છે. આદિવાસી ક્ષેત્રના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અહીંના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મોટા શહેરોમાં વધુ કિંમતથી વેચાઇ રહ્યા છે. જેના પરિણામે ખેડૂતોની આવક વધી છે. એક સમય હતો જ્યારે દાહોદની ફૂલની ખેતી ખૂબ જ વખણાતી હતી. દાહોદના ફૂલો છેક મુંબઇ સુધી જતાં અને ત્યાં આ ફૂલોથી પૂજાબંદગી થતી હતી. હવે તેના સ્થાને પ્રાકૃતિક ખેતી કૃષિકારો અપનાવી રહ્યા છે. 

જલિયાવાલા બાગ જેવી ઘટના ગુજરાતમાં આદિવાસીઓ સાથે બની
વડાપ્રધાનએ જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. સાત દાયકા સુધી આઝાદીના મૂળ લડવૈયાઓને અવગણના કરવામાં આવી. આવા વીરોના ઇતિહાસને ભૂલવાડવાનો પ્રયાસ થયો છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જૂના પંચમહાલના આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા ખપી ગયા હતા. માનગઢ હત્યા કાંડ તો જલિયાવાલા બાગ કરતા પણ ભયાનક હતો. ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓની અંગ્રેજો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આવા અનેક આદિવાસી સ્વાતંત્ર્ય વીરોને ઉચિત સન્માન આ સરકારે બક્ષ્યું છે. માનગઢમાં ગોવિંદ ગુરુનું સ્મારક, રાંચીમાં ભગવાન બિરસા મુંડાનું સંગ્રહાલય બનાવાયું છે. જે ભાવિ પેઢીને ઇતિહાસ બોધ આપતું રહેશે. 

આઝાદીમાં આદિવાસીઓનાં બલિદાનનો ઇતિહાસ ઉજાગર કરવાનો સમય આવી ચુક્યો છે
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શિક્ષણજગત્તને આહ્વાન કરતા મોદીએ કહ્યું કે, આવા અનેક અનામી સ્વાતંત્ર્ય વીરોની ગાથા રજૂ કરતા કાવ્યો, નાટકો, ગીતો લખવામાં આવે અને તેનું મંચન કરવામાં આવે. આ કરવાથી ભાવિ પેઢીને આ સેનાનીઓના યોગદાનની જાણકારી મળશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં ૭૫ મોટા તળાવો બનાવવાનું બિડું ઉઠાવવા હાકલ કરી હતી. જેનાથી ચોમાસામાં વહી જતાં જળનો સંગ્રહ કરી શકાશે. ખાસ કરીને આજના યુવાનો જ્યારે દેશની આઝાદીની શતાબ્દિ કાળે આ તળાવો થકી પોતાનું યોગદાન અંકિત કરી શકશે. 

કોરોનામાં પણ મારો આદિવાસી ભાઇ ભુખે ન મરે તે માટે કરી વ્યવસ્થા
કોરોના મહામારી અને બીજી તરફ વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ દેશ મક્કતાપૂર્વક આગળ વધી રહ્યો છે, તેમ કહેતા મોદીએ ઉમેર્યું કે, કોરોના મહામારીમાં મારા ગરીબ, આદિવાસી, દલિત અને પછાતવર્ગના લોકોના ઘરના ચુલા સળગતા રહે એ માટે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ૮૦ કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. ગરીબોની જઠરાગ્નિ તૃપ્તિનો વિક્રમી યજ્ઞ છે. 

આદિવાસીઓ એટલે પાણી જેવા પવિત્ર શુદ્ધ અને નિર્મળ
જ્યાં રહીએ તે સ્થાનનો પ્રભાવ જીવનમાં આવે છે, ઉક્તિ કહેતા મોદીએ કહ્યું કે, મારા પ્રારંભિક જાહેરજીવનમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રવાસ રહ્યો છે. આદિવાસીઓ વચ્ચે રહી તેમની સમસ્યા ઓળખી છે. દિવાસીઓનું જીવન નજીકથી જોયું છે. આદિવાસીઓ પાણી જેવા પવિત્ર અને કૂંપળ જેવા સૌમ્ય હોઇ છે. આ સમાજે મને ઘણું શીખવાડ્યું છે. તેમના આશીર્વાદ મને સતત મળતા રહે છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આટલી વિશાળ સભા જોઇ નહોતી. આ વિરાટ જનસાગરના દર્શન કરવા મારા સૌભાગ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી. આર. પાટીલે કમાલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news